જૂનાગઢના સાબલપુર ચોકડી પર પંપ સંચાલકની મનમાની, આપદામાં અવસર શોધ્યો: સંચાલકે કહ્યું, ત્રણ લોકોએ કલેક્ટરમાં ફરિયાદ કરી છે, કંપની અમને ઓઇલ આપે છે
પેટ્રોલ પંપ ઉપર સવારથી જ લાઈનો, બીજી તરફ મજબૂરીનો લાભ ઉઠાવતા કેટલાક પંપ સંચાલકો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં એકતરફ ડીઝલની ભીષણ અછતને કારણે જનતા ત્રાહિમામ પોકારી રહી છે, ત્યારે બીજી તરફ કેટલાક પેટ્રોલ પંપ સંચાલકો આ આપત્તિને અવસરમાં બદલીને ગ્રાહકોની લાચારીનો ગેરલાભ ઉઠાવી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઇંધણની તંગી વચ્ચે પંપ સંચાલકોની આવી જોહુકમી અને મનમાનીને કારણે સામાન્ય નાગરિકો અને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. હાલ ઉનાળુ પાકની સીઝન અને ચોમાસાની પૂર્વ તૈયારીઓનો સમય હોવાથી ખેડૂતો માટે ડીઝલ અનિવાર્ય બન્યું છે. પરંતુ, જૂનાગઢના હાર્દ સમાન સાબલપુર ચોકડી પાસે આવેલા જય મહાદેવ ફ્યુઅલ્સ નામના પેટ્રોલ પંપ પર ગ્રાહકો સાથે ખુલ્લેઆમ અન્યાય થઈ રહ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ પંપ પર ડીઝલ લેવા આવતા વાહનચાલકો અને ખેડૂતોને સંચાલકો દ્વારા એવું ફરમાન સંભળાવવામાં આવી રહ્યું છે કે, જો ડીઝલ જોઈતું હોય તો તેની સાથે ફરજિયાત એન્જિન ઓઈલ ખરીદવું જ પડશે. જે ગ્રાહક ઓઈલ લેવાની ના પાડે, તેને ડીઝલ આપવાનો પણ સાફ ઇનકાર કરી દેવામાં આવે છે. કટોકટીના આવા સમયે જ્યારે લોકોને માત્ર થોડા લીટર ઇંધણ માટે કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવું પડે છે, ત્યારે પંપ સંચાલકો દ્વારા કરવામાં આવતી આવી ફરજિયાત ટેગિંગ (એક વસ્તુ સાથે બીજી વસ્તુ પરાણે પધરાવવી) ની નીતિ તદ્દન ગેરકાનૂની છે. ગ્રાહકોના મતે, આ પંપ સંચાલકો લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી પોતાનો નફો વધારવા માટે પઆપદામાં અવસરથ શોધી રહ્યા છે. ખેડૂતો પહેલાથી જ મોંઘા ભાવનું બિયારણ અને ખાતર ખરીદીને આર્થિક ભીંસમાં છે, તેમાં વળી વધારાનું ઓઈલ પરાણે ખરીદવું તેમના ખિસ્સા પર પડતા પર પાટુ સમાન સાબિત થઈ રહ્યું છે. જ્યારે આ મામલે પંપ સંચાલકે એક લુલો બચાવ કર્યો હતો. સંચાલકે દાવો કર્યો હતો કે, નસ્ત્રકંપની દ્વારા અમને ઇંધણના સપ્લાયની સાથે ફરજિયાત ઓઈલનો જથ્થો પણ મોકલવામાં આવે છે, જેથી અમારે આ ઓઈલ વેચવું પડે છે. એટલું જ નહીં, સંચાલકે પાવરભર્યા લહેકામાં એવું પણ કહી દીધું કે, આ મામલે કલેક્ટર કચેરીમાં ઓલરેડી ત્રણ લોકોએ ફરિયાદ કરી જ દીધી છે. સંચાલકનું આ વિધાન દર્શાવે છે કે તેમને તંત્ર કે કાયદાનો કોઈ ડર રહ્યો નથી.
વહીવટી તંત્રની સુસ્તી સામે સવાલો ઉઠ્યા
- Advertisement -
માત્ર સાબલપુર ચોકડી જ નહીં, પણ જૂનાગઢ ગ્રામ્ય અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ પેટ્રોલ-ડીઝલની તંગીના કારણે આ મામલો વધુ બિચક્યો છે. સવારના સાત વાગ્યાથી જ પંપો બહાર ટ્રેક્ટરો, ટ્રકો અને બાઈકોની કિલોમીટરો લાંબી લાઈનો જોવા મળે છે. કલાકોની પ્રતીક્ષા બાદ જ્યારે ગ્રાહકનો વારો આવે, ત્યારે પંપ બંધ થઈ જાય અથવા તો આવા વિચિત્ર નિયમો થોપી દેવામાં આવે છે. આવી ગંભીર પરિસ્થિતિ અને કાળાબજારી તેમજ મનમાનીની ફરિયાદો ઉઠવા છતાં વહીવટી તંત્ર કે પુરવઠા વિભાગ દ્વારા હજુ સુધી કોઈ નક્કર અને કડક કાયદાકીય પગલાં લેવામાં આવ્યા નથી.



