બાગેશ્ર્વરધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી હનુમંત કથાનું સરળશૈલીમાં વર્ણન કરશે
ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ અને રિલાયન્સ ગ્રાઉન્ડમાં વિશાળ પાર્કિગ વ્યવસ્થા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કાલથી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ત્રિદિવસીય ‘સનાતન સેતુ હનુમંત કથા’નો પ્રારંભ થશે. સૌરાષ્ટ્ર સનાતન સમિતિના આયોજન હેઠળ યોજાનારી આ ભવ્ય ધાર્મિક મહોત્સવમાં બાગેશ્વરધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજીના શ્રીમુખેથી હનુમંત કથાનું રસપાન કરાવવામાં આવશે. કથાના બીજા દિવસે દિવ્ય દરબારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આયોજક સમિતિના અધ્યક્ષ અને જાણીતા ઉદ્યોગપતિ કિશોરભાઈ ખંભાયતા (ડુનેક્ષ) સહિત આશિષભાઈ શુક્લ, રાજેશભાઈ પિલ્લાઈ, વિક્રમસિંહ પરમાર, રમેશભાઈ શિંગાળા, મંગેશભાઈ દેસાઈ, ડેનીશભાઈ આડેસરા અને વિજયભાઈ પારખીયાના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીને આખરી ઓપ અપાઇ ગયો છે. કથાના આયોજન માટે રેસકોર્સ મેદાનમાં વિશાળ બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સમગ્ર ગ્રાઉન્ડને 24 અલગ-અલગ ખંડોમાં વિભાજિત કરવામાં આવ્યો છે. આ ખંડોને ગંગા, યમુના, સરસ્વતી અને ગોદાવરી જેવી પવિત્ર નદીઓના નામ આપવામાં આવ્યા છે. દરેક ખંડમાં ભારતીય બેઠક પદ્ધતિ મુજબ આશરે 1,800 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. આ રીતે એક સાથે અંદાજે 60 હજારથી વધુ ધર્મપ્રેમી શ્રોતાઓ કથાનો લાભ લઈ શકે તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે. વધુ સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહે તો તેઓ પણ કથાનું સુગમ રીતે શ્રવણ કરી શકે તે માટે વિશાળ કઊઉ સ્ક્રીનોની વ્યવસ્થા કરવામાં આવી છે.
કથા સ્થળે 130 ફૂટ લાંબું અને 45 ફૂટ પહોળું ભવ્ય અને આકર્ષક સ્ટેજ તૈયાર થઇ ગયુ છે. ઉપરાંત 6 વિશાળ કઊઉ સ્ક્રીન, એક લાખ વોલ્ટ ક્ષમતાની આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને સમગ્ર મેદાન પર નજર રાખી શકે તેવી અદ્યતન ઈઈઝટ કેમેરા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આયોજકો દ્વારા સમગ્ર કાર્યક્રમ માટે વીમા કવચ પણ લેવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. ભક્તોની સુવિધા માટે પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા સાથે સમગ્ર મેદાનમાં 24 લાઇટિંગ ટાવર સ્થાપિત કરવામાં આવ્યા છે. સ્વચ્છતા અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેસકોર્સ મેદાનમાં બે કાયમી યુરીનલ ઉપરાંત ચાર ટેમ્પરરી યુરીનલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રવેશ વ્યવસ્થાને સુવ્યવસ્થિત બનાવવા માટે અલગ-અલગ પ્રવેશદ્વારો નક્કી કરવામાં આવ્યા છે. રેસકોર્સ રીંગ રોડ પર ફન વર્લ્ડ ગ્રાઉન્ડ નજીક આવેલા ગેટ નં. 1 અને 2 સામાન્ય જનતા માટે ખુલ્લા રહેશે. પોલીસ હેડક્વાર્ટર પાસે આવેલ ગેટ નં. 3 સાધુ-સંતો, યજમાન પરિવાર અને આમંત્રિત મહેમાનો માટે અનામત રાખવામાં આવ્યો છે. મહિલા પોલીસ સ્ટેશન સામે આવેલ ગેટ નં. 4 પ્રોટોકોલ માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે, જ્યારે એરપોર્ટ ગેટ નં. 5 અને બાલભવન ગેટ નં. 6 પરથી પણ સામાન્ય જનતા પ્રવેશ મેળવી શકશે. મોટી સંખ્યામાં ભક્તો ઉમટવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને પાર્કિંગ માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ અને રિલાયન્સ ગ્રાઉન્ડ ખાતે વાહનો પાર્ક કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી ભક્તોને અવરજવર દરમિયાન કોઈ અગવડતા ન પડે.
પ્રવેશ વ્યવસ્થા: કુલ 6 અલગ-અલગ પ્રવેશદ્વારોથી જ એન્ટ્રી
- Advertisement -
રેસકોર્સ રીંગ રોડ પર ફન વર્લ્ડ ગ્રાઉન્ડ પાસેના ગેટ નં. 1 અને 2 સામાન્ય જનતા માટે ખુલ્લા રહેશે.
પોલીસ હેડક્વાર્ટર પાસેના ગેટ નં. 3 સાધુ-સંતો, યજમાન અને આમંત્રિત મહેમાનો માટે અનામત રહેશે.
મહિલા પોલીસ સ્ટેશન સામે આવેલા ગેટ નં. 4 પ્રોટોકોલ માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે
એરપોર્ટ ગેટ નં. 5 અને બાલભવન ગેટ નં. 6 પરથી પણ સામાન્ય જનતા પ્રવેશ મેળવી શકશે.
શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી ત્રણ દિવસ રક્તદાન કેમ્પ
ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વિવિધ બ્લડ ગ્રુપના રક્તનો જથ્થો ઘટી ગયો હોવાથી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર અને વિનામૂલ્યે રક્ત ઉપલબ્ધ કરાવવા માટે વિશેષ રક્તદાન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી ‘સનાતન સેતુ હનુમંત કથા’ કાર્યક્રમ દરમિયાન ત્રણ દિવસીય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પ 5, 6 અને 7 જૂન દરમિયાન રેસકોર્સ ખાતે યોજાનારી સનાતન સેતુ હનુમંત કથા દરમિયાન દરરોજ સાંજે 6 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી કાર્યરત રહેશે. કેમ્પનો મુખ્ય હેતુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉભી થયેલી બ્લડની અછત દૂર કરવાનો તેમજ દર્દીઓને જરૂરી સમયે વિનામૂલ્યે રક્ત મળી રહે તેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો છે. આ કેમ્પમાં સૌરાષ્ટ્ર સનાતન સમિતિ, શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશન અને રાજકોટ સિવિલ હોસ્પિટલની પેથોલોજી વિભાગની નિષ્ણાત તબીબોની ટીમ માનદ સેવા આપશે. સૌરાષ્ટ્ર સનાતન સમિતિએ શહેરના યુવાનો, સામાજિક આગેવાનો, ધાર્મિક સંસ્થાઓના કાર્યકરો અને સેવાભાવી નાગરિકોને આ રક્તદાન અભિયાનમાં સક્રિયપણે જોડાવા અપીલ કરી છે.
વિહિપ-બજરંગ દળના કાર્યકર્તાઓ જોડાયા : બેઠકથી લઈ પાર્કિંગ, સુરક્ષા સુધીની વ્યવસ્થા સંભાળશે
રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આગામી તા. 5, 6 અને 7 જૂન દરમિયાન યોજાનારી ભવ્ય ‘સનાતન સેતુ હનુમંત કથા’ને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) અને બજરંગ દળના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સેવાના કાર્યમાં જોડાયા છે. વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગરના અધ્યક્ષ વનરાજભાઈ ગરૈયાએ જણાવ્યું હતું કે આ વિશાળ ધાર્મિક કાર્યક્રમમાં બેઠક વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, સ્ટેજ વ્યવસ્થા, ખોયા-પાયા કેન્દ્ર, સુરક્ષા વ્યવસ્થા, આવક-જાવક નિયંત્રણ તેમજ અન્ય તમામ પ્રકારની સેવાઓ માટે બજરંગ દળના યુવાનો સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરશે. હજારો ભક્તોની ઉપસ્થિતિ વચ્ચે વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ સ્વયંસેવકોને વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ વિભાગના મંત્રી કુણાલભાઈ વ્યાસે જણાવ્યું હતું કે બજરંગ દળના યુવાનોને 10-10 કાર્યકર્તાની ટીમમાં વિભાજિત કરવામાં આવ્યા છે. દરેક ટીમને અલગ-અલગ વ્યવસ્થાનો કાર્યભાર સોંપવામાં આવશે. પાર્કિંગ, બેઠક, માર્ગદર્શન, ભીડ નિયંત્રણ અને અન્ય વ્યવસ્થાઓમાં આ ટોળીઓ સક્રિય રીતે કામગીરી કરશે. કથા સાંભળવા આવનાર દરેક ભક્તને સરળતાથી સ્થળ સુધી પહોંચવામાં અને કથાનો લાભ લેવામાં સહાયરૂપ થવા માટે કાર્યકર્તાઓ સતત સેવા આપશે. વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ વિભાગના સહમંત્રી પરેશભાઈ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે કથા દરમિયાન ભક્તજનોની સુરક્ષા અને સુવિધાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે. આ માટે બજરંગ દળના આગેવાનો સ્થાનિક પોલીસ પ્રશાસન સાથે સતત સંકલન જાળવી રાખશે અને જરૂરિયાત મુજબની તમામ સુરક્ષા અને વ્યવસ્થાપન સંબંધિત કામગીરીમાં સહભાગી બનશે.



