મનપાની આરોગ્ય શાખા એક્શન મોડમાં: એક જ સપ્તાહમાં 25 હજારથી વધુ ઘરોમાં પોરાનાશક કામગીરી, બેદરકાર 497 આસામીઓને નોટિસ
25,070 ઘરોમાં પોરાનાશક (એન્ટી-લાર્વા) કામગીરી અને 145 ઘરોમાં ફોગીંગ: 2419 ક્લોરીન ટેસ્ટ કરાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
રાજકોટ શહેરમાં બદલાતા હવામાનની સાથે જ ઋતુગત અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જાહેર કરવામાં આવેલા સાપ્તાહિક અહેવાલ મુજબ, શહેરમાં સામાન્ય તાવ તેમજ શરદી-ઉધરસના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં (તા. 1 જૂન થી 7 જૂન દરમિયાન) જ સામાન્ય તાવના 524 અને શરદી-ઉધરસના 446 નવા કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. આ સાથે જ ડેન્ગ્યુનો પણ વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે, જેની સાથે ચાલુ વર્ષે ડેન્ગ્યુના કુલ દર્દીઓની સંખ્યા 17 પર પહોંચી ગઈ છે. રાહતની વાત એ છે કે આ અઠવાડિયે મેલેરિયા કે ચિકુનગુનિયાનો કોઈ નવો કેસ નોંધાયો નથી, પરંતુ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં મેલેરિયાના 4 અને ચિકુનગુનિયાનો 1 કેસ ચોપડે નોંધાઈ ચૂક્યો છે. બીજી તરફ, પાણીજન્ય રોગચાળાએ પણ દેખા દીધી છે, જેમાં ચાલુ સપ્તાહમાં ઝાડા-ઉલટીના 219 કેસ, કમળાના 2 કેસ અને ટાઈફોઈડનો 1 કેસ પ્રકાશમાં આવ્યો છે.
ડેન્ગ્યુ ફેલાવતો એડીસ મચ્છર દિવસના સમયે કરડતો હોવાથી અને તેનો ફેલાવો ખૂબ જ ઝડપી હોવાથી મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો નાબૂદ કરવા માટે રહેણાંક સિવાયના 709 વ્યાપારી અને જાહેર સ્થળો જેવા કે બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ અને કોમ્પ્લેક્ષોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન મચ્છરના પોરા મળી આવતા અને બેદરકારી દાખવવા બદલ રહેણાંકના 131 અને કોર્મશીયલ એકમોના 366 મળી કુલ 497 જવાબદારોને બાયલોઝ અંતર્ગત નોટીસ ફટકારી વહીવટી ચાર્જ વસૂલવાની કડક કામગીરી કરવામાં આવી છે.
રોગચાળાના આ જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે મનપાના ફિલ્ડ વર્કરો દ્વારા સપ્તાહ દરમિયાન 25,070 ઘરોમાં પોરાનાશક (એન્ટી-લાર્વા) કામગીરી કરવામાં આવી છે અને 145 ઘરોમાં ફોગીંગ મશીન દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરાયો છે. મચ્છરોની ઘનતા વધુ હોય તેવા સંવેદનશીલ વિસ્તારો, સોસાયટીઓ અને જાહેર રસ્તાઓ પર વહિકલ માઉન્ટેડ ફોગીંગ મશીન દોડાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, પાણીજન્ય રોગચાળો વકરે નહીં તે માટે આરોગ્ય વિભાગની ટીમોએ અલગ-અલગ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લઈ કુલ 2,419 ક્લોરીન ટેસ્ટ કર્યા છે. મનપા તંત્રએ નાગરિકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા, ઘરમાં કે આસપાસના પાત્રોમાં ચોખ્ખું પાણી જમા ન થવા દેવા અને સાફ-સફાઈ રાખવામાં પૂરો સહકાર આપવા અપીલ કરી છે.



