ઝેરી પદાર્થ આપી હત્યા કર્યા બાદ મૃતદેહને પાણીમાં નાખ્યાની આશંકા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
- Advertisement -
ઓઝત ડેમના છેવાડે પાણીમાં તરતો સિંહનો મૃતદેહ મળતાં ચકચાર મચી જવા પામી છે. જંગલ ખાતાંનાં જૂનાગઢ ડિવિઝન અને ગીર પશ્ચિમ ડિવિઝનની બોર્ડર પરથી શંકાસ્પદ હાલતમાં સિંહનો મૃતદેહ મળતાં વન વિભાગ ધંધે લાગ્યો છે. મૃતદેહ ખૂબ જ કોહવાયેલો હોવાથી સિંહનાં મોતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. બંને ડિવિઝનના સ્ટાફ દ્વારા થુંબાળા અને ઘંટીયાણની ઓઝત નદીના કાંઠા વિસ્તારમાં કોમ્બિંગ કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
અવાર-નવાર સિંહોના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળવાની ઘટનામાં વધુ એક ઉમેરો થયો છે.
ઓઝત નદીના કાંઠે આવેલ વિસાવદર તાલુકાનું ઘંટીયાણ ગામ ગીર પશ્ચિમ ડિવિઝનના વિસાવદર રેન્જ હેઠળ આવે છે, જ્યારે નદીનો સામો કાંઠો એટલે કે થુંબાળાની સીમ જૂનાગઢ નોર્મલ ડિવિઝનમાં આવે છે. થુંબાળાની ઓઝત નદીના કાંઠેથી ગઈકાલે એક સિંહનો પાણીમાં તરતો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ એટલી હદે કોહવાઈ ગયો હતો કે તેનું પોસ્ટમોર્ટમ કરવું એ પણ એક પડકાર હતો. સિંહનો મૃતદેહ પાણીમાં તરતો હોવાની વન વિભાગને જાણ કરતા જૂનાગઢ નોર્મલ ડીવીઝન અને વિસાવદર રેન્જનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી પાણીમાંથી મૃતદેહને બહાર કાઢી સક્કરબાગ ઝુ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પીએમમાં હજુ સુધી મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.