ફાયર સેફટી – BU સર્ટિફિકેટના નામે ઝીણકાં વેપારીઓને હેરાનગતિ, લોકોમાં ભારે રોષ
પાડાના વાંકે કીડીઓને ડામ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
રાજકોટમાં ટીઆરપી ઝોન અગ્નિકાંડની દુર્ઘટના બાદ સ્થાનિક તંત્ર દ્વારા ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ મામલે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા ફાયર સેફ્ટી અને બીયુ સર્ટિફિકેટની તપાસમાં નાના ધંધાર્થીઓ સૌથી વધુ હેરાન-પરેશાન થઈ રહ્યા હોઈ તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. શહેરના કેટલાય નાના વેપારીઓ, ટ્યુશન ક્લાસ અને સ્કૂલ સંચાલક સહિતના ધંધાર્થીઓ જે ફાયર સેફ્ટી અને બીયુ સર્ટિફિકેટના નિયમ પાળતા નથી તેમની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોર્પોરેશનની ટીમ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં 200થી વધુ મિલ્કતો પણ સીલ કરવામાં આવી છે. આ આખી કાર્યવાહીમાં નાના વેપારીઓ પણ વગર વાંકે દંડાઇ રહ્યા છે. જેને કારણે વેપારીઓથી લઈ લોકોમાં ભયંકર રોષની લાગણી ફરી વળી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના અગ્નિકાંડ બાદ શહેરભરમાં ફાયર એનઓસી, બીયુ પરમીશન અને વીજલોડ બાબતે ચેકિંગ ઝુંબેશ પૂરજોશમાં છે. જોકે લોકોની સલામતીનો મામલો હોય ત્યારે કડક પગલા આવકાર્ય છે પણ રાતોરાત તમામ મિલકતોમાં ફાયર સેફ્ટીના સાધનો લાગી શકે તેમ નથી અને બજારમાં આ સાધનો પણ ઉપલબ્ધ નથી ત્યારે આ બાબતે વ્યાવહારિક પગલાં જરૂરી છે. વળી રાજકોટમાં વર્ષો જૂની ઈમારતમાં ફાયર સેફટીની પાઈપ રાતોરાત ઉભી કરવી પણ ટેક્નિકલી શક્ય નથી. અહીં જાણકારોની કમી છે. તમામ બાબતોને ધ્યાને લેતા ફાયર સાધનો નાખવાથી લઈ બીયુ સર્ટિફિકેટ મેળવવા માટે પણ તંત્રએ ઓછામાં ઓછો છ મહિના જેટલો સમય આપવાની જરૂર છે.
- Advertisement -
ફાયર સેફ્ટીના મામલે કોઈ બાંધછોડ ન હોવી જોઈએ પણ સાથોસાથ જે લોકો અરજી કરે છે તેને સમયસર મંજૂરી આપવી, ફાયરના સાધનો બજારમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા પણ તંત્રએ કરવી જોઈએ. જે દુકાનો, કોમર્શિયલ પ્લેસ કે મિલકતો સીલ થઈ છે તેને ફક્ત ફાયર સેફ્ટીના સાધનો લગાડવા માટે ખોલી આપવી જોઈએ. લોકોમાં ડર અને ભયનો માહોલ ફેલાવવાને બદલે ફાયરના સાધનો ફિટ કર્યા બાદ તેનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ તેની તાલીમના કેમ્પો પણ યોજવા જોઈએ. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં 80 ટકા જેટલી મિલકતો-બાંધકામમાં ફાયર એનઓસી કે બીયુ સર્ટિફિકેટ છે જ નહીં. રાતોરાત ફાયર એનઓસી કે બીયુ સર્ટિફિકેટ મેળવવું શક્ય નથી ત્યારે તંત્ર નાના વેપારીઓ અને ધંધાર્થીઓની મજબૂરી સમજે એ આવશ્યક છે. સરકાર અને તંત્રએ સમગ્ર મામલે ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ મેળવવા માટે થોડો સમય આપવો જોઈએ તેમજ આડેધડ મિલકતો સીલ કરવાથી બચવું જોઈએ.
નાનાં વેપારીઓની કનડગત બંધ કરો, તમારી ભૂલોની સજા સામાન્યજનને ન આપો
રાજકોટ અગ્નિકાંડની દુ:ખદ દુર્ઘટનામાં પાડાને વાંકે પખાલીને ડામ અને સૂકા પાછળ લીલું બળે એવી સ્થિતિ સર્જાઈ છે. આખીયે દુર્ઘટના પાછળ તંત્રની ઘોર બેદરકારી હતી અને હવે આ દુર્ઘટના બાદ તંત્ર પોતાની ભૂલોનો ઢાંક પીછોળો કરવા નાના વેપારીઓ પર તવાઈ બોલાવી રહ્યું છે જે તદ્દન ગેરવાજબી છે. તંત્રએ જ્યાં ભીડ ભેગી થતી હોય તેવી મોટી કોમર્શિયલ સાઇટ સીલ કરવી જોઈએ તેની જગ્યાએ નાના વેપારીઓની મિલકતો જ્યાં જૂજ માણસો ભેગા થતા હોય છે તેને સીલ કરી મોટી કાર્યવાહી કરવાની શેખી મારે છે. તંત્રની ભૂલને કારણે સર્જાયેલા અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા હવે સામાન્યજનને સજા અપાતા લોકોમાં સરકાર-સિસ્ટમ પ્રત્યે ભયંકર નારાજગી વ્યાપી ગઈ છે.