કિશોરાવસ્થામાં વધતી અપરાધવૃત્તિ અને જાતીય અપરિપક્વતા પર મનોવૈજ્ઞાનિક વિશ્ર્લેષણ
શારીરિક રીતે પુખ્ત પણ માનસિક રીતે અપરિપક્વ: સગીરોમાં વધતા ગુનાઓનું મુખ્ય કારણ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા તાજેતરમાં 10 જેટલા ગંભીર અને ચકચારી કિસ્સાઓનો ઊંડો અભ્યાસ કરવામાં આવ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજના બદલાતા યુગમાં કિશોરોમાં વધતી જતી ગુનાહિત માનસિકતા અને જાતીય અપરિપક્વતા સમાજ માટે ચિંતાનો વિષય બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા તાજેતરમાં 10 જેટલા ગંભીર અને ચકચારી કિસ્સાઓનો ઊંડો અભ્યાસ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે સગીરોમાં નૈતિક પતન અને ડિજિટલ એક્સપોઝરના કારણે ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.
આ સંશોધન દરમિયાન રાજકોટના શાપર-વેરાવળમાં 13 વર્ષની કિશોરીએ 15 વર્ષના કિશોર સાથેના સંબંધથી બાળકને જન્મ આપ્યો હોય કે પોરબંદરમાં 12 વર્ષના કિશોરે 4 વર્ષની બાળકી પર અત્યાચાર ગુજાર્યો હોય-આ તમામ કિસ્સાઓ હચમચાવી દે તેવા છે. અમદાવાદ, સુરત, વડોદરા અને જામનગર જેવા શહેરોમાં પણ સોશિયલ મીડિયાની જાળ, મોબાઈલ ગેમ્સ અને યુટ્યુબના ખોટા પ્રભાવ હેઠળ 12 થી 15 વર્ષના સગીરો ગંભીર ગુનાઓમાં સંડોવાયા છે. પૂણેમાં એક 14 વર્ષની કિશોરીએ યુટ્યુબ જોઈ જાતે ડિલિવરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જે અપરિપક્વ માહિતીના જીવલેણ દુરુપયોગની પરાકાષ્ઠા દર્શાવે છે.
મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરતા પ્રો. ડો. યોગેશ એ. જોગસણ (સીનિયર પ્રોફેસર, મનોવિજ્ઞાન ભવન) જણાવે છે કે, “શારીરિક પુખ્તતા અને માનસિક પરિપક્વતા વચ્ચેનું વધતું અંતર જ ગુનાખોરીનું મૂળ છે. બદલાતી જીવનશૈલીને કારણે ’અર્લી પ્યુબર્ટી’ વહેલી આવે છે, પરંતુ મગજનો ’પ્રી-ફ્રન્ટલ કોર્ટેક્સ’ ભાગ, જે સારા-નરસાનો વિવેક કરે છે, તે હજુ વિકસિત હોતો નથી. પરિણામે, ક્ષણિક આવેગમાં આવીને કિશોરો આવા જઘન્ય ગુના આચરે છે.” બીજી તરફ, ડો. ધારા આર. દોશીના મતે, ડિજિટલ એક્સપોઝર બાળકોમાં વિકૃત કુતૂહલ જન્માવે છે. સ્માર્ટફોન પર ઉપલબ્ધ પોર્નોગ્રાફી અને અનફિલ્ટર્ડ ક્ધટેન્ટ કિશોરોમાં ’હાયપર-સેક્સ્યુઆલિટી’ પેદા કરે છે.
તારણો મુજબ, 80% કિસ્સાઓમાં માતા-પિતાની ગેરહાજરી અથવા એકલતા જવાબદાર જોવા મળી છે. મોબાઈલ અને સોશિયલ મીડિયા દ્વારા મળતો ’ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન’ (ત્વરિત સંતોષ) બાળકોને જોખમી નિર્ણયો લેવા પ્રેરે છે. આ સ્થિતિને રોકવા માટે શાળાઓમાં માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પણ ’લાઈફ સ્કીલ એજ્યુકેશન’ અને જાતીય શિક્ષણ વૈજ્ઞાનિક ઢબે આપવું અનિવાર્ય છે. વાલીઓએ પણ બાળકોને મોંઘા ફોન આપવાને બદલે તેમની ડિજિટલ એક્ટિવિટી પર દેખરેખ રાખી તેમને ’ક્વોલિટી ટાઈમ’ આપવાની જરૂર છે. આ અહેવાલ સાબિત કરે છે કે કિશોરોમાં વધતી અપરાધવૃત્તિ એ માત્ર વ્યક્તિગત ભૂલ નથી પરંતુ સામાજિક વિઘટનનું પરિણામ છે.



