રાજકોટના ભોલુગીરી ગોસ્વામીએ 28 ભૂતિયા બસ પર કરોડોની લોન લીધી!
RTOનું આજ સુધીનું સૌથી મોટું કૌભાંડ આચરવામાં સુરતના ઈર્શાદ પઠાણ સાથે રાજકોટનો ભોલુગીરી ગોસ્વામી પણ સામેલ
ઈર્શાદ પઠાણે ભોલુગીરી સાથે મળી રાજકોટની ફાઈનાન્સ કંપનીઓ – બેંકોને લૂંટી લીધી
અરુણાચલપ્રદેશમાં આવેલા ઈટાનગરના નાહર લૂંગણ અને રેમર ગેબ નામના આરટીઓ અધિકારી સાથે મળી સુરતના ઈર્શાદ પઠાણે આરટીઓનું આજ સુધીનું સૌથી મોટું કૌભાંડ રચ્યું હતું. ઈર્શાદ પઠાણે આરટીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને જ આરટીઓની ગર્વમેન્ટ અપ્રુવ્ડ પરિવહન વેબસાઈટ પર 500થી વધુ બનાવટી-નકલી આરસી બૂક જનરેટ કરી, રજી.નંબર ચઢાવી જે વાહનોનું અસ્તિત્વ જ નહતું તેને કાયદેસર બનાવી નાખ્યા હતા! વાહનોની આરસી બૂક, વીમો, પરમીટ, ફિટનેસ, ટેક્ષ, પીયૂસી સહિત તમામ નકલી કાગળિયાંઓ બન્યા અને ત્યારબાદ બેંકમાં રજૂ કરવામાં આવ્યા અને ત્યારબાદ ફાઈનાન્સ કંપનીઓ – બેંકોમાં લોન મૂકાઈ હતી.

- Advertisement -
ભૂતિયા વાહનોને RTO માન્ય કરાવી લીગલી એપ્રુવ્ડ કરી દીધાં, વાહનોનું વેલ્યુએશન કરનાર વેલ્યુઅરો પણ વગર વાંકે ફસાયા
70 હજારથી 3 લાખમાં વેંચાતી હતી ભૂતિયા વાહનોની RTO માન્ય RC બૂક
અરૂણાચલપ્રદેશના ઈટાનગરનો આરટીઓ અધિકારી નાહર લૂંગણ અને રેમર ગેબ નકલી આરસી બૂક કાઢી આપતા હતા. આ આરસી બૂક ઈર્શાદ 70 હજારથી લઈ 1.5 લાખ સુધીમાં વેંચી દેતો હતો. ઈર્શાદ રાજકોટના ટ્રાવેલ્સ સંચાલક ભોલુગીરીને આ આરસી બૂક 3 લાખ આસપાસમાં વેંચતો હતો. આ રીતે લાખો રૂપીયા ખર્ચી ખરીદવામાં આવેલી આરસી બૂકના આધારે ફાઈનાન્સ કંપનીઓ – બેંકમાંથી કરોડોની લોન લેવાતી હતી.
આંતરરાજ્ય ભૂતિયા વાહનોના આ મસમોટા કૌભાંડના તાર અરૂણાચલ પ્રદેશના ઈટાનગર ઉપરાંત ગુજરાતના સુરત સાથે રાજકોટમાં પણ જોડાયેલા છે! ઉચ્ચ કક્ષાનાં RTO અધિકારીઓ આ કૌભાંડમાં સંકળાયેલા છે.
- Advertisement -
ઈર્શાદ પઠાણે વાહનોનાં નકલી-બનાવટી ચેસિસ નંબર બનાવવા માટેનું મશીન ગાઝિયાબાદથી ખરીદ્યું હતું અને તેની મદદથી તે એક જ વાહનનાં એક જેવા અનેક ચેસિસ નંબર બનાવી ભૂતિયા વાહનોનું વેલ્યુએશન કઢાવી બેંકમાંથી લોન પાસ કરાવી લેતો હતો.
ઈર્શાદ પઠાણે જે વાહનોની હયાતી જ નહતી તે વાહનોને આરટીઓના સરકારી અધિકારીઓ સાથે મળી આરટીઓમાંથી અપ્રુવ્ડ કરાવ્યા હતા તેથી જ સરકારી ચોપડે બોલતા આ વાહનોને વેલ્યુઅરોએ વેલ્યુએશન આપ્યું હતું, ફાઈનાન્સ કંપની – બેંકે લોન આપી અને જ્યારે લોન ભરપાઈ ન થઈ ત્યારે આ સમગ્ર કૌભાંડનો ભાંડાફોડ થયો અને એ સત્ય સામે આવ્યું કે જે વાહનો પર લાખોની લોન આપવામાં આવી હતી તે વાહનોની હયાતી જ નથી અને આમ વાહનોને વેલ્યુએશન આપનારા વેલ્યુઅરો વગર વાંકે ફસાયા હતા.
આશરે 500થી અધિક ભૂતિયા વાહનો પર લાખો રૂપિયાની લોન મેળવી કૌભાંડી ઈર્શાદ પઠાણે 8થી 10 અલગઅલગ ફાઈનાન્સ કંપની – બેંકોને કરોડોનો ચૂનો ચોપડ્યો હતો. સુરતના ઈર્શાદ પઠાણ સાથે આ કૌભાંડ આચરવામાં રાજકોટના એક શખ્સ ભોલુગીરી ગોસ્વામી પણ મુખ્ય ભૂમિકા છે. ઈર્શાદ પઠાણ સાથે મળી રાજકોટ અને અમદાવાદમાં બોગસ આરસી બૂક અને બોગસ વીમા પોલીસીના આધારે ફાઈનાન્સ કંપનીઓ – બેંકમાંથી ર8 લકઝરી બસ માટે 4 કરોડ 6 લાખની લોન લઈ તેને ઓળવી જનાર રાજકોટની ખોડીયાર ટ્રાવેલ્સના સંચાલક ભોલુગીરી ભાણગીરી ગોસ્વામી પણ આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય સૂત્રધારની ભૂમિકામાં છે.
સુરતના ઈર્શાદ પઠાણે કરેલા કૌભાંડમાં રાજકોટનો ભોલુગીરી ગોસ્વામી મુખ્ય સુત્રધાર
રાજકોટ શહેરના ઢેબર રોડ પર આવેલા નારાયણનગર-12માં રહેતાં ખોડિયાર ટ્રાવેલ્સના સંચાલક ભોલુગીરી ભાણગીરી ગોસ્વામીએ સુરતના ઈર્શાદ પઠાણ સહિતના સાથે મળી ટ્રાવેલ્સ બસોની હયાતી ન હોવા છતાં માત્ર એન્જિન-ચેસીસ નંબરો ઉભા કરી બોગસ આરસી બૂકો બનાવી તેના આધારે રાજકોટ, અમદાવાદ, વડોદરાની અલગ-અલગ ફાઈનાન્સ કંપનીઓ – બેંકોમાંથી લાખો રૂપિયાની લોન લઈ બાદમાં લોન ભરપાય ન કરી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું. જેમાં પોલીસે ભોલુગીરી ગોસ્વામીની ધરપકડ કરતા તેણે સુરતના ઈર્શાદ કાળુ પઠાણ પાસેથી આરસી બૂક મેળવ્યાની અને છેલ્લા ચાર વર્ષથી આ કૌભાંડ આચરતો હોવાની કબુલાત આપી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે સુરતનો ઈર્શાદ પઠાણ તેને લોન લેવા માટે નકલી આરસી બૂક અને નકલી વીમા પોલીસીની વ્યવસ્થા કરી આપતો હતો.

જેના બદલામાં પ્રત્યેક લોન દીઠ તેની પાસેથી રૂ.3.50 લાખનું કમીશન લેતો હતો. ત્યારબાદ તે નકલી આરસી બૂક અને વીમા પોલીસી રજૂ ફાઈનાન્સ કંપનીઓ – બેંકોમાંથી લકઝરી બસ માટે લોન મેળવી તેને ચાઉ કરી જતો હતો. તેણે જે નકલી આરસી બૂકના આધારે લોન મેળવી છે તે મુખ્યત્વે ગુજરાત અને આંધ્રપ્રદેશ આરટીઓની છે. આશ્ચર્યની વાત એ છે કે જે બસનું અસ્તિત્વ જ ન હતું તેના આધારે ફાઈનાન્સ કંપનીઓ – બેંક આંખો મીચી તેને લોન આપી દેતી હતી. રાજકોટના નારાયણનગરમાં રહેતા ભોલુગીરી ભાણગીરી ગોસ્વામી, સુરતના ઈર્શાદ પઠાણ સામે વાહનો પર લોન લઈ ભરપાઈ ન કરવામાં આવતા આ અંગે રાજકોટની કેટલીક બેંક દ્વારા પણ ફરિયાદ નોંધાવવા આવી છે કે, આ ત્રણેય આરોપીઓએ અશોક લેલન્ડ કંપનીની બસની હયાતી ન હોવા છતાં તેવા વાહનોના એન્જીન અને ચેસીસ નંબર બનાવી આરટીઓ રજીસ્ટ્રેશનની બોગસ આરસી બૂકો અને વિમા પોલીસી બનાવી ખોટા દસ્તાવેજો હોવા છતાં બેંકમાંથી લાખોની લોન મેળવી હતી અને પછી ત્રણેય ભેજાબાજોએ બેંકમાંથી બોગસ દસ્તાવેજોના આધારે મેળવેલી લોનની ચડત રકમ સહિતની રકમ બેંકમાં ભરપાઈ નહીં કરી મોટું કૌભાંડ આચર્યું છે.

ભોલુગીરીએ ઈર્શાદની મદદથી રાજકોટની કઈ બેંક-ફાઈનાન્સ કંપનીમાંથી કેટલી લોન લીધી ?
સુરતના ઈર્શાદ પઠાણ સાથે મળી ભોલુગીરી ગોસ્વામી 2017થી 2019 સુધીમાં રાજકોટની HDFC બેંકમાંથી 3 આરસી બૂકને આધારે રૂ. 45 લાખની ત્રણ લોન, લીમડા ચોકના આઈ.કે. ફાઈનાન્સમાંથી પાંચ નકલી આરસી બૂકોને આધારે 97 લાખની લોન, ઓરિક્સ ફાઈનાન્સમાંથી 10 નકલી આરસી બૂકોને આધારે 1 કરોડ 47 લાખની લોનો, રાજકોટના ટાટા ફાઈનાન્સમાંથી ત્રણ બૂકોને આધારે 53 લાખની અને રાજકટના આઈએફએલ ફાઈનાન્સમાંથી સાત નકલી આરસી બૂકોને આધારે 97 લાખની મળી કુલ 28 નકલી આરસી બૂકોને આધારે રૂ. 4,06,20,000ની લોન લઈ છેતરપીંડી આચર્યાનું સામે આવ્યું હતું.




