APMC કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી ભેટ : સહકાર મંત્રી જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
ખાસ ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
ગુજરાત સરકારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના કર્મચારીઓના કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ અને કર્મચારી હિતલક્ષી નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી છે કે હવે રાજ્યની બજાર સમિતિમાં કાર્યરત કર્મચારીઓને નિયત શરતોને આધીન બોનસ અને રહેમ ભથ્થું ચૂકવવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી બજાર સમિતિના કર્મચારીઓમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે. મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે જે બજાર સમિતિનો કુલ મહેકમ ખર્ચ બજારના નિયમો મુજબ નિર્ધારિત 40 ટકાની મર્યાદામાં રહેતો હશે, તેવી તમામ બજાર સમિતિઓ પોતાના કર્મચારીઓને મહત્તમ બે માસના પગાર જેટલું બોનસ અથવા રહેમ ભથ્થું ચૂકવી શકશે. આ પ્રક્રિયા નાણાકીય શિસ્ત અને વહીવટી પારદર્શિતાને ધ્યાનમાં રાખીને અમલમાં મુકવામાં આવશે. રાજ્યમાં કાર્યરત 224 બજાર સમિતિના આશરે 3,000થી વધુ કર્મચારીઓને આ નિર્ણયનો સીધો લાભ મળશે. લાંબા સમયથી કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી માંગણીઓ અને રજૂઆતોને ધ્યાને લઈને સરકારે આ નિર્ણય લીધો હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે બજાર સમિતિની નાણાકીય અને વહીવટી સુદ્રઢતા જાળવવાની સાથે તેમાં સેવા આપતા કર્મયોગીઓના હિતોની રક્ષા કરવી પણ રાજ્ય સરકારની પ્રાથમિકતા રહી છે. ગુજરાત રાજ્ય બજાર સમિતિ કર્મચારી સંઘ, ગાંધીનગર દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને મુખ્યમંત્રી સાથે ઉચ્ચ સ્તરીય ચર્ચા અને વિચારણા બાદ આ મંજૂરી આપવામાં આવી છે. સરકારે બજાર ફંડના સદુપયોગ અને ભથ્થાંની ચૂકવણીને લઈને અગાઉથી કેટલીક મર્યાદાઓ નક્કી કરી છે. તેમ છતાં કર્મચારીઓના હિતોને કેન્દ્રસ્થાને રાખીને સરકાર દ્વારા વચગાળાનો સકારાત્મક અને સંતુલિત અભિગમ અપનાવવામાં આવ્યો છે. તેના ભાગરૂપે બોનસ ચૂકવવાની કાયદેસરની છૂટછાટ આપવામાં આવી છે, જ્યારે બોનસ સિવાયની અન્ય વહીવટી અને નાણાકીય શરતો યથાવત રાખવામાં આવી છે.
રાજ્ય સરકારના આ નિર્ણયને બજાર સમિતિ કર્મચારીઓ અને તેમના સંગઠનો દ્વારા આવકારવામાં આવ્યો છે. કર્મચારી સંઘના હોદ્દેદારોએ આ નિર્ણયને કર્મચારીઓના મનોબળ અને કાર્યક્ષમતામાં વધારો કરનાર ગણાવી રાજ્ય સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સહકાર મંત્રી જીતુ વાઘાણીનો આભાર વ્યક્ત કર્યો છે. આ નિર્ણય રાજ્ય સરકારની કર્મચારી કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા તેમજ કૃષિ અને સહકાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.




