ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરની શોભા વધારવા માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરનાં વિવિધ મુખ્ય ચોકમાં વિશાળ સર્કલ ઊભા કરવામાં આવ્યા હતા. જોકે, આ સર્કલનાં કારણે ટ્રાફિકજામ થવાની શક્યતા મનપાને દેખાઈ નહોતી. આ કારણે લાખો રૂપિયાનાં ખર્ચે આકર્ષક સર્કલ ઊભા કરાયા હતા. જોકે, ટ્રાફિકજામ થવાનું કારણ આ મસમોટા સર્કલ હોવાનો અભિપ્રાય સુરતની એજન્સીએ આપ્યા બાદ આ સર્કલો તોડી નાના કરવાનો નિર્ણય લેવાયો હતો. જે કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ, મોટા સર્કલો બનાવવામાં આવતા ટ્રાફિકની સમસ્યા ઉદભવી રહી છે. જેને લઈ મનપાએ સુરતની એજન્સી પાસેથી અભિપ્રાય મેળવીને આ મોટા સર્કલો તોડવાની કામગીરી શરૂ કરી હતી.
- Advertisement -
આજે સવારે કોટેચા સર્કલથી મોટા સર્કલ તોડવાની આ કામગીરી શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં 150 ફૂટ રીંગરોડ ઉપર આવેલ રૈયા ટેલિફોન એક્સચેન્જ સર્કલ, મોકાજી સર્કલ, નાણાવટી ચોક સહિતના સર્કલ નાના કરવામાં આવશે.
રાજકોટ શહેરની શોભા વધારવા મહાનગરપાલિકા દ્વારા જુદી-જુદી જગ્યાએ મસમોટા સર્કલ બનાવવામાં આવ્યા હતા. જેમાં લાખો રૂપિયાનું આંધણ પણ કરાયું હતું. જોકે, જે સ્થળે આવા સર્કલ હોય ત્યાં ટ્રાફિકજામ થતો હોવાનું સુરતની એજન્સીએ કરેલા સર્વેમાં જાણવા મળ્યું હતું. જેને લઈને આ સર્કલ તોડી નાના કરવા માટે નિર્ણય મનપાનાં શાસકો દ્વારા કરવામાં આવ્યો હતો. આ કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. જોકે, સર્કલો તોડી નાના કર્યા બાદ ટ્રાફિકની સમસ્યામાં કેટલી રાહત મળશે તે તો આવનારો સમય જ બતાવશે. પણ પ્રજાનાં લાખો રૂપિયા વેડફાઈ જશે તે નિશ્ચિત છે.
કયા કયા સર્કલ કપાશે?
(1) રૈયા એકસચેંજ ચોક
(ર) કોટેચા ચોક
(3) ગ્રીનલેન્ડ ચોક
(4) ભકિતનગર સર્કલ
(પ) જિલ્લા પંચાયત ચોક
(6) આજી ડેમ સર્કલ
(7) અમુલ સર્કલ (80 ફુટ રોડ)
(8) ચુનારાવાડ ચોક સર્કલ
(9) સોરઠીયાવાડી ચોક
(10) મોકાજી સર્કલ ચોક