વર્ષ 2021માં 51 ટકા મતદાન થયું હતુ: મતદાનનો આંકડો વધારવા માટે વહીવટી તંત્રએ કમર કસી
મતદારો સુધી પહોંચવા માટે વહીવટી તંત્રએ આ વખતે પરંપરાગત રીતો છોડીને નવતર પ્રયોગો શરૂ કર્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે આખરી તબક્કામાં પહોંચ્યો છે. આગામી રવિવાર, 26 એપ્રિલ 2026ના રોજ શહેરના 18 વોર્ડમાં સવારે 7 થી સાંજે 6 વાગ્યા દરમિયાન મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એક હજારથી વધુ મતદાન મથકો પર 9.85 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જોકે, ભૂતકાળમાં જોવા મળેલું નીરસ મતદાન આ વખતે ચૂંટણી તંત્ર માટે મોટો પડકાર છે, જેને પહોંચી વળવા માટે ’સ્વીપ’ કાર્યક્રમ અંતર્ગત અનોખું જનજાગૃતિ અભિયાન છેડવામાં આવ્યું છે. રાજકોટના ચૂંટણી ઇતિહાસ પર નજર કરીએ તો, વર્ષ 2010માં માત્ર 41.09 ટકા જેટલું અત્યંત ઓછું મતદાન નોંધાયું હતું. ત્યારબાદ 2015માં 50.40 ટકા અને 2021ની છેલ્લી ચૂંટણીમાં 50.72 ટકા મતદાન થયું હતું. આમ, સતત બે ચૂંટણીઓથી મતદાનનો આંકડો 50 ટકાની આસપાસ જ અટકી જતો હોવાથી આ વખતે આ આંકડો વધારવા માટે વહીવટી તંત્ર કમર કસી રહ્યું છે. મતદારો સુધી પહોંચવા માટે તંત્રએ આ વખતે પરંપરાગત રીતો છોડીને નવતર પ્રયોગો કર્યા છે. હાલમાં મનપાની વેરા વળતર યોજના ચાલતી હોવાથી મોટી સંખ્યામાં કરદાતાઓ ટેક્સ ભરવા આવી રહ્યા છે, જેનો લાભ લઈને તમામ ટેક્સ રિસીપ્ટ (પહોંચ) પર “મતદાન અચૂક કરો” ના સિક્કા મારવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, શહેરના મેડિકલ સ્ટોર્સ પરથી અપાતા દવાના બિલ પર પણ મતદાનની અપીલ કરતા સ્ટેમ્પ લગાવીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
ચૂંટણી તંત્ર દ્વારા માત્ર બિલ સુધી મર્યાદિત ન રહીને વ્યાપક સ્તરે અભિયાન ચલાવાઈ રહ્યું છે જનસેવા કેન્દ્રો પર સરકારી દાખલાઓ અને અરજીની પહોંચ પર મતદાનનો સંદેશ પહોંચાડાઈ રહ્યો છે. પ્રાદેશિક નગરપાલિકા કચેરી ખાતે આકર્ષક રંગોળી દ્વારા મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરાયો છે. શૈક્ષણિક સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમોમાં યુવા મતદારોને મતદાનના શપથ લેવડાવવામાં આવ્યા છે. આરટીએ અને વાહન વ્યવહાર કચેરી જેવી ભીડભાડ વાળી જગ્યાઓ પર પણ સતત પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે રાજકોટમાં કુલ 9,85,952 નોંધાયેલા મતદારો છે, જેમાં 5,10,086 પુરુષો અને 4,75,848 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. દરેક મતદારને પોતાના વોર્ડમાં ચાર-ચાર મત આપવાનો અધિકાર છે. નિષ્ણાંતોનું માનવું છે કે માત્ર અપીલ કરવાથી કામ નહીં ચાલે, પરંતુ જો તંત્ર મતદારોને ચૂંટણી પ્રક્રિયા, નિયમો અને તેના મહત્વ વિશેની રોચક માહિતી પૂરી પાડે તો લોકોમાં ઉત્સાહ વધી શકે છે.



