સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્થાપના દિવસે સરસ્વતી મંદીર ખાતે પુજન કરી પ્રથમ કુલપતિ ડો. ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી
ખાસ-ખબર સંવાદદાતા
તા. 23મી મે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેની વિકાસયાત્રાના 56 વર્ષ પૂર્ણ કરી આજે 57 મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના તા. 23 મે 1967 ના રોજ થયેલ ત્યારથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડો. ડોલરરાય માંકડથી આજદિન સુધીના કુલપતિઓના નેતૃત્વ હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ દેશની મોખરાની યુનિવર્સિટીઓમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિઓ અને યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓના અથાગ પ્રયત્નોને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આજે સમગ્ર રાજય અને રાષ્ટ્રીયકક્ષાએ પ્રથમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 57 મા સ્થાપના દિવસ નિમિતે યુનિવર્સિટી કેમ્પસ પ્લાઝામાં આવેલા સરસ્વતી મંદીરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબ દ્વારા સરસ્વતી માતાજીનું પુજન-અર્ચન કરી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડો. ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ હતી. ત્યારબાદ મુખ્ય વહીવટી બિલ્ડીંગ ખાતે સામુહિક પ્રાર્થના યોજાઈ હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શૈક્ષણિક, સંશોધનાત્મક, માળખાકિય સુવિધાઓ અને સુદૃઢ વહીવટીતંત્રના કારણે છેલ્લા બે દાયકાથી કોલેજોની સંખ્યા, વિદ્યાર્થીઓની સંખ્યા અને વિવિધ અભ્યાસક્રમો તથા વિવિધ પરીક્ષાઓને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું માળખુ ધણું વિશાળ થયું છે. 1967 માં સ્થાપનાકાળ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 35 કોલેજો અને 18000 વિદ્યાર્થીઓ હતા. હાલમાં 2016 માં જૂનાગઢની ભકત કવિ નરસિંહ મહેતા જૂનાગઢ યુનિવર્સિટીની સ્થાપના થતા તેના કાર્યક્ષેત્ર હેઠળની ચાર જીલ્લાની 94 જેટલી કોલેજો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યક્ષેત્રમાંથી બાદ થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલમાં 240 જેટલી કોલેજો કાર્યરત છે અને 2.50 (અઢી લાખ) થી વધુ વિદ્યાર્થીઓ સ્નાતક અને અનુસ્નાતકકક્ષાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહયા છે.