ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અફઘાનિસ્તાન તાલિબાનના જવાનોએ પાકિસ્તાનના ઉત્તર-પશ્ર્ચિમના વિસ્તારને ઘેરી લીધું છે. ખોસ્ત અને પક્તિકાના આદિવાસી વિસ્તારોમાં લગભગ 15 હજાર તાલિબાનના જવાનોએ પાકિસ્તાની સેનાની 4 સૈન્ય ચોકીઓ પર કબજો કરી લીધો છે. એટલું જ નહીં ખોસ્તની અલી શેરની બે અને પક્તિકામાં આવેલ બે ચોકીઓમાંથી પાકિસ્તાની સૈનિકોને તગેડી દીધા છે. ચોકીઓને સળગાવી પણ દીધી છે.
કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની સૈનિકો આ ચોકીઓ પર પાછા ફરવા તૈયાર નથી.હાલમાં તાલિબાન આ ચોકી પરથી આગળ વધવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે. 24 ડિસેમ્બરની રાત્રે પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનમાં બોમ્બમારો કર્યો હતો. જેમાં 46 અફઘાન નાગરિકો માર્યા ગયા હતા. જેના જવાબમાં અફઘાન તાલિબાને તેના સૈન્યદળોને પાકિસ્તાની સરહદ તરફ મોકલ્યા છે.
આ વખતે પાકિસ્તાન માટે વધુ મુશ્ર્કેલીઓ છે. આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન (ઝઝઙ)ના લડવૈયાઓ પણ અફઘાન તાલિબાન સાથે સરહદ પર તૈનાત છે. પાકિસ્તાની સૈન્યએ બંને લડવૈયાઓ સાથે મુકાબલો કરવો પડશે. તાલિબાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીનું કહેવું છે કે પાકિસ્તાને અમારા વિસ્તારોમાં ઘૂસીને હવાઈ હુમલો કરવાની હિંમત કરી છે. હવે પાકિસ્તાને તેની ભારે કિંમત ચૂકવવી પડશે. પાકિસ્તાની સૈન્ય ભલે ટીટીપીને આતંકવાદી સંગઠન માને છે પરંતુ અમે તેને આદિવાસી વિસ્તારના લોકોના અધિકારો માટે લડતું ગ્રુપ છે. તાલિબાન સરકાર ભવિષ્યમાં ટીટીપીને સૈન્ય સમર્થન આપવાનું ચાલુ રાખશે.
- Advertisement -
પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર અત્યાર સુધી અફઘાન તાલિબાન સામે મૌન છે. મુનીરે 24મી ડિસેમ્બરે અફઘાન વિસ્તારોમાં પાકિસ્તાને કરેલી એરસ્ટ્રાઈક અંગે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. જાણકારોનું માનવું છે કે પાકિસ્તાન સૈન્ય જાહેરમાં નિવેદન આપીને અફઘાન તાલિબાન સાથે મોરચો ખોલવા માંગતી નથી. તાલિબાન સરકારે પાકિસ્તાન સરહદ પર તેના લડવૈયાઓના જમાવડ વચ્ચે ડૂરંડ લાઇનને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. અફઘાનિસ્તાનનું કહેવું છે કે આ સરહદ બ્રિટિશ રાજ દરમિયાન બનાવવામાં આવી. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન હવે પાકિસ્તાનના અંદરના ઉત્તર-પશ્ર્ચિમના ઘણા વિસ્તારો પર દાવો મજબૂત કરશે.