રાજકોટની શાળાઓની વધતી દાદાગીરી, વધુ એક શાળાની મનમાનીનો કિસ્સો આવ્યો સામે
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
રાજકોટમાં પ્રખ્યાત શાળાઓની વધતી દાદાગીરીના કિસ્સાઓ આજકાલ વધી રહ્યા છે. થોડા સમય પહેલા રાજકુમાર કોલેજ દ્વારા ધરખમ ફી વધારો કરીને વાલીઓને આર્થિક મુશ્કેલીમાં મુક્યા હતા ત્યાં રાજકોટની વધુ એક જાણીતી શાળાએ વાલીઓને ફી ઉઘરાણી મુદ્દે પરેશાન કરવાના શરૂ કર્યા છે. શહેરની મુંજકા વિસ્તારમાં આવેલી સેન્ટપોલ સ્કુલ દ્વારા વાલીઓ પાસેથી એડવાન્સ ફી ઉઘરાવવાની કવાયત શરૂ કરીને માનસિક અને આર્થિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું છે. વાલીઓઓને ચાલુ સત્રનું રિઝલ્ટ નહીં આપીએ તેવી ધમકી આપીને એડવાન્સ ફીના ચેક જમા કરાવવાની ફરજ પાડી રહ્યા છે.
આ અંગે વાલીઓએ પોતાનો મત રજુ કરતાં જણાવ્યું હતું કે, નવું શાળા સત્ર જૂન માસમાં શરૂ થવાનું છે પરંતુ સ્કુલનું મેનેજમેન્ટ અત્યારથી જ ફી ઉઘરાવી રહ્યા છે. તેમજ ફીના મુદ્દાને કારણે બીજા બાળકો અન્ય સ્કુલમાં એડમીશન ન લઈ શકે અને શાળા ન છોડે એ માટે ચાલુ સત્રનું રિઝલ્ટ આપવાની પણ ના પાડી રહ્યા છે. એડવાન્સ ફી ઉઘરાવીને શાળાનું મેનેજમેન્ટ એક ડોઢ મહિનો વાલીઓના રૂપિયા વાપરે છે જે શર્મજનક વાત છે. શિક્ષણના મંદિરમાં વાલીઓ જોડે થતો અન્યાય સાખી લેવા યોગ્ય નથી. અમારી એક જ માંગ છે કે નવા સત્રની ફી શાળા શરૂ થાય ત્યારે જ ઉઘરાવવામાં આવે. વાલીઓ ઉપર એડવાન્સ ફી ઉઘરાવીને કોઈપણ રીતનું દબાણ ન કરવું જોઈએ.
વિદ્યાર્થી સંગઠનનો ઝંડો લઈને ફરતાં NSUI અને ABVP ક્યાં છે ?
- Advertisement -
રાજકીય રંગ માટે વિદ્યાર્થી સંગઠનો મોટાભાગે કોલેજોમાં વિદ્યાર્થીઓને થતાં અન્યાય સામે અવાજ ઉઠાવતા હોય છે પરંતુ શાળાઓમાં ચાલતાં અન્યાય સામે ગજઞઈં અને અઇટઙ સંગઠનો નિષ્ક્રિય છે એ વાત સાચી હોય એવું લાગી રહ્યું છે. રાજકુમાર કોલેજમાં કરવામાં આવેલા ફી વધારા સામે પણ વિદ્યાર્થી સંગઠનોની કોઈ સક્રિય ભૂમિકા જોવા મળી હતી. ત્યારે જરૂરી બન્યું છે કે આવા સંગઠનો જરૂરિયાતના સમયે વાલીઓની વહારે આવે અને તેમને મદદ કરે.