તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સુનિલભાઈ ડાંગરે મુખ્યમંત્રીને લખ્યો પત્ર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
માણાવદર તાલુકાનાં વાડાસડા ગામે ભારે વરસાદથી ખૂબ જ નુકસાન થયું છે ત્યારે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માણાવદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સુનિલભાઈ ડાંગરે રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે.
- Advertisement -
આ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે, ભાદર નદીમાં આવેલ વાડાસડા-ભીમોરા ચેકડેમ ત્રણ વર્ષ પહેલા ભારે પાણીના પ્રવાહના કારણે ક્ષતિગ્રસ્ત થયેલ હતો. જેના કારણે દર વર્ષે ચોમાસા માં ભાદર નદીમાં ભારે પાણીનો પ્રવાહ ના કારણે ભાદર નદી ચેકડેમના ક્ષતિગ્રસ્ત સ્થેળેથી ખેતરોના કાંઠાનું ધોવાણ કરી ને ભાદર નદીના કાંઠાના વાડાસડા ગામના બધા ખેતરોમાં ભારે પ્રમાણમાં જમીન નું ધોવાણ કરી ને ખેડૂતોને ભારે નુકશાની થાય છે. આથી અમારી માંગણી છે કે ક્ષતીગ્રસ્ત થયેલ વાડાસડા-ભીમોરા ચેકડેમ તોડી નાખવામાં આવે અને જે ખેતરોનું ધોવાણ થયેલ છે એનું રીપેર કામ કરી અને ભાદર નદીના કાંઠે પૂર સરંક્ષણ દીવાલ બનાવવામાં આવે. આ બાબતે આપનું ધ્યાન દોરવાનું કે, આ પૂર સરંક્ષણ દીવાલ બાબતનો પાયલોટ પ્રોજેકટ સરકારશ્રી માંથી મંજૂર પણ થઈ ગયેલ છે પરંતુ તેનું કામ હજુ સુધી શરૂ થયેલ નથી જેના કારણે ખેડૂતો એ છેલ્લા ત્રણ વર્ષથી સતત ભારે નુકશાનીનો સામનો કરી રહ્યા છે ત્યારે આ બાબતે યોગ્ય કાર્યવાહી ખેડૂતોને નુકસાનીથી બચાવવા રજૂઆત કરી છે.