ધ્રુવા ઉનડકટ
10 મે, 1857 બ્રિટિશ સરકારની ગુલામીમાંથી મુક્તિ મેળવવા માટેની પ્રથમ ચળવળ હતી : આ સંગ્રામમાં માત્ર ભારતીય હિન્દૂ સિપાહીઓ જ નહીં પરંતુ મુસ્લિમ લડવૈયાઓ, સામાન્ય નાગરિકજનો, વેપારીઓ, મહિલાઓ પણ જોડાયા હતા
- Advertisement -
જે ઇતિહાસને વાગોળતા રહે છે, તે શ્રેષ્ઠ ભવિષ્ય પામે છે. જૂની-પૂરાણી પારંપારિક કથાઓના સ્મરણને કારણે આપણે ઘણીવાર અમુક પ્રકારની ભૂલો કરતાં અટકી જઈએ છીએ. અન્યના અનુભવો પરથી આપણને જ્ઞાન મળી રહે છે. શરત એટલી રહે છે કે આપણા દેશમાં, સમાજમાં અગાઉ બનેલ ઘટનાઓ જાણવી ને સમજવી પડે. હવે આજના જમાનામાં તો કોઈકને પાંચ વર્ષ પહેલાનો કંઈક સવાલ પૂછીએ તો જવાબ આવે, ’ભાઈ, કાલે શું જમ્યો એ પણ યાદ નહીં, તું આવા સવાલો ક્યાં કરે છે’? પણ પારકી પંચાતો કરો એટલે બધું આવડે ને બધું ફાવે. આવા લોકો માટે આજનો દિવસ શું કામ ખાસ છે તે જાણવું જોઈએ કેમકે તે જાણ્યા બાદ હાલ દેશને જે હાલાકીઓનો સામનો કરવો પડે છે તેના વિશે પણ ખ્યાલ આવશે. આ સિવાયના લોકો કે જેઓ ઇતિહાસમાં રુચિ ધરાવે છે તેમને પણ રસપ્રદ લાગે તેવી વાત છે! આજથી ઠીક 168 વર્ષ પહેલા ઉત્તરપ્રદેશનાં મેરઠ શહેરમાં સ્વતંત્રતાના આગની ચિંગારી ઉઠી હતી. તે સમયે અંગ્રેજો અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીઓની ગુલામીની જૂતી નીચે ભારતનો 2/3 ભાગ કચડાઈ જતો હતો. લોકો રોષે તો ભરાયા હતા પણ ઝેર માની ગળે પી જતા. અંગ્રેજોના આગમનથી આપણી ખેતી, આર્થિક વ્યવસ્થા, રાજકીય વ્યવસ્થા બધું જ ખોરવાઈ ગયું હતું. તેના મનફાવે એવા કાયદાઓ આપણે જોયા જ છે. તેની લેપ્સની નીતિ પ્રમાણે જો કોઈ રાજા પુત્ર વારસદાર છોડ્યા વગર મૃત્યુ પામે તો તે શાસકની રાજ્યભૂમિ કંપનીને પધરાવવી પડતી. બ્રિટિશ અને ભારતીય સૈનિકો વચ્ચે પણ ભેદભાવો રાખવામાં આવતા ને આવી તો અનેક અન્યાયી કામગીરીઓ ભારત અને ભારતવાસી વિરુદ્ધ ચાલતી જ રહેતી.
આ પરિસ્થિતિમાં 10 મે 1857ના દિવસે સાંજે પાંચ વાગ્યે મેરઠ બજારના ગિરિજાઘરના ઘંટ સાથે ગોળીબારીનાં પણ પડઘા ગૂંજ્યા. ભારતીય સૈનિકોએ બળવો શરૂ કર્યો. અંગ્રેજ સેના જ નહીં પરંતુ જે વિદેશી સામે આવે તેને ઠાર કરવામાં આવતા. એવું તે થયું શું કે આપણા ભારતીય સેનાની અને નાગરિકો એકજૂટ થઇ, પોતાનો જીવ હથેળીમાં લઈ અંગ્રેજો સામે લડયા? હજુ થોડા સમય પાછળ જઈએ એટલે 26 ફેબ્રુઆરી, 1857ના રોજ, અંગ્રેજોએ બંગાળ નેટિવ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટમાં એક નવા પ્રકારનો કારતૂસ દાખલ કર્યો હતો જે ગાય અને ડુક્કરની ચરબીવાળા કાગળમાં લપેટાયેલો હતો. આ કારતૂસને મોં થી ફાડીને ખોલવું પડે તેમ હતું. પરંતુ આનાથી કંપનીના ભારતીય મુસ્લિમ અને હિન્દુ સૈનિકો બંનેની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી. ભારતીય સૈનિકોએ આવા કારતુસના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો. તેના પરિણામે 85 સૈનિકોને જેલમાં નાખવામાં આવ્યા. મંગલ પાંડેએ પણ કોલકત્તાના બૈરકપુર પરેડ ગ્રાઉન્ડ પર આ બાબતે વિદ્રોહ કર્યો હતો પરંતુ તેમની આ પ્રતિક્રિયા વિરુદ્ધ 8 એપ્રિલ 1857ના રોજ સજારૂપે ફાંસી આપવામાં આવી હતી. અંગ્રેજોની આવી દાદાગીરી વિરુદ્ધ કાવતરું ઘડી તેમનો સફાયો કરવાનું દરેક ભારતીયને લાગ્યું. જેના પરિણામે 10 મે,1857ના દિવસના ઇતિહાસમાં સૌપ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સર્જાયો. બંદી બનેલા 85 સૈનિકોને ધનસિંહ ગુર્જરના નેતૃત્વમાં મેરઠની જેલ પર હુમલો કરી છોડવામાં આવ્યા.
મેરઠ બાદ તો સેનાએ દિલ્હી, લખનઉ, આગરા, કાનપુર, કોલકત્તા પર ચડાઈ કરી. આ બળવો આગની જેમ ફેલાતો રહ્યો ને અંગ્રેજ સેના તેની ઝપેટમાં આવતી ગઈ. આ બ્રિટિશ સરકારની ગુલામીમાંથી મુક્તિ મેળવવા માટેની પ્રથમ ચળવળ હતી. જો કે આ સંગ્રામમાં માત્ર ભારતીય હિન્દૂ સિપાહીઓ જ નહીં પરંતુ મુસ્લિમ લડવૈયાઓ, સામાન્ય નાગરિકજનો, વેપારીઓ, મહિલાઓ પણ જોડાયા હતા. 1857નો સ્વાતંત્ર સંગ્રામ ભારતીય એકતા અને વીરતાનું પ્રતિક છે. હવે આપણે 10 મે, 2025 એટલે કે આજના સમયને જોઈએ તો ભારત દેશની ત્યારની અને આજની પરિસ્થિતિમાં સામ્યતાઓ જોવા મળે છે. એવું પ્રતીત થાય છે કે ભૂતકાળની ઘટનાઓ ફરી ભારતની ભૂમિ પર જન્મી છે અને આપણે તે કથામાં જીવીએ છીએ. ફર્ક તો બસ એટલો જ છે કે તે સમયે રાજાશાહી હતી, અત્યારે લોકશાહી. એ સમયે હિન્દૂ-મુસ્લિમ ધર્મ સાથે મળીને લડ્યા હતા અને આજે સામસામે લડે છે. તે વખતની જેમ આજના સમયે પણ હથિયારો ઉપાડવા જરૂરી છે જ, પછી ભલેને સામાજિક, ધાર્મિક કે ભૌગોલિક સંબંધો બદલાયા હોય! આપણા કૃષ્ણકાળના મૂલ્યો અને સિદ્ધાંતો તો હજુ જીવંત છે જ. અંગ્રેજોના સમયમાં હતા અને ભવિષ્યમાં પણ રહેવાના જ છે માટે જ તે સનાતન સત્ય છે. કૃષ્ણએ પણ શાંતિ મંત્રણાઓ કર્યા બાદ અને એ મંત્રણાઓની નિષ્ફ્ળતા બાદ જ યુદ્ધને છેલ્લા ઉપાય તરીકે પસંદ કર્યું. સીધા હથિયારો તેમણે પણ નથી ઉઠાવ્યા. પરંતુ જયારે દુશ્મન એવી હિંમત દાખવે કે આપણા ધર્મને આંચ આવે ત્યારે તેને યુદ્ધનો શંખનાદ સાંભળવો જ પડે. અન્ય ધર્મના નામ પર ચાલતો આતંકવાદ નામનો કીડો જો આપણા દેશ અને ધર્મને ખાઈ જતો હોય તો તેનો નાશ કરવો જ પડે. આજે પણ ભારત માતા પાસે અનેક મંગલ પાંડે છે જે દેશ અને દેશવાસીઓની સુરક્ષા ખાતર તેમનું જીવન હોમી દેવા તૈયાર છે. અત્યારે તો ભારતીય સરકાર, સેના અને જનતા આ નાપાક હરકતો કરતા નાપાક દેશ સામે લડી લેવાના ફૂલ ફોર્મમાં છે. આગે આગે ગોરખ (મોદી સાહેબ) જાને!!