સુરતના પલસાણા વિસ્તારના મખીંગા ગામમાં સ્થિત શ્રી બાલાજી કેમિકલ ફેક્ટરીમાં બુધવારે (17 ડિસેમ્બર) સવારે ભીષણ આગ લાગી હતી. કેમિકલ ફેક્ટરી હોવાના કારણે આગે ખૂબ ઓછા સમયમાં વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું. ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ, આ અકસ્માતમાં કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી.
જ્વલનશીલ કેમિકલના કારણે વિકરાળ બની આગ
- Advertisement -
મળતી માહિતી મુજબ, શ્રી બાલાજી ફેક્ટરીમાં બુધવારે વહેલી લાગેલી આગ લાગી હતી. આ આગ એટલી મોટી હતી કે, દૂર-દૂર સુધી ધૂમાડાના ગોટે-ગોટા ઉડતા જોવા મળ્યા હતા. ફેક્ટરીમાં જ્વલનશીલ કેમિકલ હોવાના કારણે ખૂબ જ ઓછા સમયમાં આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું. આગની તીવ્રતા એટલી વધુ હતી કે, 10થી વધુ ફાયરની ગાડીઓ આગ ઓલવવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી.
ફાયર વિભાગે શરૂ કર્યુ રેસ્ક્યુ ઓપરેશન
આગ લાગવાની જાણકારી મળતા જ ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. આગ ફેલાતા રોકવા માટે સતત પાણીનો મારો કરવામાં આવ્યો હતો. આગ વધુ ન ફેલાય તેથી આસપાસના વિસ્તારો પણ ખાલી કરવામાં આવ્યા હતા. જોકે, હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી નથી. આ સિવાય આગ લાગવાનું કારણ પણ હજું અકબંધ છે. આગ ઓલવાયા બાદ ફાયર વિભાગે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.




