સિવિલ હોસ્પિટલમાં અંધેર નગરી, ગંડુ રાજા જેવી પરિસ્થિતિ
કાર્ડિયોલોજિસ્ટ ન હોવાથી દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં જવા મજબુર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દોઢ મહિનાથી કાર્ડિયોલોજિસ્ટ ન હોવાથી હદયની સારવાર બંધ પડી છે. જેના કારણે હાર્ટ સંબંધી દર્દીઓને સિવિલના તબીબો હાર્ટલી સોરી કહી પ્રાઇવેટ હોસ્પિટલમાં જવા માટે જણાવી રહ્યા છે.
ખ્યાતિકાંડ બાદ સરકાર દ્વારા પીએમજેએવાય યોજનાની નવી માર્ગદર્શિકા અને જાહેર કરવામાં આવતા ખાનગી પ્રેક્ટિસ કરતા તબીબોનું એક જગ્યાએ પીએમજેએવાય યોજનામાં નામ હોય તે બીજી જગ્યાએ આ યોજના હેઠળ કામગીરી કરી ન શકે જે નિર્ણયથી સીવીટીએસ સરકારી હોસ્પિટલમાં સીવીટીએસ કરાર આધારિત પ્રેક્ટિસ કરતા કાર્ડિયોલોજિસ્ટએ રિઝાઈન મુકી દેવાની ફરજ પડી છે. જેને લઈને સરકારી હોસ્પિટલમાં એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી જેવી સર્જરી થઇ શકતી નથી. માત્રને માત્ર ઈસીજી, ઇકો જેવા પ્રાથમિક નિદાન થઇ શકે છે. આ કારણે દર્દીઓને હવે ના છૂટકે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાની ફરજ પડી રહી છે. રાજકોટ સિવિલમાં સુપરસ્પેશ્યાલીટી બ્લોક અને કેથલેબ જેવી અદ્યતન સુવિધા હોવા છતાં કાર્ડિયાક સહિતના તબીબો ન હોવાથી હાલ તો સિવિલમાં મેડિસિટી બનાવવાની વાત ભેંસ ભાગોળે છાસ છાગોળે જેવી છે. ત્યારે સિવિલ હોસ્પિટલના ડૉ. મહેન્દ્ર ચાવડાએ ખાસ-ખબર સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, કાર્ડિલોજિસ્ટ અંગેની રજૂઆત રાજ્ય સરકારને કરવામાં આવી છે. જેનો ટૂંક સમયમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખાલી રહેલી જગ્યા ભરવામાં આવશે.
- Advertisement -
સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલમાં કરાર આધારિત કાર્ડિયાક ફૂલ ટાઈમ સેવા આપે તો તેમને રૂ.75 હજાર પગાર + પીએમજેએવાય યોજના અંતર્ગત ઈન્સેન્ટિવ આપવામાં આવે છે. બંન્ને મળી સરેરાસ મહિને એકથી સવા લાખ જેટલી રકમ મળે છે. જયારે પ્રાઇવેટ પ્રેક્ટિસ દરમિયાન એક દર્દીનું 1 થી 1.5 લાખનું બિલ બનાવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય હોસ્પિટલ્સમાં ક્ધસલન્ટન્ટ તરીકે બે થી ત્રણ કલાકનો સમય આપવાની સાથે ઓટી કરવામાં આવે એ વધારાનો બેનિફિટ મેળવે છે. એકદંરે સરકારી પગારથી ત્રણ થી ચાર ગણા પૈસા કમાઈ રહ્યા છે. આથી સરકારી હોસ્પિટલમાં નિયમોની લગામ સાથે સેવા આપવાને બદલે પ્રાઇવેટ પ્રેક્ટિસને જ તબીબો મુનાસિફ માની રહ્યા છે. બીજી બાજુ ઈન્સેન્ટિવની રકમ પણ સમયે મળતી ન હોવાની પણ ફરિયાદો સાંભળવા મળી છે. જો કે યુ.એન.મહેતાના સ્પેસ્યાલીસ્ટને જે રકમ ચૂકવવામાં આવે છે એ રકમ રાજકોટના સ્પેશિયાલિસ્ટને ચૂકવવામાં આવે તો પણ સંભવત તબીબો સિવિલમાં કામ કરવા તૈયાર થઇ શકે છે. પીએમએસએસવાય બ્લોકમાં સુપરસ્પેશ્યાલીટી સેવા શરૂ કરવામાં આવી ત્યારે પણ કેથલેબ શરૂ કરવાને લઈને લગભગ એકાદ વર્ષ જેટલો સમય કાઢી નાખવામાં આવ્યો હતો. જેને લઈને જે તે સમયે કરાર આધારિત કાર્ડિયોલોજિસ્ટએ કંટાળીને રિઝાઈન આપી દીધું હતું. બાદમાં કેથલેબ શરૂ થયા બાદ કાર્ડિયાક તરીકે ડો.મનદીપ ટીલાળા વિભાગ સંભાળ્યો હતો અઠવાડિયામાં બેવાર ઓપીડીમાં 100 જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવતી હતી તેમજ મહિનામાં 30થી વધુ સર્જરી કરવામાં આવતી હતી.
એકાદ વર્ષ બાદ શરૂ થયેલી કેથલેબ
દોઢ માસથી ડૉકટરના અભાવે ફરી બંધ
સરકારને રજૂઆત કરાઇ છે ટૂંક સમયમાં કાર્ડિયોલોજિસ્ટની નિમણૂક કરાશે : ડૉ.મહેન્દ્ર ચાવડા



