ભોમેશ્વરમાં માત્ર ટુ વ્હીલરને જવાની પરવાનગી અપાઈ છતાં ફોર વ્હીલર આવી જતાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ
આજથી રાજકોટ-જામનગર રોડ પરના સાંઢીયા પુલને પરિવહન માટે બંધ કરવામાં આવ્યો છે ત્યારે આજે પહેલાં જ દિવસે વાહનચાલકો માટે જે વૈકલ્પિક રસ્તો આપવામાં આવ્યો હતો તે ભોમેશ્વર રોડ પર સવાર સવારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ વૈકલ્પિક રસ્તો માત્ર ટુ વ્હીલર્સ માટે જ છે ત્યારે અહીં ફોર વ્હીલર્સના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા એટલું જ નહીં પરંતુ અહીં એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી.
- Advertisement -
રાજકોટ જામનગરને જોડતા સાંઢીયા પુલ પરથી દરરોજ હજારો વાહનો પસાર થતાં હોય છે ત્યારે હવે આ ફોરલેન પુલ નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવતા ભોમેશ્વરપાસે વાહનોના ચક્કાજામ થયા હતા. વાહનચાલકો માટે વૈકલ્પિક રૂપથી ભોમેશ્વર મંદિરથી જામનગર રોડ તરફ રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે અને માત્ર ટુ વ્હીલર બંને તરફ ચાલી શકશે અન્ય વાહનો માટે વન-વે રહેશે આ અંગે પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું હોવા છતાં આજે ફોર વ્હીલર્સ આવી જતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. હવે જોવું રહ્યું કે આ અંગે તંત્ર શું પગલાં ભરશે?