139 ડેમ ઓવરફ્લો; અનરાધાર વરસ્યા બાદ પણ દાંતીવાડા, સિપુ ડેમ તરસ્યા
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે. આ વર્ષે રાજ્યમાં સરેરાશ કરતાં 41 ટકા વધુ વરસાદ થતા મોટાભાગના ડેમ છલોછલ થતા આવતા ચોમાસા સુધી પીવાના પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે. ચાર મહિનાના ચોમાસામાં રાજ્યના 139 ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે. સૌથી સારી વાત એ છે કે, ચારેય ઝોનના મહત્ત્વના ગણાતા નર્મદા સહિતના જે 18 ડેમ છે તેમાં 97.71 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થઈ ચૂક્યો છે. જ્યારે રાજ્યના તમામ ડેમોમાં પણ 96.99 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. રાજ્યમાં આ વર્ષે સૌથી ઓછો જળસંગ્રહ થયો હોય તો તે બનાસકાંઠાના સિપુ અને દાંતીવાડા ડેમ છે. ઉપરવાસમાંથી પાણીની ઓછી આવક થતાં સિપુ ડેમ તો ફક્ત 11.45 ટકા ભરાયો છે. જ્યારે દાંતીવાડા ડેમ 52.89 ટકા જ ભરાયો છે. આ વિસ્તારમાં નર્મદાનું પાણી કેનાલથી પહોંચતું હોય પીવાના પાણીની તો તકલીફ નહીં પડે પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહીં મળે અથવા ઓછું મળશે. રાજ્યમાં ચાલુ વર્ષે સારા વરસાદના કારણે 99.18 ટકા વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે. પરંતુ, સરેરાશ કરતાં 41 ટકા વધુ વરસાદના કારણે અનેક જિલ્લામાં ખરીફ પાકને નુકસાની થઈ છે. જો કે, પાણીની ઉપસ્થિતિના કારણે ખેડૂતોને રવિ સિઝનમાં ફાયદો થવાની શક્યતાઓ છે.રાજ્યમાં આ વર્ષે સરેરાશ કરતાં 41 ટકા વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના 207 ડેમમાં સરેરાશ 97 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે.
- Advertisement -
તો બીજી તરફ સારા વરસાદના કારણે રાજ્યમાં ખરીફ સિઝનનો જે કુલ વાવેતર વિસ્તાર છે તેના 99 ટકાથી વધુ વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે. જો કે, ભારે વરસાદના કારણે રાજ્યના અલગ અલગ જિલ્લામાં ખેતી પાકને નુકસાની પણ થઈ છે. ચાલુ વર્ષે સારા વરસાદ અને ડેમમાં નોંધપાત્ર પાણીના સંગ્રહના કારણે મગફળી, કપાસ, ડાંગરનું બમ્પર ઉત્પાદન થવાની આશા છે. આ ઉપરાંત રવી સિઝનમાં પણ સિંચાઈનું પાણી મળે તેવી સ્થિતિ હોઇ મગફળી, ઘઉં સહિતના પાકોનું પણ ઉત્પાદન મળી રહેશે.રાજ્યના કુલ 207 ડેમમાંથી 139 ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે. જ્યારે 46 ડેમ એવા છે કે જેમાં 70 ટકાથી 100 ટકા, 13 ડેમમાં 50 ટકાથી 70 ટકા જળસંગ્રહ થયેલો છે. જ્યારે 4 ડેમમાં 25 ટકાથી 50 ટકા અને 4 ડેમ એવા છે કે જેમાં 25 ટકા કરતાં પણ ઓછો જળસંગ્રહ થયો છે. મુખ્ય 18 જળાશયોની વાત કરીએ તો, 10 ડેમો 100 ટકા, 5 ડેમ 90 ટકાથી વધુ ભરાઈ ગયા છે. જ્યારે બનાસકાંઠાના દાંતીવાડા અને સિપુ ડેમમાં હજી પણ નોંધપાત્ર પાણીની ઘટ વર્તાઈ રહી છે. રાજ્યના તમામ ઝોનમાં સરેરાશ કરતાં 41 ટકા વધુ વરસાદ અને મુખ્ય જળાશયોમાં પણ નોંધપાત્ર પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાના કારણે સિંચાઈ અને પીવા માટે પૂરતું પાણી ઉપલબ્ધ બન્યું છે.