નોબેલ વિજેતા વૈજ્ઞાનિકો દ્વારા વિશેષ વ્યાખ્યાનઃ દેશ-વિદેશના 40થી વધુ અગ્રણી વૈજ્ઞાનિકોનો મેળાવડોઃ ચિરંતન રસાયણ સંસ્થા (CRS)ના સંયુક્ત ઉપક્રમે આગામી ૮ થી ૧૦ જુલાઈ યોજાશે કાર્યક્રમ
આ વૈશ્વિક કોન્ફરન્સ “સાયન્સ બિયોન્ડ બાઉન્ડ્રી: ઇન્વેન્શન, ડિસ્કવરી, ઇનોવેશન એન્ડ સોસાયટી” ના પ્રેરણાદાયી થીમ પર આધારિત
- Advertisement -
ત્રણ દિવસ દરમિયાન નેનોટેકનોલોજી, બાયોટેકનોલોજી, બાયોકેમિસ્ટ્રી, એગ્રીકલ્ચરલ સાયન્સ, પોલિમર કેમિસ્ટ્રી જેવા આધુનિક વિષયો પર વૈજ્ઞાનિકો મંથન કરશે
ગુજરાતના શૈક્ષણિક અને ઔદ્યોગિક હબ સમાન રાજકોટની ધરતી પર આગામી જુલાઈ મહિનામાં વૈશ્વિક સ્તરના વિજ્ઞાનનો એક અભૂતપૂર્વ સમન્વય થવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર ભવન અને ચિરંતન રસાયણ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આગામી ૮ થી ૧૦ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમ “રસાયણ ૨૩”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વિજ્ઞાન, સંશોધન અને સમાજ ક્ષેત્રે નવીનતા લાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાનારા આ મહાસંમેલનથી રાજકોટ અને સમગ્ર ગુજરાત આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક નકશા પર વધુ મજબૂત સ્થાન પ્રાપ્ત કરશે.
આ વૈશ્વિક કોન્ફરન્સ “સાયન્સ બિયોન્ડ બાઉન્ડ્રી: ઇન્વેન્શન, ડિસ્કવરી, ઇનોવેશન એન્ડ સોસાયટી” ના પ્રેરણાદાયી થીમ પર આધારિત છે. કાર્યક્રમનું આયોજન ઓફલાઇન અને ઓનલાઇન એમ બંને માધ્યમથી (હાઇબ્રિડ ફોર્મેટમાં) કરવામાં આવ્યું હોવાથી વિશ્વભરમાંથી વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો, ઉદ્યોગસાહસિકો અને યુવા સંશોધકો તેમાં સરળતાથી ભાગ લઈ શકશે.
આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું મુખ્ય આકર્ષણ વર્ષ ૨૦૦૯ના નોબેલ પુરસ્કાર વિજેતા પ્રો. વેન્કટરામન રામકૃષ્ણન (એમઆરસી લેબોરેટરી ઓફ મોલેક્યુલર બાયોલોજી -, યુકે) નું વિશેષ વ્યાખ્યાન રહેશે. આ ઉપરાંત, પરિસંવાદમાં વિજ્ઞાન ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રદાન કરનારા ભારતના અગ્રણી વૈજ્ઞાનિકોને પ્રતિષ્ઠિત એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવશે. જેમાં લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ વિજેતા અને દેશના જાણીતા પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. અનિલ કાકોડકર (ચાન્સેલર, હોમી ભાભા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ) પણ વિશેષ વ્યાખ્યાન આપશે.
ત્રણ દિવસ દરમિયાન એડવાન્સ્ડ ફંક્શનલ મટિરિયલ્સ, સિન્થેટિક ઓર્ગેનિક કેમિસ્ટ્રી, નેનોટેકનોલોજી, બાયોટેકનોલોજી, બાયોકેમિસ્ટ્રી, એગ્રીકલ્ચરલ સાયન્સ, પોલિમર કેમિસ્ટ્રી, ગ્રીન કેમિસ્ટ્રી અને કમ્પ્યુટેશનલ કેમિસ્ટ્રી જેવા સમાજ ઉપયોગી અને આધુનિક વિષયો પર વૈજ્ઞાનિકો મંથન કરશે. વૈજ્ઞાનિક શોધોને સમાજ અને ઉદ્યોગો સાથે કેવી રીતે સાંકળવી તે મુદ્દે વિશેષ ચર્ચા થશે. યુવા સંશોધકો માટે રિસર્ચ પેપર પ્રસ્તુતિકરણ અને પોસ્ટર પ્રેઝન્ટેશન જેવા ઇન્ટરેક્ટિવ સત્રો આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. (ડૉ.) ઉત્પલ એસ. જોશી, CRS ના પ્રમુખ પ્રો. બ્રજ ગોપાલ બાગ અને સેક્રેટરી પ્રો. સી. વી. યેલામગડ પેટ્રોન તરીકે સેવા આપી રહ્યા છે. કાર્યક્રમના કન્વીનર તરીકે પ્રો. ઉમેદ સી. ભોયા, કો-કન્વીનર તરીકે પ્રો. યોગેશ ટી. નલિયાપરા અને પ્રો. મનીષ કે. શાહ તેમજ ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી તરીકે પ્રો. રંજન સી. ખુંટ જવાબદારી સંભાળી રહ્યા છે. જ્યારે રસાયણશાસ્ત્ર ભવનના પ્રોફેસરો અને સ્થાનિક વૈજ્ઞાનિકોની કમિટી આયોજનને આખરી ઓપ આપી રહી છે.
- Advertisement -
વૈશ્વિક સંસ્થાઓના નિષ્ણાતોનો જામશે મેળાવડો
દેશ-વિદેશની ટોચની આઇઆઇટી (IIT), આઇઆઇએસસી (IISc) અને બાર્ક (BARC) જેવી સંસ્થાઓના ૪૦થી વધુ નિષ્ણાંતો હાજરી આપશે
• ડૉ. સ્વામિનાથન શિવરામ (વરિષ્ઠ વૈજ્ઞાનિક, IISER)
• પ્રો. દિવાન સિંહ રાવત (વાઇસ ચાન્સેલર, કુમાઉન યુનિવર્સિટી)
• પ્રો. ભાલચંદ્ર મહાદિઓ ભાનગે (વાઇસ ચાન્સેલર, એમ. એસ. યુનિવર્સિટી ઓફ બરોડા)
• પ્રો. પ્રમોદ એસ. પાટીલ (રિસર્ચ ડિરેક્ટર, ડી. વાય. પાટીલ એજ્યુકેશન સોસાયટી)
• પ્રો. એસ. સંપથ (IISc બેંગલુરુ)
• પ્રો. જે પોલ એટફિલ્ડ (એડિનબર્ગ યુનિવર્સિટી, યુકે)
• પ્રો. (ડૉ.) બેટિના વી. લોશ (મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ, જર્મની)
• આ ઉપરાંત CSIR-NAL, CSIR-NCL, CSIR-TKDL અને ગુરુ નાનક દેવ યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો પણ વૈજ્ઞાનિક સત્રોમાં માર્ગદર્શન આપશે.




