1300થી વધુ વાહનચાલકો પર કરાયેલા સંશોધનમાં ટ્રાફિકની ગંભીર માનસિક અસરો બહાર આવી
સૌરાષ્ટ્ર યુનિ.ના પ્રો. યોગેશ જોગસણ અને ડો. ધારા દોશીના માર્ગદર્શન હેઠળ ઉન્નતી દેસાઈ, રિંકલ વિંઝુડા, ગડારા બંસી અને નેહા બેડીયા દ્વારા સર્વેક્ષણ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના પ્રો. યોગેશ જોગસણ અને ડો. ધારા દોશીના માર્ગદર્શન હેઠળ સંશોધક ટીમ ઉન્નતી દેસાઈ, રિંકલ વિંઝુડા, ગડારા બંસી અને નેહા બેડીયા દ્વારા સૌરાષ્ટ્રના મુખ્ય શહેરોમાં એક અત્યંત મહત્વપૂર્ણ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. આ સંશોધન ટ્રાફિક સિગ્નલ પરના પ્રતીક્ષા સમય અને વાહનચાલકોની બેદરકારીની તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરોને ઉજાગર કરે છે. પ્રશ્નાવલી, ક્ષેત્રીય નિરીક્ષણ અને ઇન્ટરવ્યૂ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરીને ટીમ દ્વારા સૌરાષ્ટ્રના પ્રમુખ શહેરોના 1300 થી વધુ વાહનચાલકોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ સર્વેક્ષણ દર્શાવે છે કે બદલાતી જીવનશૈલી વચ્ચે રસ્તાઓ પર વધતી અધીરાઈ માનવ સ્વાસ્થ્ય માટે ’ધીમું ઝેર’ સાબિત થઈ રહી છે. સર્વેક્ષણ દરમિયાન વાહનચાલકોની માનસિક સ્થિતિને સમજવા માટે મુખ્ય ચાર પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા હતા, જેના પરિણામો ચોંકાવનારા છે. જ્યારે વાહનચાલકોને પૂછવામાં આવ્યું કે સિગ્નલ પર 30 સેક્ધડથી વધુનો વેઇટિંગ ટાઈમ હોય ત્યારે તમારી માનસિક સ્થિતિ કેવી હોય છે, ત્યારે 65% લોકોએ સ્વીકાર્યું કે તેઓ તીવ્ર અધીરાઈ અનુભવે છે અને વારંવાર ઘડિયાળ કે સિગ્નલના ટાઈમર સામે જુએ છે. આ ઉપરાંત, સમયસર ન પહોંચવાના ડરથી 22% લોકોમાં હૃદયના ધબકારા વધવા અને પરસેવો વળવા જેવા ચિહ્નો જોવા મળ્યા હતા, જ્યારે માત્ર 13% લોકો જ આવી સ્થિતિમાં શાંત રહી શકતા હતા. કાઠિયાવાડી સ્વભાવની સહજતા ટ્રાફિક સિગ્નલ પર આવતા જ એક અજંપામાં બદલાઈ જતી આ આંકડાઓ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે.
આ અધીરાઈની વચ્ચે જ્યારે સિગ્નલ પર પાછળનું વાહન ગ્રીન લાઈટ થતા પહેલાં જ સતત હોર્ન વગાડે, ત્યારે કેવો અનુભવ થાય છે તેવા બીજા પ્રશ્નના જવાબમાં સૌરાષ્ટ્રના ’બિનજરૂરી હોર્ન કલ્ચર’ની વરવી વાસ્તવિકતા બહાર આવી હતી. 74% વાહનચાલકોએ જણાવ્યું કે આનાથી તેમને તીવ્ર ગુસ્સો આવે છે અને ઘણીવાર તેઓ પાછળના ચાલક સાથે દલીલમાં ઉતરી પડે છે. જ્યારે 18% લોકોએ એવું સ્વીકાર્યું કે અચાનક થતા આવા તીવ્ર અવાજથી તેમનું માથું દુખવા લાગે છે અથવા માનસિક સંતુલન બગડે છે, જે રસ્તા પર તાત્કાલિક અશાંતિ ઊભી કરે છે.
આ ગુસ્સો આગળ જતાં હિંસક સ્વરૂપ લે છે કે નહીં તે જાણવા માટે જ્યારે ત્રીજો પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો કે શું તમે ટ્રાફિક જામ અથવા કોઈની ખોટી ઓવરટેક કરવાની આદતના કારણે ક્યારેય રસ્તા પર ઝઘડો કર્યો છે અથવા અપશબ્દો બોલ્યા છો, ત્યારે રોડ રેજની બાબતમાં મોટો જાતિગત તફાવત જોવા મળ્યો હતો. 54% પુરુષ વાહનચાલકોએ સ્વીકાર્યું કે તેઓ અવારનવાર રોડ રેજનો ભોગ બને છે, ગુસ્સામાં બૂમો પાડે છે કે ઝઘડા પર ઉતરી આવે છે. તેનાથી વિપરીત, 40% સ્ત્રી વાહનચાલકોએ જણાવ્યું કે આવી સ્થિતિમાં તેઓ ઝઘડવાને બદલે ભારે માનસિક તણાવ, ડર અને ચિંતાનો અનુભવ કરે છે, જે સાબિત કરે છે કે પુરુષોમાં અહમ અને ગુસ્સો રસ્તા પર વધુ પ્રગટ થાય છે. ટ્રાફિકની આ નકારાત્મક અસરો માત્ર રસ્તા પૂરતી સીમિત નથી રહેતી, પરંતુ જ્યારે ચોથા પ્રશ્ન તરીકે પૂછવામાં આવ્યું કે લાંબા ટ્રાફિકમાંથી પસાર થઈને જ્યારે તમે ઘર કે ઓફિસે પહોંચો છો, ત્યારે તમારા કાર્ય અને સ્વભાવ પર શું અસર થાય છે, ત્યારે એ જાણવા મળ્યું કે ટ્રાફિકનો તણાવ ગંતવ્ય સ્થાન સુધી પીછો કરે છે. 80% લોકોએ નોંધ્યું કે ગંતવ્ય સ્થાને પહોંચ્યા પછી પણ આગામી 31 થી 45 મિનિટ સુધી તેઓ માનસિક થાક અનુભવે છે અને નાના કામમાં પણ ચિડચિડાઈ જાય છે.
વળી, 62% લોકોની એકાગ્રતા અને નિર્ણય લેવાની ક્ષમતામાં ટ્રાફિકના માનસિક બોજને કારણે મોટો ઘટાડો થતો જોવા મળ્યો હતો, જે તેમની રોજિંદી કાર્યક્ષમતા અને કૌટુંબિક શાંતિને પણ હણે છે.
શારીરિક સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરો
- Advertisement -
હૃદય પર દબાણ: ટ્રાફિક દરમિયાન ડ્રાઇવરના હૃદયના ધબકારા સામાન્ય કરતા 15% થી 20% વધી જાય છે, જે હાર્ટ એટેકનું કારણ બની શકે છે.
શ્વસનતંત્રની બીમારીઓ: સિગ્નલ પર વાહન ચાલુ રાખવાના ધુમાડાથી અસ્થમા અને બ્રોન્કાઈટિસ જેવી ગંભીર સમસ્યાઓ થાય છે.
શ્રવણ શક્તિ નબળી પડવી: ઠઇંઘ અનુસાર સતત 85 ડેસિબલથી વધુ અવાજ (હોર્ન કલ્ચર) વચ્ચે રહેવાથી સાંભળવાની ક્ષમતા ઘટે છે.
ઊંઘની સમસ્યા: આવા લોકોમાં સામાન્ય નાગરિકો કરતા ડિપ્રેશન અને અનિદ્રાનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.
મનોવિજ્ઞાન ભવન દ્વારા સૂચવવામાં આવેલા સરળ ઉકેલો
1. નિયત સમય કરતા 15-20 મિનિટ વહેલા નીકળવાની આદત પાડો, જેથી મોડા પડવાનો ડર ન રહે.
2. વાહન ચલાવતી વખતે મનને શાંત રાખવા માટે હળવું સંગીત, ભજન કે કોઈ પ્રેરણાદાયી પોડકાસ્ટ સાંભળો.
3. બિનજરૂરી હોર્ન વગાડવાનું સંપૂર્ણપણે બંધ કરો અને જો સિગ્નલ લાંબો હોય તો વાહનનું એન્જિન ઓફ કરી દો.
4. ટ્રાફિકમાં અધીરાઈ આવે ત્યારે ઊંડા શ્વાસ લેવાની પ્રક્રિયા કરો, જે ત્વરિત તણાવ મુક્ત કરી બ્લડ પ્રેશર નિયંત્રિત રાખે છે.
આ સંશોધન સ્પષ્ટ કરે છે કે ટ્રાફિક નિયમોનું પાલન અને રસ્તા પર સંયમ એ માત્ર કાયદાકીય ફરજ નથી, પરંતુ આપણા પોતાના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે અનિવાર્ય અમૃત છે.



