કોરોનામાં પિતાનું મૃત્યુ થતા પુત્રે પુણ્યતિથિ પર કર્યો મહારક્તદાન કેમ્પ : રેકોર્ડ બ્રેક રક્ત એકત્ર કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
માણાવદરમાં મરમઠમાં અનોખી રીતે પુણ્યતિથીની ઉજવણી કરવામાં આવી હતી.કોરોનામાં અવસાન પામેલા પિતાને શ્રધ્ધાંજલી આપવા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 625 બોટલ રકત એકત્ર થયું હતું. આજ સુધીનાં કેમ્પનો સૌથી વધુ રકત એકત્ર થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ગત વર્ષે કોરોનામાં અનેક લોકોનાં મૃત્યુ થયા હતાં. ચાલુ વર્ષે પરિવારજનો દ્વારા પ્રથમ પુણ્યતિથી ઉજવવામાં આવી રહી છે. સ્વજનની પ્રથમ પુણ્યતિથીએ વિવિધ ધાર્મિક કાર્ય કરવામાં આવી રહ્યાં છે. ત્યારે માણાવદર તાલુકાનાં મરમઠ ગામે અનોખી રીતે પુણ્યતિથીની ઉજવણી કરાઇ હતી. મરમઠમાં કોરોનામાં મૃત્યુ પામેલા પિતાની પ્રથમ પુણ્યતિથીએ પુત્રે મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું.જેમાં 625 બોટલ રક્ત એકત્ર થયું હતું.આ અંગે હમીરભાઇ રામે જણાવ્યું હતું કે, માણાવદરનાં મરમઠ ગામનાં ભીખાભાઇ ભાટુનું ગત વર્ષે કોરોનામાં અવસાન થયું હતું. પુત્ર દિપકભાઇ અને પરિવાર દ્વારા શ્રધ્ધાંજલી આપવા મહારકતદાન કેમ્પનું આયોજન કર્યું હતું.
આ કાર્યમાં સમસ્ત ગામ જોડાઇ ગયું હતું અને રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો. પિતાની પ્રથમ પુણ્યતિથીએ યોજાયેલા રકતદાન કેમ્પમાં 625 બોટલ રકત એકત્ર થયું હતું. તમામ રકત જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું. જેનાથી સિવીલમાં રકતની ઘટ ઓછી થશે. મરમઠનાં ભાટુ પરીવારે સમાજને એક નવો રાહ ચિંધ્યો છે. પુણ્યતિથીએ રકતદાન કરી અન્ય લોકોની રકતથી નવું જીવન મળી શકે છે. પુણ્યતિથી નિમીતે સૌથી વધુ રક્ત એકત્ર થયું છે. મરમઠમાં પુણ્યતિથી રેકોર્ડ બ્રેક રકત એકત્ર થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.


