-મૃત્યુ પામતા લોકોની સંખ્યા 20 લાખથી વધીને 30 લાખે પહોંચી
એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, ઈસ્કેમિક સ્ટ્રોકના કારણે વિશ્વભરમાં મૃત્યુની સંખ્યા 20 લાખથી વધીને 2019માં 30 લાખથી વધુ થઈ ગઈ છે. 2030 સુધીમાં તે વધીને લગભગ 50 લાખ થવાની ધારણા છે. આ અભ્યાસ મેડીકલ જર્નલ ઓફ ન્યુરોલોજીમાં પ્રકાશિત થયો હતો.
- Advertisement -
નોંધપાત્ર રીતે, ઈસ્કેમિક સ્ટ્રોક મગજમાં રકત પ્રવાહના અવરોધને કારણે થાય છે અને તે સ્ટ્રોકનો સૌથી સામાન્ય પ્રકાર છે. ‘ઈસ્કેમિક સ્ટ્રોકના વૈશ્વિક મૃત્યુદરમાં આ વધારો ભવિષ્યમાં વધુ વૃદ્ધિની સંભાવના સાથે ચિંતાનો વિષય છે’, ચીનના શાંઘાઈમાં ટોંગજી યુનિવર્સિટીના સંશોધક લીગે ઝિઓંગે જણાવ્યું હતું. ઈસ્કેમીક સ્ટ્રોકને સરળતાથી ટાળી શકાય છે.
‘અમારા પરિણામો સૂચવે છે કે જીવનશૈલીના પરિબળો જેમ કે ધુમ્રપાન, ઉચ્ચ સોડીયમયુક્ત આહાર તેમજ હાઈ બ્લડ પ્રેશર અને સ્થુળતા જેવા અન્ય પરિબળો સ્ટ્રોકનું જોખમ વધારી રહ્યા છે,’ જિયોંગે કહ્યું. આ અભ્યાસ માટે, ‘સંશોધકોએ ગ્લોબલ હેલ્થ ડેટા એકસચેંજના 1990-2019ના ડેટાનું વિશ્ર્લેષણ કર્યું હતું. જેમ જેમ વિશ્વની વસ્તી વધી રહી છે તેમ, ઈસ્કેમીક સ્ટ્રોકથી મૃત્યુ પામેલા લોકોની વૈશ્વિક સંખ્યા 1990માં 2.04 મિલિયનથી વધીને 2019માં 3.29 મિલિયન થઈ ગઈ છે.
જો કે, સ્ટ્રોકનો દર 1990માં 100,000 લોકો દીઠ 66 સ્ટ્રોકથી ઘટીને 2019માં 100,000 લોકો દીઠ 44 સ્ટ્રોક થયો હતો. ‘સ્ટ્રોકના દરમાં આ ઘટાડાનો અર્થ એ છે કે વિશ્વભરમાં સ્ટ્રોકની સંખ્યામાં એકંદરે વધારો મુખ્યત્વે વસ્તી વૃદ્ધિ અને વૃદ્ધાવસ્થાને કારણે છે,’ જિયોંગે કહ્યું. સંશોધકોએ શોધી કાઢયું કે ધુમ્રપાન, ઉચ્ચ સોડીયમયુક્ત આહાર, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, કિડનીની તકલીફ, હાઈ બ્લડ સુગર અને હાઈ બીએમઆઈ સહિત સાત મુખ્ય જોખમી પરિબળો સ્ટ્રોકમાં સૌથી વધુ ફાળો આપે છે.
- Advertisement -
ત્યારબાદ સંશોધકોએ 2020-2030 માટે મૃત્યુની સંખ્યાનો અંદાજ કાઢવા માટે ડેટાબેઝનો ઉપયોગ કર્યો હતો. તેમને જાણવા મળ્યું હતું કે 2030માં ઈસ્કેમીક સ્ટ્રોકથી મૃત્યુઆંક વધીને 4.9 મિલિયન થવાની ધારણા છે. જયારે સંશોધકોએ જોખમના પરિબળોને ધ્યાનમાં લીધા, ત્યારે તેઓએ આગાહી કરી હતી કે જો આ જોખમી પરિબળોને નિયંત્રીત અથવા અટકાવવામાં ન આવે તો સ્ટ્રોકથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા 6.4 મિલિયન સુધી પહોંચી શકે છે.