સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાં ભારતીય જ્ઞાન પરંપરા મુજબના શિક્ષણની પુન:સ્થાપના થશે : ડો.દિપક કોઈરાલા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ ખાતે સિદ્ધિ વિનાયક પાર્ક, 150 ફૂટી રીંગ રોડ પાસે ભારતીય શિક્ષણ મંડળના સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટનમાં ભારતીય શિક્ષણ મંડળના રાષ્ટ્રીય અને પ્રાંત સ્તરના અધિકારીઓ, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન વાસ્તુ યજ્ઞ, રામનામ જપ, સંગઠન ગઢે ચલો વિષય સાથે કાર્યકર્તાઓ સાથે ગોષ્ઠી કરીને ઉપસ્થિત મહેમાનોને પ્રાસંગિક પ્રવચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ તકે ભારતીય શિક્ષણ મંડળના અખિલ ભારતીય ગુરુકુલ પ્રકલ્પના સહપ્રમુખ તથા પશ્ચિમ ક્ષેત્રના પાલક અધિકારી આચાર્ય ડો. દિપક કોઈરાલાએ જણાવ્યું હતું કે, બૌદ્ધિક સંપત્તિ જ આપણી સૌથી મોટી મૂડી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પરંપરાગત તથા ગુરુકુલ પદ્ધતિનું શિક્ષણ, વિજ્ઞાન, ટેકનોલોજી, રચનાત્મક વિચાર, તાર્કિક નિર્ણય અને નાવિન્યતાને પ્રોત્સાહિત કરીને ભારતને જ્ઞાનના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મદદરૂપ સાબિત થશે. સમાજ કઈ દિશામાં જશે એ બાબત શિક્ષણ નીતિ પર આધારિત છે. પ્રાંત કાર્યાલય સ્થાનેથી સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાં ભારતીય જ્ઞાન પરંપરા મુજબના શિક્ષણની પુન:સ્થાપના થાય અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સુવ્યવસ્થિત રીતે લાગુ થઈ શકે એ માટે આ સંગઠન કામ કરશે.
- Advertisement -
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના માનનીય સંઘચાલક મુકેશભાઈ મલકાણજીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, જે રીતે સંઘની શરૂઆત નાના સ્તરે થઈ હતી એ જ પ્રમાણે ભારતીય શિક્ષણ મંડળની કામગીરી નાની દેખાતી હશે પણ એનું ભવિષ્યનું સાર્વત્રિક ચિત્ર બહુ વિશાળ હશે.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રાંત પ્રચાર પ્રમુખ કુલદીપભાઈ લહેરુ, સંપર્ક પ્રમુખ દીપકભાઈ મશરૂ, ગુરુકુલ પ્રકલ્પ સંયોજક જગતભાઈ તેરૈયા તથા મહિલા પ્રકલ્પ પ્રમુખ રંજનબેન ખૂંટ તથા સહ પ્રમુખ બીનાબેન દેત્રોજા, પરેશભાઈ જોટાંગિયા, રોહિતભાઈ હિંડોચા અને અન્ય કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.