3 નવા જોખમી સ્થળને યાદીમાં સામેલ કરવાની ભલામણ
6 સ્થળને જોખમી યાદીમાંથી દૂર કરવાની કાર્યવાહી કરાઇ
- Advertisement -
માર્ગ સુરક્ષા મજબૂત બનાવવા માટે અભિયાન: જોખમી સ્થળોની ઓળખ સાથે સુધારાની કામગીરી
રોડ માર્કિંગ: વાહનચાલકોને માર્ગદર્શન મળે તે માટે પટ્ટા મારવામાં આવ્યા છે
પોલીસ વિભાગ, છઝઘ , ગઇંઅઈં, માર્ગ મકાન વિભાગ અને મનપા સહિતના સંબંધિત વિભાગો સાથે સંકલનથી કામગીરી કરાઇ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરમાં વધતા માર્ગ અકસ્માતોને નિયંત્રિત કરવા અને માર્ગ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિ દ્વારા વ્યાપક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વર્ષ 2023, 2024 અને 2025 દરમિયાન નોંધાયેલા અકસ્માતોના આંકડા, પ્રાથમિક નોંધપોથી, સ્થળ નિરીક્ષણ અને તકનીકી મૂલ્યાંકનના આધારે અકસ્માત સંભવિત સ્થળોની ઓળખ કરી અંતિમ યાદી તૈયાર કરવામાં આવી છે. રાજકોટ શહેર અને જિલ્લાના 6 બ્લેક સ્પોટ છે ત્યાં અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે. શહેર પોલીસ દ્વારા 3 અને કલેક્ટરે રૂરલના 500 મીટરના 3 એવા રસ્તા આઇડેન્ટીફાય કર્યા છે, જે ‘બ્લેક સ્પોટ’ એટલે કે એક્સિડન્ટ ઝોન છે. અહીં છેલ્લા 3 વર્ષમાં (2023થી 2025) 45 ગંભીર અકસ્માત થયા છે અને 26 વાહનચાલકો મોતને ભેટ્યા છે. શહેરના ક્રિષ્ના વે બ્રિજ પર સૌથી વધુના મોત થયા છે. રાજકોટ શહેરમાં 3 બ્લેક સ્પોટ છે. જેમાં શહેરમાં કુવાડવા પોલીસ મથક વિસ્તારમાં રાજકોટ-મોરબી હાઈવે પર ગૌરીદડ ગામ રોડ, ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં 150 ફૂટ રિંગ રોડ પર અયોધ્યા ચોક અને આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં રાજકોટ-અમદાવાદ-ગોંડલ હાઈવે પર સ્વાતિ પાર્ક મેઇન રોડ પાસે ક્રિષ્ના વે બ્રિજ છે.
સર્વોચ્ચ અદાલતની માર્ગ સુરક્ષા સમિતિ દ્વારા સમયાંતરે આપવામાં આવેલા દિશા-નિર્દેશોને ધ્યાનમાં રાખીને દરેક જિલ્લા અને શહેરમાં દર વર્ષે અકસ્માત સંભવિત સ્થળોની ઓળખ તથા ત્યાં સુધારાત્મક પગલાં અમલમાં મૂકવાની ફરજિયાત પ્રક્રિયા છે. આ અનુસંધાને રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિએ પોલીસ વિભાગ, વાહન વ્યવહાર કચેરી, રાષ્ટ્રીય માર્ગ સત્તામંડળ, માર્ગ અને મકાન વિભાગ તેમજ મહાનગરપાલિકા સહિતના સંબંધિત વિભાગો સાથે સંકલન સાધીને સમયમર્યાદામાં સમગ્ર કામગીરી પૂર્ણ કરી છે. વિગતો મુજબ, સમિતિ દ્વારા તાજેતરમાં યોજાયેલી બેઠકમાં અકસ્માતોના પ્રમાણ, ગંભીરતા અને સ્થળની સ્થિતિને આધારે કુલ ત્રણ સ્થળને પ્રાથમિક રીતે જોખમી તરીકે ઓળખવામાં આવ્યા છે. આ સ્થળોને અંતિમ યાદીમાં સામેલ કરવા રાજ્ય સ્તરે મંજૂરી માટે ભલામણ કરવામાં આવી છે. આ નિર્ણય સ્થળ મુલાકાત અને તથ્યોના વિશ્લેષણ બાદ લેવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. બીજી તરફ, અગાઉ નોંધાયેલા કુલ બાર જોખમી સ્થળોની પુન:સમિક્ષા હાથ ધરવામાં આવી હતી. તેમાં ચાર સ્થળો માર્કેટિંગ યાર્ડ પુલ નજીકનો સાગરનગર વિસ્તાર, રાજકોટ-ભાવનગર માર્ગ પર ત્રંબા ગામ, ગ્રીનલેન્ડ ચોકડી અને કુવાડવા ઉદ્યોગ વિસ્તાર હવે જોખમી માપદંડમાં ન આવતાં તેમને યાદીમાંથી દૂર કરવાની ભલામણ કરવામાં આવી છે. આ સ્થળોએ છેલ્લા સમયમાં અકસ્માતોમાં ઘટાડો નોંધાયો હોવાનું નિરીક્ષણમાં સામે આવ્યું છે. તે ઉપરાંત, બે અન્ય સ્થળો બેડી માર્કેટિંગ યાર્ડ અને કુવાડવા માર્ગ પરનું જૂનું પોલીસ મથકને પણ સમિતિ દ્વારા જોખમી યાદીમાંથી દૂર કરવા મંજૂરી આપવામાં આવી છે. સંબંધિત સ્થળોએ સુધારાત્મક પગલાં બાદ પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો નોંધાતા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સમિતિ દ્વારા એક સ્થળને યથાવત્ જોખમી તરીકે માન્યતા આપવામાં આવી છે, જ્યાં હજુ પણ અકસ્માતોની સંભાવના ઊંચી હોવાના કારણે વધુ સઘન પગલાં લેવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિભાગોમાં કોઈ નવા અકસ્માત સંભવિત સ્થળો નોંધાયા નથી, જેના કારણે તે વિભાગોની વિગતો શૂન્ય તરીકે દર્શાવવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયામાં અકસ્માતોના આંકડાકીય વિશ્લેષણ, સ્થળ પર નિરીક્ષણ, માર્ગની રચના, વાહનવ્યવહારની આવનજાવન અને સુરક્ષા સુવિધાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. સમિતિએ ટૂંકાગાળાના પગલાં તરીકે માર્ગ ચિહ્નો, ઝડપ નિયંત્રણ, પ્રકાશ વ્યવસ્થા અને ચેતવણી સૂચનાઓમાં સુધારા કરવાની ભલામણ કરી છે, જ્યારે લાંબા ગાળાના પગલાં તરીકે માર્ગ સુધારણા, વિસ્તરણ અને ટ્રાફિક વ્યવસ્થાપન માટે આયોજન કરવામાં આવશે. નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફિક ડો. હરપાલસિંહ જાડેજાએ રાજ્ય માર્ગ સલામતી સત્તામંડળને મોકલેલા અહેવાલમાં અંતિમ મંજૂરી આપવા તથા મંજૂર થયેલા સ્થળો પર જરૂરી સુધારાત્મક પગલાં તાત્કાલિક અમલમાં મુકવા માર્ગદર્શન આપવા વિનંતી કરી છે. શહેરમાં માર્ગ સુરક્ષા વધુ સઘન બનાવવા માટે હાથ ધરાયેલ આ કામગીરીને મહત્વપૂર્ણ ગણાવવામાં આવી રહી છે. અધિકારીઓના મતે, યોગ્ય સમય પર ઓળખ અને અસરકારક પગલાં દ્વારા અકસ્માતોની સંખ્યા ઘટાડવામાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ શકે છે.



