ગીર સોમનાથ થયું પાણી પાણી: સવારથી સાર્વત્રિક મેઘમહેર, મોટા ભાગની નદીઓમાં પૂર આવ્યા
જેતપુર અને સાસણથી સોમનાથને જોડતા નેશનલ હાઇવે પર પાણી ફરી વળ્યાં
- Advertisement -
તાલાળાથી પ્રાચી અને ઊનાને જોડતા સ્ટેટ હાઈવે બંધ કરાયા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓમાં ગત બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આગામી સમયમાં પણ હવામાન તંત્ર દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેને અનુલક્ષીને કોઈપણ પરિસ્થિતિ ઉદભવે તો તેને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લામાં વરસી રહેલા વરસાદને પગલે જિલ્લામાં ઉપસ્થિત થયેલી સ્થિતિનો ચિતાર આપતાં કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, જિલ્લામાં ગત બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે જિલ્લામાં સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે આજ સવાર થી બપોર સુધીમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. કુલ મળીને અત્યાર સુધીમાં સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં સિઝનનો સરેરાશ 28 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હવામાન તંત્રની આગાહીને અનુલક્ષી આગામી કલાકોમાં હજુ ભારે વરસાદ પડે તો જરૂરી પગલા અને સાવચેતી રાખવા સંદર્ભે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લામાં ક્યાંય પણ વૃક્ષો ધરાશાયી થયા હોય તો તંત્ર દ્વારા ત્વરિત કામગીરી દાખવી અને રસ્તો ખૂલ્લો કરાવવામાં આવી રહ્યો છે. અમૂક ગામોને બાદ કરતાં હાલ વીજળીનો પુરવઠો પણ અવિરત ચાલુ છે. જ્યાં વીજ પુરવઠો ખોરવાયો છે, ત્યાં તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરી અને ત્વરિત પૂરવઠો ચાલું કરવામાં આવી રહ્યો છે.
કલેક્ટરએ વધુમાં ઉમેર્યું હતું કે, હાલ માછીમારી માટે હવામાન સાનુકૂળ નથી. ભારે પવન ફૂંકાવાની શક્યતાં જોતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. તેમજ દરિયામાં રહેલી તમામ બોટ્સને પણ તાત્કાલિક અસરથી પરત ફરવા જણાવવામાં આવ્યું છે. જિલ્લામાં આવેલા ડેમની પરિસ્થિતિ અંગે કલેક્ટરએ જણાવ્યું હતું કે, ભારે વરસાદને પગલે હિરણ, ઉમરેઠી વગેરે જેવાં ડેમોમાં પાણીની આવક વધતાં દરવાજા ખોલવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શિંગોડા અને હિરણ-2 ડેમ 100% ભરાયા છે, જ્યારે અન્ય ડેમ 80% ભરાયાં છે. જેના કારણે વેરાવળ, તાલાલા અને કોડિનાર તાલુકાનાં નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. ગત બે દિવસમાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાના નદી-નાળા કોઝવે પરથી અચાનક જ પાણીનો પ્રવાહ વધી શકે છે. જેને ધ્યાને લઇ અને સલામતીના પગલાને અનુસરતાં નીચાણવાળા વિસ્તારમાં અને કૂતુહલવશ નદી-નાળા પાસે ન જવા અને નાગરિકને મુશ્કેલી કે સમસ્યા હોય તો જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના ટોલ ફ્રી નંબર 1077 પર ત્વરિત જાણકારી આપવા કલેક્ટરએ નાગરિકોને અનુરોધ કર્યો છે.
- Advertisement -
સોમનાથ નજીક ત્રિવેણી સંગમ વિસ્તાર પાણીમાં ગરકાવ થતા દુકાનોમાં પાણી ઘૂસ્યા
ગીર સોમનાથ જિલ્લાની જીવાદોરી સમાન શિંગોડા અને હિરણ 2 ડેમ 100% ભરાયાં
જિલ્લા કલેક્ટર દ્વારા નીચાણ વાળા વિસ્તારોના લોકો માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી
નીચાણવાળા વિસ્તારમાં અને નદી-નાળા પાસે ન જવા નાગરિકોને કલેક્ટરની અપીલ



