15% લોકો હજુ પણ એવું માને છે કે ટ્રાફિક સિગ્નલ બંધ હોય ત્યારે હોર્ન વગાડવાથી તે જલ્દી ખુલી જશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ભારતીય રસ્તાઓ પર ડ્રાઇવિંગ કરતી વખતે લોકોની માનસિકતા કેવી હોય છે, તે જાણવા માટે એક વિસ્તૃત મનોવૈજ્ઞાનિક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. પ્રોફેસર યોગેશ જોગસણ અને ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં સંશોધકોની ટીમ (જમોડ જયા, રામાણી સ્મિત, લાગરીયા ગૌતમ અને જાબુંસા દિવ્યા) દ્વારા 1456 લોકો પર કરવામાં આવેલા આ અભ્યાસમાં ટ્રાફિક અને રોડ સેફ્ટી અંગેના અનેક ચોંકાવનારા તારણો સામે આવ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર યોગેશ જોગસણના જણાવ્યા અનુસાર, “ટ્રાફિક સમસ્યા ભૌતિક કરતાં વધુ મનોવૈજ્ઞાનિક છે. જ્યારે લોકો નિયમ તોડવાને ગર્વની વાત સમજે, ત્યારે સામાજિક મૂલ્યોની વિકૃતિ છતી થાય છે. ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે માત્ર દંડ નહીં, પણ ’પરશુભેચ્છા’ (બીજાના હિતનો વિચાર) કેળવવી જરૂરી છે.”
ડો. ધારા આર. દોશી ઉમેરે છે કે, “37% લોકોની ઉતાવળ અને 32% લોકોનો ક્ષણિક ગુસ્સો એ ’રોડ રેસ’ની માનસિકતાનું પ્રતિબિંબ છે. ઝડપને ’મર્દાનગી’ સાથે જોડવાની વૃત્તિ ચિંતાજનક છે. હવે ડ્રાઈવિંગ લાયસન્સ પ્રક્રિયામાં મનોવૈજ્ઞાનિક પરીક્ષણ અને બિહેવિયરલ ટ્રેનિંગનો સમાવેશ કરવો અનિવાર્ય છે.”આ આંકડા સ્પષ્ટ કરે છે કે ટ્રાફિક જામમાં સતત હોર્ન વગાડવા કે ઉતાવળ કરવી એ ગંભીર માનસિક નબળાઈ છે. રસ્તા પરની તમારી વર્તણૂક એ તમારા વ્યક્તિત્વનો અરીસો છે. “સાવચેતી એ જ સલામતી” સૂત્રને જીવનમાં ઉતારીને જ સુરક્ષિત સમાજનું નિર્માણ થઈ શકે છે.
નીચે મુજબની સાવચેતી અનિવાર્ય
સમયનું આયોજન: જે સ્થાને પહોંચવું છે તેના માટે 10-15 મિનિટ વહેલા નીકળવાની આદત પાડવી.
- Advertisement -
સંવેદનશીલતા તાલીમ: લાયસન્સ આપતા પહેલા ડ્રાઈવરને અકસ્માત પીડિતોની મનોસ્થિતિ સમજાવતી શોર્ટ ફિલ્મ બતાવવી
પુરસ્કાર આધારિત શિસ્ત: નિયમ પાળનારા વાહનચાલકોને વીમા પ્રીમિયમ કે ટેક્સમાં રાહત આપી પ્રોત્સાહિત કરવા
શિક્ષણમાં સમાવેશ: શાળાઓમાં ટ્રાફિક શિસ્તને ’કાયદા’ ને બદલે ‘સંસ્કાર’ તરીકે ભણાવવી



