45 મિનિટ ફૂલ ફોર્સથી પાણી વિતરણથી 20 મિનિટ ધીમા ફોર્સથી વિતરણ : વિકાસનું આ ક્યું મોડેલ છે ?
શહેરમાં તળ ઊંચા લાવવા રિચાર્જ બોરવેલ બનવા જોઇએ – કોઇ બનાવતું નથી
- Advertisement -
ભૂતકાળમાં બિલ્ડર આશિષ મહેતાએ સ્વખર્ચ આવા બોરવેલ બનાવવા ઓફર કરી હતી – કોઇએ સાંભળ્યું નહીં
ગુજરાતમાં અત્યારે ચોતરફ આકાશમાંથી સોનું વરસી રહ્યું છે. પંથકના પંથક જળબંબાકાર છે, રસ્તા પર ખાબોચિયા અને ખેતરોમાં તળાવડીઓ ભરાઈ છે. છેલ્લાં દોઢેક દાયકાથી ચોમાસું દર વર્ષે સોળ આની કે વીસ આની રહ્યું છે. કુદરતની આટઆટલી મહેરબાની છતાં રાજકોટ- સૌરાષ્ટ્રમાં ડીસેમ્બર-જાન્યુઆરીથી પાણીની ખેંચ ચાલુ થઈ જાય છે. કારણ શું? પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી. આપણાં શાસકો ગરણું લઈ ઝીલવા ઉભા છે.
વસતિ વધતી ગઈ, જરૂરિયાતો વધતી ચાલી. આપણે રસ્તાઓ બનાવ્યા. સ્ટ્રીટ લાઈટ નાંખી, વીજળી પહોંચાડી પરંતુ જળસંગ્રહની ક્ષમતા વધારવા શાસકોએ અને બ્યૂરોકસીએ કશું જ ધ્યાન ન આપ્યું. છેલ્લાં પચાસ-સાંઠ વર્ષોમાં વસતિ ચારગણી થઈ ગઈ, શહેરો લાંબા-પહોળા થઈ ગયા પણ નવા જળાશયો ન બન્યા. સરેરાશ વરસાદ વધી ગયો, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અગાઉની સરખામણીએ વરસાદ વધ્યો છે પણ આપણે માનવીની તરસ છીપાવી શક્યાં નથી.
- Advertisement -
સ્ટોરેજ ક્યાં છે? સંગ્રહ ક્ષમતા કયાં? આકાશમાંથી વરસતું લિક્વિડ ગોલ્ડ આપણી નજર સામે જ સમુદ્રમાં વહી જાય છે અને આપણે લાચાર થઈને નિહાળ્યા કરીએ છીએ. આભાર માનો નર્મદા યોજનાનો કે, દર વર્ષે ઈમર્જન્સીની સ્થિતિમાં સૌની યોજના થકી ડેમ ભરવામાં આવે છે. સવાલ એ છે કે, દરેક શહેર-નગરમાં તેની વસતિ માટે સ્વનિર્ભરતા શા માટે નહીં? રાજકોટ જેવાં શહેરમાં છેલ્લાં લગભગ ત્રીસ-પાંત્રીસ વર્ષોથી પાણીકાપ અમલમાં છે. મીટર પર ચોવીસ કલાસ અવિરત પાણી આપવાનાં ઠાલાં વચનો વચ્ચે વીસ મિનિટ પણ ફૂલ ફોર્સમાં પાણી મહાનગરપાલિકા આપી શકતી નથી. પાંત્રીસેક વર્ષ પહેલાં દરરોજ ઘેર પિસ્તાલીસ મિનિટ પાણી વિતરણ થતું. નબળું વર્ષ આવ્યું અને વિતરણ ૩૦ મિનિટ કરવામાં આવ્યું. એ પછી કાયમી વીસ મિનિટ વિતરણ કરી નખાયું. લોકોને ભૂલાવી દેવાયું કે, આ પાણીકાપ છે. પાંત્રીસ વર્ષની આ ભવ્ય પ્રગતિ છે. ૪૫ મિનિટ ફુલ ફોર્સથી પાણી વિતરણથી વીસ મિનિટ ધીમા ફોર્સથી વિતરણ. વિકાસનું આ ક્યું મોડેલ છે!
જળ સમસ્યાનો કાયમી હલ કરવા કશા જ નક્કર પ્રયત્નો થયા નથી. રાજકોટ જેવાં શહેરમાં અમે વર્ષો પહેલાં ડંકી કરાવી ત્યારે પંદર ફૂટે પાણી આવ્યું હતું, આજે પાંચસો-હજાર ફૂટે પણ નસીબ હોય તો જ પાણી નીકળે. ધરતીની છાતી આપણે છીદ્રો કરીને વીંધી નાંખી છે, કારણ કે, શાસકો ઘર સુધી પર્યાપ્ત પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા છે. નહીંતર લોકોએ બોરવેલ કરાવવો જ પડે શા માટે?
તળ ઊંચા લાવવા ઑથોરિટીએ આજ લગી શું કર્યું? ઊલટું પેવર બ્લૉક નાંખીને પાણીને જમીનમાં ઉતરતું બંધ કરી દેવાયું. શહેરમાં તળ ઊંચા લાવવા રિચાર્જ બોરવેલ બનવા જોઈએ-કોઈ બનાવતું નથી. ભૂતકાળમાં બિલ્ડર આશિષ મહેતાએ સ્વખર્ચે આવા બોરવેલ બનાવવા ઓફર કરી હતી- કોઈએ સાંભળ્યું નહીં. આખા સૌરાષ્ટ્રમાં નવા જળાશયો બનાવવાની જરૂર છે, પાણીનું લેવલ ઊંચુ લાવવા પ્રચંડ પ્રયત્નોની આવશ્યકતા છે. ન કરે નારાયણ અને કોઈ વર્ષે મધ્યપ્રદેશમાં વરસાદ ન પડ્યો અને સરદાર સરોવર ન છલકાયું તો? ચેતી જવાનો સમય પણ વીતી ગયો છે. ત્વરિત એકશન એકમાત્ર વિકલ્પ છે.



