CM મોહન યાદવના પરિવારે ખરીદી 168 એકર જમીન, ત્યાં સરકારે બનાવ્યા કરોડોના રોડ પ્રોજેક્ટ્સ!
મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવના પરિવારે ઉજ્જૈનમાં 45 કરોડમાં 168 એકર જમીન ખરીદી છે. આ જગ્યાએ કરોડાના ખર્ચે સરકારી રોડ પ્રોજેક્ટ્સ શરુ કરાયા હોવાનો ખુલાસો થયો છે. જાણો આખો વિવાદ.
- Advertisement -
‘મોસાળમાં મા પીરસનાર હોય તો જોવાનું શું!’ આ કહેવત અત્યારે મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં અક્ષરશઃ સાચી સાબિત થઈ રહી છે. ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ ના એક ચોંકાવનારા તપાસ અહેવાલમાં બહાર આવ્યું છે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને તેમના પરિવારે ઉજ્જૈનના જે વિસ્તારોમાં મોટા પાયે જમીનો ખરીદી છે, બરાબર તે જ વિસ્તારોમાં રાજ્ય સરકારના કરોડો રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોડ પ્રોજેક્ટ્સ શરૂ થયા છે. સત્તા અને સંપત્તિના આ કનેક્શને અત્યારે દેશના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
સરકારી રેકોર્ડ્સની તપાસ અનુસાર 13 ડિસેમ્બર, 2023ના રોજ મોહન યાદવે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓ સીએમ બન્યાના બે વર્ષની અંદર જ તેમના પરિવારે અને તેમની પારિવારિક રિયલ એસ્ટેટ કંપનીઓએ ઉજ્જૈનમાં અંદાજે 168 એકરમાં ફેલાયેલા 137 પ્લોટ ખરીદી લીધા. આ ખરીદી પાછળ અંદાજે ₹45 કરોડનો ધૂમ ખર્ચ કરવામાં આવ્યો છે.
સૌથી ગંભીર બાબત એ છે કે આમાંની મોટાભાગની જમીન એવા ચોક્કસ વિસ્તારોમાં આવેલી છે, જેને સીએમ યાદવની સરકારે જાહેર કરેલા નવા રોડ પ્રોજેક્ટ્સ અને જમીન વપરાશના ફેરફારોનો સીધો આર્થિક ફાયદો મળી રહ્યો છે. જોકે, સત્તાવાર સરકારી રેકોર્ડ્સ તાત્કાલિક અપડેટ થતા ન હોવાથી આમાં વર્ષ 2026 દરમિયાન થયેલા નવા વ્યવહારોનો આંકડો હજી ઉમેરાયો નથી. રેકોર્ડ એ પણ દર્શાવે છે કે આમાંથી ઓછામાં ઓછા 6 પ્લોટ પાછળથી વેચીને નફો પણ કમાવવામાં આવ્યો છે.
- Advertisement -
ઉજ્જૈન માસ્ટર પ્લાન 2035 અને સીએમનું જુનું કનેક્શન
‘ઉજ્જૈન માસ્ટર પ્લાન 2035’ મે 2023માં (મોહન યાદવ સીએમ બન્યાના મહિનાઓ પહેલા) બહાર પાડવામાં આવ્યો હતો. આ પ્લાન હેઠળ જમીનને કૃષિમાંથી રહેણાંક કે વ્યાવસાયિક ઝોનમાં બદલવાની મંજૂરી અપાઈ હતી. મુખ્યમંત્રી મોહન યાદવ દાયકાઓથી ઉજ્જૈનના વિકાસ કાર્યો સાથે સીધા જોડાયેલા છે:
2004-2010: ઉજ્જૈન વિકાસ સત્તામંડળ (UDA) ના અધ્યક્ષ.
2011-2013: એમપી ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MPTDC) ના વડા.
2013 થી અત્યાર સુધી: ઉજ્જૈન (દક્ષિણ) ના ધારાસભ્ય.
જાન્યુઆરી 2024 માં તેઓ સીએમ બન્યાના તુરંત જ બાદ, સરકારે આ જ વિસ્તારોમાં અનેક નવા રોડ કનેક્શન અને હાઈવે પ્રોજેક્ટ્સની જાહેરાત કરી દીધી, જેનાથી આ જમીનોના ભાવ આસમાને પહોંચી ગયા છે.
સત્તાવાર બચાવ અને સીએમનું મૌન
આ ગંભીર આરોપો અને તપાસ અંગે મુખ્યમંત્રી મોહન યાદવ કે તેમની ઓફિસ (CMO) તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જો કે, નામ ન આપવાની શરતે સરકારી વરિષ્ઠ અધિકારીઓએ આ વ્યવહારોનો બચાવ કરતા કહ્યું: “સીએમનો વિસ્તૃત પરિવાર છેલ્લા ઘણા સમયથી રિયલ એસ્ટેટ વ્યવસાયમાં સક્રિય છે. તેને સીએમના રાજકીય ઉત્થાન સાથે સાંકળવો યોગ્ય નથી. વળી, તપાસ માત્ર સીએમના પત્ની અને પુત્ર સુધી મર્યાદિત હોવી જોઈએ, વિસ્તૃત સંબંધીઓ સુધી નહીં. જો એમ કરાશે તો કંઈ મોટું વાંધાજનક મળશે નહીં.” બીજી તરફ સીએમના પિતરાઈ ભાઈ ગોવિંદ યાદવના પુત્ર અનંત યાદવે જણાવ્યું કે: “અમારો પરિવાર 2010 થી રિયલ્ટી બિઝનેસમાં છે. ખાનગી વ્યક્તિઓ તરીકે અમને જમીન ખરીદવાનો અને વેચવાનો પૂરો અધિકાર છે. સીએમ અમારા પરિવારમાંથી છે એટલે શું અમારે અમારો બિઝનેસ બંધ કરી દેવો?”
સરકારી રોડ અને યાદવ પરિવારના પ્લોટ્સ
સ્થાનિક વહીવટી અધિકારીઓ પાસેથી મળેલી વિગતોના આધારે તૈયાર કરાયેલો ભૌગોલિક નકશો સાબિત કરે છે કે, ખરીદાયેલી 168 એકર જમીનમાંથી 111 એકર જમીન બિલકુલ યાદવ સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા હાઇવે કે રોડ પ્રોજેક્ટ્સની બાજુમાં જ આવેલી છે:
ગંગેડી : ઉજ્જૈન-બદનગર અને ઉજ્જૈન-ઈન્દોર હાઈવેના જંક્શન નજીક વ્યુહાત્મક લોકેશન પર એપ્રિલ 2024 થી અત્યાર સુધીમાં 38 પ્લોટમાં 51 એકર જમીન ખરીદી.
ઉન્હેલ : નવા ઉજ્જૈન-નાગદા હાઇવેની બંને બાજુએ મે મહિનામાં 16 પ્લોટમાં 29 એકર જમીન લીધી.
પાંડ્યાખેડી : મધ્ય ઉજ્જૈનના આ વિસ્તારમાં માસ્ટર પ્લાન હેઠળ નવેસરથી “વ્યાવસાયિક” જાહેર કરાયેલા ઝોનમાં ગયા વર્ષે 18 એકર જમીન ખરીદી.
કરડિયા-નવાખેડા : ઓક્ટોબર 2024 માં હાઇવે ક્રોસિંગની બાજુમાં 9 એકર જમીન લીધી.
ચંદેસરા : બે ઇન્દોર-ઉજ્જૈન હાઇવે વચ્ચે ફેબ્રુઆરીમાં 9 એકર જમીન હસ્તગત કરી.
કરોંદિયા : જુલાઈ 2025 માં નિર્માણ પામી રહેલા પંચકોશી પરિક્રમા માર્ગની નજીક 8 એકર જમીન લીધી.
જયવંતપુરા : ઉજ્જૈન-મક્ષી રોડ (જે ફોર-લેન બની રહ્યો છે) ની દક્ષિણે 12 પ્લોટમાં 6 એકર જમીન ખરીદી.
મુખ્યમંત્રી પરિવાર દ્વારા ખરીદાયેલ આ જમીનો અને ત્યાં શરુ થયેલ સરકારી પ્રોજેક્ટ્સ વિવાદ ખડો કરે છે.
શિક્ષણ મંત્રીથી મુખ્યમંત્રી સુધી: લેન્ડ બેંકનો ગ્રાફ
તપાસમાં ખુલાસો થયો છે કે સીએમ બન્યા પહેલા પણ આ પરિવાર પાસે મોટી જમીનો હતી. મોહન યાદવ જ્યારે રાજ્યના શિક્ષણ મંત્રી હતા (2021-23), ત્યારે તેમના પરિવારે (પુત્ર વૈભવ અને બહેન કલાવતી સહિત) ઉજ્જૈનની આસપાસ 179 એકર ધરાવતા 108 પ્લોટ ખરીદ્યા હતા. પરંતુ ડિસેમ્બર 2023માં સીએમ પદ સંભાળ્યા બાદ જમીન ખરીદવાની ઝડપ બમણી થઈ ગઈ. એકલા વર્ષ 2025માં જ જ્યારે મધ્યપ્રદેશ સરકાર ઉજ્જૈનમાં કુંભમેળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સ્થાનિક ખેડૂતોની જમીન એકત્ર કરવાનો પ્રસ્તાવ લાવી રહી હતી અને તીવ્ર વિરોધ થઈ રહ્યો હતો, ત્યારે જ સીએમના પરિવારે 92 એકરમાં ફેલાયેલા 62 નવા પ્લોટ પોતાના નામે કરી લીધા હતા!
જમીન ખરીદદારોની યાદીમાં મુખ્યમંત્રીનો આખો પરિવાર સામેલ
આ જમીન ખરીદી કોઈ સામાન્ય વ્યાપારી સોદો નથી, પરંતુ હિતોના ટકરાવ અને રાજકીય શિષ્ટાચાર સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કરે છે. માલિકીના સત્તાવાર દસ્તાવેજો મુજબ ખરીદદારોની યાદીમાં મુખ્યમંત્રીનો આખો પરિવાર સામેલ છે: સીમા યાદવ (મુખ્યમંત્રીના પત્ની), શાલિની યાદવ (પુત્ર વૈભવની પત્ની – પુત્રવધૂ), નંદલાલ અને નારાયણ યાદવ (મુખ્યમંત્રીના ભાઈઓ), રેખા યાદવ (ભાઈ નારાયણની પત્ની) અને અભય યાદવ (તેમનો પુત્ર)
ગોવિંદ અને નીલેશ યાદવ (મુખ્યમંત્રીના પિતરાઈ ભાઈઓ) આ ખરીદીઓ કાં તો સીધી વ્યક્તિગત નામે અથવા પરિવાર દ્વારા સંચાલિત 4 રિયલ એસ્ટેટ કંપનીઓ દ્વારા કરવામાં આવી છે.
ડેવલપર્સ સાથે મોટો મિલિભગતનો ખેલ
યાદવ પરિવારે માત્ર જમીનો ખરીદી નથી, પરંતુ તેને બિલ્ડરો સાથે મળીને કરોડોના પ્રોજેક્ટ્સમાં ફેરવી દીધી છે:
ગંગેડી પ્રોજેક્ટ (67.8% નો ખેલ): પિતરાઈ ભાઈ ગોવિંદ યાદવે ગંગેડીમાં ખરીદેલી 41 એકર જમીન ઇન્દોરના ‘શાંતિ મહાલોક બિલ્ડર્સ’ ને ડેવલપમેન્ટ માટે સોંપી દીધી. કરાર મુજબ, બિલ્ડર પોતાના ખર્ચે પ્રોજેક્ટ બનાવશે અને વિકસિત પ્રોપર્ટીનો 67.8% (અથવા અન્ય પ્લોટ્સમાં 60%) મોટો હિસ્સો ગોવિંદ યાદવને આપશે.
‘સાવરિયા’ બ્રાન્ડ હેઠળ મોટો વિસ્તાર: બીજા પિતરાઈ ભાઈ નીલેશ યાદવે ‘શ્રી અન્નપૂર્ણા કન્સ્ટ્રક્શન’ દ્વારા મધ્યપ્રદેશ રેરા (MP RERA) માં ઓક્ટોબર 2024 થી નવેમ્બર 2025 વચ્ચે 4 મોટી હાઉસિંગ સ્કીમ્સ રજીસ્ટર કરાવી છે:
શ્રી સાવરિયા ધામ (કરડિયા) – 7.5 એકર (ઓક્ટોબર 2024)
સાવરિયા ડ્રીમ્સ (ચંદેસરા) – 5 એકર (સપ્ટેમ્બર 2024)
સાવરિયા ગ્રીન (ધેડિયા) – 12.13 એકર (સપ્ટેમ્બર 2025)
શ્રી સાવરિયા રેસિડેન્સી (નાનાખેડા) – 3.7 એકર (નવેમ્બર 2025)
આ આખી તપાસ દર્શાવે છે કે કેવી રીતે સત્તાના કેન્દ્રમાં બેસીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની જાહેરાતો પહેલા કે તેની સાથે જ પારિવારિક સામ્રાજ્ય ઊભું કરવામાં આવ્યું છે, જેણે હવે મધ્યપ્રદેશના રાજકારણમાં એક નવો ભ્રષ્ટાચાર અને હિતોના ટકરાવનો મોટો વિવાદ છેડી દીધો છે.




