રાજકોટ-કુવાડવા ફ્લાયઓવર બન્યો સૌથી મોટો અવરોધ
2018માં શરૂ થયેલો 200 કિ.મી. રોડ સિક્સલેનમાં ફેરવવાનો 3350 કરોડનો પ્રોજેક્ટ હજુ પૂર્ણ ન થયો
- Advertisement -
આગામી ચોમાસામાં પણ વાહનચાલકોને ટ્રાફિકની હાડમારીનો સામનો કરવો પડશે
કામગીરી પૂર્ણ થતાં રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા સહિતના વિસ્તારોને અમદાવાદ સાથે વધુ ઝડપી અને સુરક્ષિત કનેક્ટિવિટી મળશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સમગ્ર સૌરાષ્ટ્રને ગુજરાતના અન્ય વિસ્તારો સાથે જોડતા મહત્વના રાજકોટ-અમદાવાદ ધોરી માર્ગના સિક્સલેન પ્રોજેક્ટનું કામ હજુ સુધી પૂર્ણ થઈ શક્યું નથી. વર્ષ 2018માં શરૂ થયેલો આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ બે વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, પરંતુ આજે આઠ વર્ષ પછી પણ તેનું મુખ્ય કામ અધૂરું છે. ખાસ કરીને રાજકોટ-બામણબોર વચ્ચે કુવાડવા નજીકના ફ્લાયઓવરનું કામ પ્રોજેક્ટ પૂર્ણ થવામાં સૌથી મોટો અવરોધ બની રહ્યું છે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ હાલ સમગ્ર પ્રોજેક્ટમાં મુખ્ય બાકી રહેલું કામ કુવાડવા પાસેના ફ્લાયઓવરનું છે. આ ફ્લાયઓવરનું નિર્માણ કાર્ય અગાઉ વરાહ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સોંપવામાં આવ્યું હતું, પરંતુ એજન્સી સમયસર કામ પૂર્ણ કરવામાં નિષ્ફળ જતાં ત્રણથી ચાર મહિના અગાઉ તેના જ ખર્ચે ભગીરથ એસોસીએટ્સને કામ સોંપવામાં આવ્યું છે. નવી એજન્સીને આગામી સપ્ટેમ્બર સુધીમાં ફ્લાયઓવરનો એક ભાગ તૈયાર કરીને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવાની સૂચના આપવામાં આવી છે.
આ પ્રોજેક્ટમાં વિલંબ અંગે અગાઉ પણ અનેક વખત પ્રશ્ર્નો ઉઠ્યા છે. જુલાઈ-2025 દરમિયાન લોકસભામાં એક ભાજપ સાંસદે કામની ધીમી ગતિનો મુદ્દો ઉઠાવ્યો હતો. તે સમયે રાજકોટ-બામણબોર વચ્ચે માત્ર બે કિલોમીટરનું કામ બાકી હોવાનું જણાવાયું હતું. ત્યારબાદ ડિસેમ્બર-2025માં વિધાનસભામાં રાજકોટના ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્ર્નના જવાબમાં સરકાર તરફથી જાન્યુઆરી-2027 સુધીમાં સમગ્ર કામ પૂર્ણ થઈ જવાની ખાતરી આપવામાં આવી હતી.
જોકે વાસ્તવિક સ્થિતિ એવી છે કે આગામી પખવાડિયામાં ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે અને લાખો વાહનચાલકોને ફરી એક વખત કુવાડવા નજીક ટ્રાફિક જામ, ધીમી ગતિ અને અવ્યવસ્થાનો સામનો કરવો પડશે. માર્ગ પર રોજ હજારો વાહનોની અવરજવર થતી હોવાથી ફ્લાયઓવરનું અધૂરું કામ મુસાફરો માટે મુશ્કેલીનું કારણ બની રહ્યું છે.
આ પ્રોજેક્ટ માત્ર વિલંબ માટે જ નહીં પરંતુ ગુણવત્તાને લઈને પણ ચર્ચામાં રહ્યો છે. માર્ગ અને બ્રિજના કેટલાક ભાગો લોકાર્પણ પહેલાં જ વાહનવ્યવહાર માટે ખુલ્લા મુકાયા હતા, પરંતુ બાદમાં રસ્તા બેસી જવા, સપાટી ખરાબ થવા અને જર્જરિત થવા જેવા પ્રશ્નો સામે આવ્યા હતા. પરિણામે ‘ગતિશીલ ગુજરાત’ના દાવાઓ વચ્ચે આ મહત્વના હાઈવેના કામની ધીમી ગતિ અને વારંવાર ઊભા થતા પ્રશ્નો ચર્ચાનો વિષય બન્યા છે.
રાજકોટ-અમદાવાદ સિક્સલેન માર્ગ સૌરાષ્ટ્ર માટે આર્થિક અને ઔદ્યોગિક દૃષ્ટિએ જીવનદોરી સમાન માનવામાં આવે છે. આ માર્ગ પૂર્ણ થતાં રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા સહિતના વિસ્તારોને અમદાવાદ સાથે વધુ ઝડપી અને સુરક્ષિત કનેક્ટિવિટી મળશે. પરંતુ સતત વધતી સમયમર્યાદા અને એજન્સી બદલાવના કારણે પ્રોજેક્ટની કામગીરી અંગે પ્રશ્ર્નો યથાવત્ રહ્યા છે.
રાજકોટ-બામણબોર સિક્સલેન હાઈવે પ્રોજેક્ટ એક નજરે
કામગીરી શરૂ : વર્ષ 2018
મૂળ પૂર્ણતાની મુદત : વર્ષ 2020
કુલ પ્રોજેક્ટ ખર્ચ : રૂ. 3350 કરોડ
કુલ લંબાઈ : 201 કિલોમીટર
રાજકોટ-બામણબોર સેક્શનનું બાકી મુખ્ય કામ : રૂ. 416.79 કરોડ
બાકી રહેલું અંતર : 2 કિ.મી. (કુવાડવા ફ્લાયઓવર)
મૂળ મુદત કરતાં વિલંબ : અંદાજે 7 વર્ષ
નવી પૂર્ણતાની સમયમર્યાદા : જાન્યુઆરી 2027
મૂળ એજન્સી : વરાહ ઈન્ફ્રાસ્ટ્રક્ચર
હાલની એજન્સી : ભગીરથ એસોસીએટ્સ
એજન્સી બદલવાનું કારણ : મૂળ એજન્સી દ્વારા કામ પૂર્ણ ન કરાતા
પાંચ ભાગમાં વહેંચાયો
હતો સમગ્ર પ્રોજેક્ટ
1. અમદાવાદ – બગોદરા : 40 કિ.મી.
2. બગોદરા – લિંબડી : 43 કિ.મી.
3. લિંબડી – સાયલા : 38.95 કિ.મી.
4. સાયલા – બામણબોર : 37.62 કિ.મી.
5. બામણબોર – રાજકોટ : 30.39 કિ.મી.



