NEET પેપર લીકના વિરોધમાં દિલ્હીના જંતર મંતર ખાતે કોક્રોચ જનતા પાર્ટીની આગેવાનીમાં વિદ્યાર્થીઓનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે તેમના સમર્થનમાં રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આજે એક દિવસીય ધરણા પ્રદર્શન યોજાયું છે. જેમાં મોદીના ફોટા સાથે ન પઢા હું; ના પઢને દુંગા, વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરનાર ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, પેપર ચોર – ગદ્દી છોડ, વિદ્યાર્થીઓ પર ખીલી સાથેના દંડા મારવામાં આવ્યા, દીકરીઓને ઇલેક્ટ્રિક શોક અપાયો જેવા પોસ્ટર બતાવવામાં આવ્યા હતા. આ તકે AAP ના પ્રમુખે આક્ષેપ કર્યો કે આજે વિદ્યાર્થીઓ મરી રહ્યા છે છતાં ભાજપના ધારાસભ્યો કે સાંસદોના મોં માં મગ ભર્યા છે. પેપર લીક 2500 કરોડનું કૌભાંડ હોવાનો આક્ષેપ કર્યો તો અત્યારસુધીમાં 90 થી વધુ પેપર લીક થયા હોવાનું જણાવ્યું હતું. આમ આદમી પાર્ટીના રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશીએ જણાવ્યુ હતુ કે, આજે અમે અહીંયા સાંજે 5 વાગ્યા સુધી બેસવાના છીએ અને પેપર લીક જે કૌભાંડ થયું છે. એ સામાન્ય ઘટના નથી. અમે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગીએ છીએ. સાથે સાથે આ જે રદ્દ પરીક્ષા થઈ, એના દોઢ મહિનામાં 13 છોકરાના મૃત્યુ થયા છે. દોઢ જ મહિનામાં યુપી હોય, રાજસ્થાન હોય, અમદાવાદ હોય અને ઘણા રાજ્યોની અંદર આ છોકરાઓના મૃત્યુ થયા છે. એટલે અમારી માગણી છે કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પેપર લીક સૌથી વધારે ગુજરાતમાં થાય છે. અત્યાર સુધીમાં 90 થી વધારે પેપર લીક થયા છે. ભાજપના ધારાસભ્યો અને સાંસદ સભ્યો એના મોઢામાં મગ ભર્યા છે અત્યારે, એ બધા ક્યાં ખોવાઈ ગયા? દર્શિતાબેન નથી, ઉદયભાઈ કાનગડ નથી, આપણા સાંસદ સભ્ય નથી, રમેશભાઈ ટિલાળા નથી. આ બધા એના મોઢામાં મગ ભર્યા છે એટલે ચૂપ બેઠા છે.
બહુમાળી ભવન ચોકમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે AAPના ધરણા

You Might Also Like
Follow US
Find US on Social Medias



