મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની તાકીદની બેઠકમાં વરસાદ પૂર્વે, દરમિયાન અને બાદની કામગીરીની સમીક્ષા
24×7 કન્ટ્રોલ રૂમ, ફિલ્ડ મોનિટરિંગ અને પાણી નિકાલ માટે સંબંધિત વિભાગોને ખાસ સૂચનાઓ અપાઇ
- Advertisement -
ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી 4 ઓગસ્ટ 2026 સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાએ સંપૂર્ણ સતર્કતા દાખવી છે. નાગરિકોને આવશ્યક સેવાઓ વિના વિલંબે અને અસરકારક રીતે ઉપલબ્ધ કરાવવા માટે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની 4 ઓગસ્ટ (મંગળવાર) સુધીની તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ કર્યો છે. ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને શુક્રવારે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં તાકીદની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન વરસાદ પહેલાં, વરસાદ દરમિયાન અને વરસાદ બાદ હાથ ધરવામાં આવનારી કામગીરી અંગે વિભાગવાર તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. વિવિધ શાખાઓને આપત્તિ વ્યવસ્થાપન, રાહત અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.
મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટ સૂચના આપી છે કે તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ આ સમયગાળા દરમિયાન પોતાના હેડક્વાર્ટર ખાતે ફરજ માટે ઉપલબ્ધ રહેવાનું રહેશે. તમામ કર્મચારીઓએ સતત ફિલ્ડમાં હાજર રહી વરસાદી પરિસ્થિતિ પર નજર રાખવાની સાથે આપત્તિ વ્યવસ્થાપન, રાહત અને બચાવ સહિતની સોંપવામાં આવેલી કામગીરી સંપૂર્ણ જવાબદારી અને સતર્કતા સાથે નિભાવવાની રહેશે. રાજકોટ મહાનગરપાલિકાના કન્ટ્રોલ રૂમ ખાતે 24 કલાક અને સપ્તાહના સાતેય દિવસ સિનિયર અધિકારીની ફરજ સુનિશ્ચિત કરવામાં આવશે. ઉપરાંત તમામ નાયબ કમિશનરો તથા સિટી એન્જિનિયરને પોતાના તાબા હેઠળના ઝોનમાં વરસાદી સ્થિતિનું સતત સુપરવિઝન અને મોનિટરિંગ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોની નિયમિત સ્થળ મુલાકાત લઈને તાત્કાલિક રાહત કામગીરી અને જરૂરી વ્યવસ્થાઓ સમયસર અમલમાં મૂકવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે.
ઝોન કક્ષાએ હાથ ધરાયેલી કામગીરી અંગે સમયાંતરે અહેવાલ તૈયાર કરીને સક્ષમ અધિકારીઓ સમક્ષ રજૂ કરવાનો રહેશે, જેથી સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી શકાય અને જરૂરિયાત મુજબ તાત્કાલિક નિર્ણય લઈ શકાય. મ્યુનિસિપલ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન તમામ અધિકારીઓ અને કર્મચારીઓના મોબાઇલ ફોન સતત કાર્યરત (ઓન) રાખવાના રહેશે, જેથી કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક સંપર્ક થઈ શકે. શહેરના જે વિસ્તારોમાં દર વર્ષે વરસાદી પાણી ભરાવાને કારણે ટ્રાફિક સમસ્યાઓ સર્જાય છે તેવા તમામ સંવેદનશીલ પોઈન્ટ્સ પર તાત્કાલિક પાણી નિકાલની કામગીરી હાથ ધરી ટ્રાફિકને વહેલી તકે પૂર્વવત્ બનાવવાની પણ સૂચના આપવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાએ ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને આગોતરા આયોજન સાથે સમગ્ર તંત્રને એલર્ટ મોડમાં મૂકી દીધું છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ પર સતત નજર રાખીને નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તમામ વિભાગોને સક્રિય રહેવા સૂચના આપવામાં આવી છે.




