શ્વાને બચકા ભરતા તમામને સરકારી હોસ્પિટલ ખસેડાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
- Advertisement -
ધ્રાંગધ્રા શહેરમાં રખડતા પશુ બાદ હવે શ્વાનની આતંક સામે આવ્યો છે જેમાં નરશીપરા વિસ્તારમાં રખડતા શ્વાને એક બાદ એક એમ પાંચ જેટલા લોકોને બચકા ભર્યા હતા. આ તમામ લોકોને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા.
જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા શહેરના નરશીપરા વિસ્તારમાં રખડતા શ્વાને ગઈ કાલે બપોરના સમયે રાહદારીઓ અને સ્થાનિકોને ટાર્ગેટ કર્યા. રખડતા શ્વાને અહીં વિસ્તારમાં નીકળતા એક નહીં બે નહીં પરંતુ પાંચ લોકોને બચકા ભર્યા હતા જે રખડતા શ્વાનના ભોગ બનવામાં મહિલાઓ પણ સામેલ હતા ત્યારે આ તમામ લોકોને તાત્કાલિક ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ લઈ જઈ સારવાર કરવામાં આવી હતી જ્યારે આ પ્રકારની ઘટના બીજી વખત સામે આવી હતી જે અગાઉ પણ શ્વાન દ્વારા વાહન લઈને નીકળતા રાહદારીઓની પાછળ દોડી બચકા ભર્યા હતા. આ તરફ છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારે રખડતા શ્વાનના ત્રાસને લીધે સ્થાનિકો દ્વારા શ્વાનને પકડી દૂર વગડા વિસ્તારમાં છોડી મૂકવા માંગ કરી હતી પરંતુ સ્થાનિક નગરપાલિકા તંત્રને સુપ્રીમ કોર્ટના ઓર્ડરને લીધે શ્વાનને પકડી શકાય તેમ નહીં હોવાથી હવે નરશીપરા વિસ્તારના રહીશોની જિંદગી આ શ્વાનના હાથમાં હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.