પેટ્રોલ-ડીઝલ, દવાઓની સંગ્રહખોરી ન થાય તેની તકેદારી રાખવા પ્રભારી સચિવની કલેકટર સહિતનાને સૂચના
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પહેલગામના આતંકવાદી હુમલા બાદ ભારતે તેના જવાબરૂપે પાક કબ્જાગ્રસ્ત કાશ્મીર તેમજ પાકિસ્તાનમાં મિસાઇલ મારો ચલાવી 100થી વધુ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારતા ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ગુજરાત 1600 કિ.મી.થી વધુ દરિયાકિનારો ધરાવતો હોવાથી ગુજરાત એલર્ટ મોડ પર આવી ગયું છે.
- Advertisement -
ગુજરાત સરકાર દ્વારા આજે રાજયના તમામ જિલ્લાઓમાં પ્રભારી સચિવ દોડાવી તમામ જિલ્લાઓને એલર્ટ કરી દીધા છે. રાજકોટ જિલ્લાના પ્રભારી સચીવ રાહુલ ગુપ્તાએ આજે રાજકોટ દોડી આવી કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર પ્રભવ જોશીની ઉપસ્થિતિમાં તમામ વિભાગોમાં ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી.
આ દરમિયાન જિલ્લના પ્રભારી સચિવે જણાવ્યું હતું કે, પરિસ્થિતિને લઇને કલેકટર કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને રજા રદ્દ કરી નાંખવામાં આવી છે. રાજકોટ શહેર-જિલ્લામાં દવાનો સ્ટોક, આરોગ્ય અંગેની કાર્યવાહી મેડિકલ સ્ટાફ ડોક્ટરો નર્સ પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો સહિતની બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ શહેર જિલ્લામાં પ્રિ-મોનસુનની કામગીરી તેમજ સંભવિત વાવાઝોડા તથા અતિવૃષ્ટિ સંજોગોમાં કયા પ્રકારના પગલા લેવા તેમની પણ સમીક્ષા થશે અને તમામ સ્ટાફ પાસેથી વિગતો લેવામાં આવશે.