પ્રથમ સીઝનમાં 800 લોકોએ નજીકથી દરિયાઇ જીવસૃષ્ટિ નિહાળી
બીજી સીઝનમાં ઓનલાઈન બુકિંગ સિસ્ટમ લાગુ કરાશે
જામનગર અને કચ્છના અખાતમાં આવેલો પિરોટન ટાપુ દરિયાઈ જીવ સૃષ્ટિ માટે પ્રખ્યાત છે. આ ટાપુ લાંબા ગાળા સુધી બંધ રહ્યા બાદ સરકારે ફરી પ્રવાસીઓને છૂટ આપતા પ્રથમ સીઝનમાં 800 પ્રવાસીઓએ ટાપુની મુલાકાત લઇ નજીકથી દરિયાઇ જીવ સૃષ્ટિને નિહાળી હતી. ગરમી સહિતનાં કારણોસર પિરોટન ટાપુ ઓકટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે.
જામનગર નજીક કચ્છના અખાતમાં આવેલો પિરોટન ટાપુ દરિયાઈ જીવ સૃષ્ટિનો મનભાવન આશરો છે. અહીં વિશ્વના મોટાભાગના કોરલનું સવર્ધન થાય છે. જેને લઈને પ્રકૃતિપ્રેમી પ્રવાસીઓનો ઘસારો રહે છે. પરંતુ ટાપુ પર ઘર્ષણકીય પ્રવૃતિઓને કારણે સરકારે નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો હતો. લાંબા સમય સુધી પીરોટન ટાપુ બંધ રહ્યા પછી એક માસ પૂર્વે ફરીથી પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
- Advertisement -
પ્રવાસનથી વન વિભાગને સારી એવી આવક થઈ
26 જાન્યુઆરીથી માંડી 11 માર્ચ સુધી પ્રથમ સીઝનમાં 9 ટ્રિપ કરાઇ છે, જેમાં અંદાજિત 800થી વધુ પ્રવાસીઓએ પ્રવાસ ખેડયો હતો, જેના કારણે વન વિભાગને 40 હજારથી વધુ આવક થઈ છે. પ્રવાસીઓએ કોરલ જીવ સૃષ્ટિને નજીકથી નિહાળી હતી. પરંતુ એપ્રિલ મહિનાની શરૂઆતથી વન તંત્રએ ફરી નિયંત્રણો મૂકી પ્રથમ સીઝન પૂર્ણ જાહેર કરવામાં આવી. હવે ઓક્ટોબર માસમાં બીજી સીઝનનો પ્રારંભ થશે.બીજી સીઝનમાં ઓનલાઈન બુકિંગ સિસ્ટમ લાગુ કરાશે.