અક્ષય તૃતીયાના પર્વ પર થયેલી ભારે ખરીદી બાદ, સોમવારે બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. રવિવારે અક્ષય તૃતીયાના દિવસે દેશભરમાં અંદાજે 20,000 કરોડ રૂપિયાનો સોના-ચાંદીનો વેપાર થયો હોવાનું અનુમાન છે, પરંતુ આજે 20 એપ્રિલે ભાવમાં નોંધપાત્ર નરમી આવી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ આશરે 1,700 રૂપિયા અને ચાંદીમાં પ્રતિ કિલો 5,400 રૂપિયા સુધીનો ધરખમ ઘટાડો નોંધાયો છે.
અક્ષય તૃતીયા બાદ બજાર ખુલતા જ ભાવ તૂટ્યા
- Advertisement -
કોમોડિટી માર્કેટમાં સવારના સમયે જૂન ડિલિવરી વાળું સોનું લગભગ 1%ના ઘટાડા સાથે 1,53,240 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરતું જોવા મળ્યું હતું. તેવી જ રીતે, ચાંદીના ભાવમાં પણ લગભગ 2%નો ઘટાડો થયો છે અને તે 2,52,236 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ પહોંચી ગઈ છે. બજારના જાણકારો માને છે કે અક્ષય તૃતીયાની તેજી બાદ પ્રોફિટ બુકિંગ અને વૈશ્વિક બજારના સંકેતોને કારણે આ ઘટાડો જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં સોનું ₹1.53 લાખને પાર! ચાંદીના ભાવમાં પણ જોવા મળી મોટી હલચલ
મુખ્ય શહેરોના ભાવ પર નજર કરીએ તો, અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,53,250 રૂપિયા અને ચાંદીનો ભાવ 2,53,430 રૂપિયા પ્રતિ કિલો રહ્યો છે. મુંબઈમાં 24 કેરેટ સોનું 1,52,960 રૂપિયા અને દિલ્હીમાં 1,52,700 રૂપિયાના સ્તરે જોવા મળ્યું હતું. દક્ષિણ ભારતના ચેન્નાઈમાં સોનાનો ભાવ સૌથી વધુ 1,53,490 રૂપિયા નોંધાયો છે. સોના-ચાંદીના ભાવમાં આવેલા આ ઘટાડાને કારણે સામાન્ય ગ્રાહકોમાં ફરીથી ખરીદીનો ઉત્સાહ જોવા મળી શકે છે.




