ગુજરાત સરકારની અનોખી પહેલ : અગરિયા સમુદાયના બાળકોના શિક્ષણ માટે ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’- રણશાળા પ્રોજેક્ટ
નિવૃત્ત એસ.ટી. બસોને આધુનિક- સુસજ્જ મોબાઈલ ક્લાસરૂમમાં ફેરવીને રણશાળા વાહનો તૈયાર કરાયા
- Advertisement -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગરના પથિકાશ્રમ એસ.ટી. ડેપો ખાતેથી ૨૮ રણશાળા બસનું લોકાર્પણ કર્યું
સુરેન્દ્રનગર, પાટણ, કચ્છ અને મોરબી જિલ્લાના અગરિયાઓના બાળકોના શિક્ષણ માટે આ રણશાળા કાર્યરત થશે
ખાસ ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
રાજ્યમાં સર્વસમાવેશી શિક્ષણ સુનિશ્ચિત કરવાના એક મહત્વપૂર્ણ પગલા તરીકે, ગુજરાત સરકાર દ્વારા અંતરિયાળ રણ અને મીઠું પકવતા વિસ્તારોમાં રહેતા અગરિયા પરિવારોના બાળકોને અવિરત શિક્ષણ મળી રહે તે માટે નવીન ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’ ‘રણશાળા’ પહેલ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારની આ પ્રેરણાદાયી પહેલ શરૂ થતા હવે તેનો લાભ હજારો વિદ્યાર્થીઓને મળશે. આજે જ્યારે રાજ્યભરમાં ‘શાળા પ્રવેશોત્સવ’નો ભવ્ય પ્રારંભ થયો છે, ત્યારે નાયબ મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગર પથિકાશ્રમ એસ.ટી. ડેપો ખાતેથી આ ૨૮ રણશાળાનું બસોનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં આ ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’ પ્રોજેક્ટ સમગ્ર દેશમાં સ્થળાંતરિત અને વંચિત સમુદાયોને શિક્ષણ પૂરું પાડવા માટે એક આદર્શ મોડેલ સાબિત થશે. આ રણશાળા એ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં સૌથી વધુ ૨૦, પાટણના સાતલપુરમાં ચાર, કચ્છના અંજારમાં બે તેમજ મોરબીના માળિયામાં બે એમ કુલ ૨૮ બસો શિક્ષણના યજ્ઞમાં સહભાગી થઈ છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત એસટી દ્વારા અગરિયા વિસ્તારમાં ‘રણશાળા’ના એક ખૂબ જ નવા અભિગમ જોડે એસટીની જે વેસ્ટ બસો હતી એમાંથી કઈ રીતે તેનો બેસ્ટ ઉપયોગ થઈ શકે તેનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ૨૮ રણ શાળા આજે ગાંધીનગરથી સુરેન્દ્રનગર, પાટણ, કચ્છ અને મોરબી જિલ્લાના અગરિયા વિસ્તારો માટે પ્રયાણ કરશે. આ રણશાળા એ એક ખૂબ જ યુનિક મોડલ છે. બસની અંદર ૨૦ થી વધુ બાળકો માટે સોલર એનર્જીના માધ્યમથી ટીવી અને ડીશ ટીવીની વ્યવસ્થા છે જેથી ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતા ઓનલાઇન ક્લાસીસનો પણ આ બધા જ બાળકો લાભ લઈ શકશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ આ વિશેષ રણશાળા બસનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરીને તૈયાર કરનાર કારીગરો અને અધિકારીઓનું ફુલોથી સ્વાગત કરીને શિક્ષણ માટેના આ યજ્ઞમાં સહભાગી થયા તે બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.
રણવિસ્તારના પરિવારોના ૬ થી ૧૪ વર્ષના બાળકો સામેના શૈક્ષણિક પડકારોને દૂર કરવાનો પ્રયાસ છે. આ અંતર્ગત કુલ ૨૮ વિશેષ રીતે ડિઝાઇન કરાયેલા વાહનો તૈયાર કરવામાં આવ્યા છે, જે સંપૂર્ણ સુવિધાયુક્ત મોબાઈલ ક્લાસરૂમ તરીકે કામ કરશે. દરેક મોબાઈલ સ્કૂલ GSRTCની નિવૃત્ત બસોને આધુનિક શિક્ષણ સ્પેસમાં રૂપાંતરિત કરીને બનાવવામાં આવી છે. આ બસો ૩.૮ KVA ઓફ-ગ્રીડ સોલાર પાવર પ્લાન્ટથી સજ્જ છે, જે વીજળીના જોડાણ વિના પણ ૪૮ કલાક સુધી બસ કાર્યરત રાખવા સક્ષમ છે. આ સોલાર સંચાલિત ક્લાસરૂમમાં ૪૩ ઇંચના સ્માર્ટ ટીવી, ડિશ ટીવી કનેક્ટિવિટી દ્વારા શૈક્ષણિક ચેનલો, એફએમ રેડિયો, ડિજિટલ ઘડિયાળ, એલઇડી લાઇટિંગ સિસ્ટમ, વોલ ફેન અને ઓનલાઈન તેમજ ઓફલાઈન શિક્ષણને સપોર્ટ કરતા લર્નિંગ એઇડ્સ એટલે કે શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
ક્લાસરૂમમાં પોર્ટેબલ સ્ટડી ટેબલ અને બેઠક વ્યવસ્થા, ફોલ્ડ કરી શકાય તેવા આઉટડોર શેડ્સ -શેડ નેટ, અલગ કરી શકાય તેવા બ્લેકબોર્ડ અને વ્હાઇટબોર્ડ, નોટિસ બોર્ડ, શુદ્ધ પીવાના પાણીની સિસ્ટમ, વોશ બેસિન, વોટર સ્ટોરેજ ટેન્ક, શિક્ષકો માટે અલગ કેબિન અને સમર્પિત લાઇબ્રેરી સ્પેસનો સમાવેશ થાય છે. બસમાં ઇન્ડોર અને આઉટડોર મનોરંજનની સુવિધાઓ જેવી કે લુડો, સાપ-સીડી, સમયની વિભાવનાઓ શીખવા માટે મોડેલ ક્લોક, હિંચકા, લપસણી અને બાસ્કેટબોલ સેટઅપનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હેલ્થ મોનિટરિંગ માટે ડિજિટલ વેઇંગ સ્કેલ, હાઇટ મેઝરમેન્ટ સિસ્ટમ અને બીએમઆઈ (BMI) ચાર્ટ પણ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત સુરક્ષા અને સ્વચ્છતા પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. દરેક બસ ઇમરજન્સી એક્ઝિટ -આકસ્મિક નિકાસ, અગ્નિશામક ઉપકરણો, ફર્સ્ટ-એઇડ કીટ, ડસ્ટબિન અને સેનિટાઇઝેશન કીટથી સજ્જ છે. આ સાથે જ બસની અંદર અને બહાર આકર્ષક શૈક્ષણિક ગ્રાફિક્સ, આર્ટવર્ક, રાષ્ટ્રીય પ્રતીકો અને શિક્ષણલક્ષી વિઝ્યુઅલ ડિસ્પ્લે લગાવવામાં આવ્યા છે.
બાળકોને માર્ગ સલામતી અને હેલ્મેટનો અનોખો સંકલ્પ લેવડાવ્યો
નાયબ મુખ્યમંત્રીએ ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને એક અનોખો અને સંવેદનશીલ સંકલ્પ લેવડાવ્યો હતો. તેમણે બાળકોને પ્રેરણા આપતા કહ્યું કે, જેમના માતા-પિતા સવારે ટુ-વ્હીલર પર નોકરી કે કામ અર્થે જતા હોય અને જો તેમણે હેલ્મેટ ન પહેર્યું હોય, તો બાળકોએ ઘરના દરવાજા પર પલોઠી વાળીને બેસી જવું અને માતા-પિતાને હેલ્મેટ પહેરવા મજબૂર કરવા. કામ પર ૫ મિનિટ મોડા પહોંચવાથી એટલું નુકસાન નહીં થાય, પરંતુ હેલ્મેટ વગરના અકસ્માતને કારણે આખું જીવન માતા-પિતા વગર ગુજારવું પડી શકે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જો વિદ્યાર્થીઓ પોતે જ હેલ્મેટ પહેરવાનો આગ્રહ રાખશે તો અડાલજ અને સમગ્ર ગુજરાતમાં કોઈ પણ નાગરિક હેલ્મેટ વગર નજરે નહીં પડે. આ સરાહનીય પ્રયાસથી પોલીસની કામગીરી પણ સરળ બનશે અને દંડ ન થવાના કારણે પરિવારોના પૈસાની બચત થશે. પોલીસ માટે દંડની પાવતી કરતાં નાગરિકોની સુરક્ષા અને તેમના પરિવારજનોની સલામતી જ સર્વોપરી છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ નાગરિકો અને અધિકારીઓએ માર્ગ સલામતી અંગેના શપથ લીધા હતા.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાનથી ડ્રોપઆઉટ રેશિયો ૩૭ ટકાથી ઘટી ૧ ટકાથી પણ ઓછો થયો : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘શાળા પ્રવેશોત્સવ’નો રાજ્ય વ્યાપી પ્રારંભ વડનગરની બી.એન. હાઈસ્કુલથી કરાવ્યો હતો. જેમાં 390 જેટલા બાળકોનું શાળામાં નામાંકન કરવામાં આવ્યું હતું. સામાન્ય પરિવારનો વિદ્યાર્થી પણ મહેનત, સંકલ્પ અને શિક્ષણના બળ પર જીવનમાં મોટી સફળતા મેળવી શકે છે, તેનું ઉત્તમ ઉદાહરણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જીવન છે. તેમના નેતૃત્વમાં શિક્ષણ, કૌશલ્ય અને વિકાસના ક્ષેત્રે નવી તકો ઊભી થઈ છે. મુખ્યમંત્રીએ શાળા પ્રવેશોત્સવની ફળશ્રુતિ અંગે કહ્યું કે, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનું મહત્વપૂર્ણ અભિયાન શરૂ કરાવ્યું હતું. તેના પરિણામે રાજ્યના શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. એક સમયે મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ અધવચ્ચે છોડી દેતા હતા, પરંતુ સતત પ્રયાસો અને શિક્ષણ પ્રત્યેની સામૂહિક જવાબદારીના કારણે આજે શાળાઓમાં નામાંકન દર 100 ટકા સુધી પહોંચ્યો છે અને ડ્રોપઆઉટ રેશિયો 1 ટકાથી પણ ઓછો થયો છે. વડનગરની શાળાના 24 બાળકો જેમણે કોઈ કારણોસર શાળા-અભ્યાસ છોડી દીધો હતો તેમને શોધીને પુનઃપ્રવેશ કરાવવામાં આવ્યો છે.




