ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ મહત્વની બેઠક
બેઠકમાં થયેલા નિર્ણયોને અમલી બનાવવા માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરશે
- Advertisement -
શિવરાત્રી મેળાના માધ્યમથી સ્થાનિક સંસ્કૃતિને વિશ્ર્વ સ્તરે પ્રદર્શિત કરવી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
ગિરનારની ગોદમાં અને પવિત્ર ભવનાથ તળેટીમાં યોજાતો વિશ્વપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળો આગામી વર્ષે ભવ્યથી અતિ ભવ્ય રીતે ઉજવવા માટે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે. મહાશિવરાત્રી – 2026 ના આયોજનના ભાગરૂપે ગાંધીનગર ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય ગોળમેજી બેઠક યોજાઈ હતી. જેમાં જૂનાગઢના સાધુ-સંતો અને લોક પ્રતિનિધિઓ સાથે મેળાના સર્વાંગી વિકાસ અને વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
સરકાર દ્વારા આ વખતના મેળાને ’લઘુ મહાકુંભ’ તરીકે ઉજવવાની નેમ વ્યક્ત કરવામાં આવી છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ અને દેશ-વિદેશના પ્રવાસીઓને શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે અને મેળાની પવિત્રતા જળવાય તે સુનિશ્ચિત કરવાનો હતો. આ મહત્વપૂર્ણ બેઠકમાં ગિરનાર મંડળના મહેશગીરી બાપુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહેશગીરી બાપુએ ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીનો મેળો એ સંતો અને ભક્તોનો મેળો છે. આથી, સાધુ-સંતો અને પદયાત્રીઓને સુલભ સુવિધા મળી રહે તે અનિવાર્ય છે. મેળાનું આધ્યાત્મિક માહાત્મ્ય સમગ્ર વિશ્વમાં વધે તે માટે આયોજન થવું જોઈએ.
આ બેઠકમાં પ્રભારી મંત્રી અને જૂનાગઢના મેયર ધર્મેશ પોશીયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર તથા ગિરનાર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્યોનું પ્રતિનિધિમંડળ જોડાયું હતું. વહીવટી તંત્ર તરફથી સિનિયર ઈંઅજ આલોક પાંડે, જૂનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયા અને એસ.પી. સુબોધ ઓડેદરા હાજર રહ્યા હતા.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંતોના સૂચનોને આવકારતા ખાતરી આપી હતી કે, સરકાર શિવરાત્રી મેળાને નવા પરિમાણો સુધી લઈ જવા કટિબદ્ધ છે. બેઠક બાદ નાયબ મુખ્યમંત્રીએ ઉપસ્થિત સાધુ-સંતો અને આગેવાનો સાથે સ્નેહભોજન લીધું હતું, જે સરકાર અને સંત સમાજ વચ્ચેના સુમેળભર્યા સંબંધોનું પ્રતીક બન્યું હતું. જૂનાગઢ વહીવટી તંત્ર હવે આ બેઠકમાં થયેલા નિર્ણયોને અમલી બનાવવા માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરશે. 2026નો આ મેળો ભક્તો માટે માત્ર ધાર્મિક પ્રસંગ જ નહીં, પરંતુ એક યાદગાર અનુભવ બની રહેશે તેવી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
- Advertisement -
શિવરાત્રી મેળામાં ચર્ચાના મુખ્ય મુદ્દા અને વ્યવસ્થા
સુચારુ ટ્રાફિક અને પાર્કિંગ: મેળા દરમિયાન જૂનાગઢમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે અગાઉથી જ આયોજન કરવું.
શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ: ભવનાથ ક્ષેત્રમાં પીવાનું પાણી, વીજળી અને સફાઈ વ્યવસ્થાને પ્રાથમિકતા આપવી.
સુરક્ષા બંદોબસ્ત: લાખોની જનમેદનીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવનાર સુરક્ષા વ્યવસ્થા.
લોકલ પ્રોડક્ટ્સ અને ગ્લોબલ પ્લેટફોર્મ: મેળાના માધ્યમથી સ્થાનિક સંસ્કૃતિને વિશ્વ સ્તરે પ્રદર્શિત કરવી.
ગાંધીનગર ખાતે મળેલી મહાકુંભ મેળાની બેઠકમાં ઉતારા મંડળની બાદબાકી
આગામી મહાશિવરાત્રી મેળો મહાકુંભ મેળો થવા જઈ રહ્યો છે ત્યારે ગાંધીનગર ખાતે એક ઉચકક્ષાની સરકાર સાથે બેઠક યોજી મહાશિવરાત્રી મેળાના સુચારું આયોજન માટેની બેઠક મળી હતી જેમાં મેળામાં પધારતા ભાવિકોને જેની જઠારગની ઠારે છે તેવા ઉતારા મંડળના આગેવાનોની બાદબાકી થઈ છે તેઓને બેઠકમાં જાણી જોઈને નથી લઈ જવાયા કે ઈરાદાપૂર્વક તેમને દૂર રખાયા છે એ પ્રશ્ર્ન અત્યારે ચોરે અને ચોટે ચર્ચાઈ રહ્યો છે બેઠકમાં સ્થાનિક પદ અધિકારીઓ સાધુ સંતો અને અધિકારીઓની હાજરી વચ્ચે ઉતારા મંડળને કઈ રીતના બાકાત રખાયુ એ એક પ્રશ્ર્ન ઊભો થયો છે મેળા અંગેની ચિંતાઓ ભૂતકાળમાં અને વર્તમાનકાળમાં પણ ઉતારા મંડળની મુખ્ય ભૂમિકા રહી છે ત્યારે તેઓને આ બેઠકમાં દૂર કરવાનું કારણ કોઈને સમજાતું નથી મેળો માણવા પધારતા લાખો યાત્રિકો જેની ઉપર નિર્ભર છે જે ઉતારા મંડળના 200 થી વધુ મંડળો યાત્રિકો માટે સુંદર મજાની સુલકભોજન વ્યવસ્થા ઊભી કરે છે તો તેઓ ના પદાધિકારીઓ જ આ બેઠકમાં હાજર કેમ ન રખાયા? એ એક પ્રશ્ર્ન લોકોમાં ચર્ચાઇ રહ્યો છે



