મનની અગાધ શક્તિ વિશે વિશ્વભરની તમામ ભાષાઓમાં અસંખ્ય પુસ્તકો લખાયાં છે. માઇન્ડ પાવર વિષય પરના આ પુસ્તકો ચપોચપ છપાય છે અને એટલી ઝડપથી વેચાઈ પણ જાય છે. આવા પુસ્તકો વાંચવાથી કેટલા લોકોનો માઈન્ડ પાવર વધ્યો તે અભ્યાસનો વિષય છે. મનની અગાધ શક્તિનો ઉપયોગ કરીને તમે જે ઈચ્છો તે બની શકો છો. આવી લાલચમાં આવીને લોકો આવા પુસ્તકો ખરીદતા હોય છે. વાસ્તવમાં મનની અગાધ શક્તિ વિશે જરા પણ શંકા સેવવાની જરૂર નથી. મન ધારે તો તમને વિષય વસ્તુ તરફ ઘસડી જાય છે, ભૌતિક સુખ અને સાધનોની પ્રાપ્તિ તરફ લઈ જાય છે, સામાજિક પદ, પ્રતિષ્ઠા અને વૈભવી જીવન તરફ દોરી જાય છે. આ બધું શક્ય છે પણ મનની અગાધ શક્તિનો જો સાચો સદુપયોગ કરવો હોય તો આપણે તેની પાસેથી સાવ જુદી જ અપેક્ષા રાખવી જોઈએ. મનને એટલી જ વિનંતી કરીએ કે તે આપણને અધ્યાત્મની દિશામાં દોરી જાય, બ્રહ્મજ્ઞાન તરફ ખેંચી જાય અને તમામ વિષય વિકારો, કામનાઓ અને ઈચ્છાઓથી વિરુદ્ધ દિશામાં લઈ જાય.