પાકિસ્તાનનો બે વાર રાજસ્થાન પર હુમલાનો પ્રયાસ
રાજસ્થાનમાં સતત બે દિવસથી ડ્રોન હુમલા, પણ નિષ્ફળ: ભારતની એર ડિફેન્સ સિસ્ટમે ડ્રોન તોડી પાડ્યા
- Advertisement -
પહેલો: 7-8 મેની રાત્રે, ઉત્તરલાઈ, નાલ અને ફલોદી એરબેઝ પર મિસાઇલો છોડવામાં આવી હતી, જેને ભારતની એર ડિફેન્સ સિસ્ટમ S-400 દ્વારા હવામાં જ નષ્ટ કરવામાં આવી હતી.
બીજો: ગુરુવારે (8 મે) રાત્રે લગભગ 9 વાગ્યે, જેસલમેર-પોખરણમાં લશ્કરી ઠેકાણાઓ પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો. આને પણ હવામાં ગોળી મારી દેવામાં આવી. આ એક સ્વાર્મ હુમલો હતો, એટલે કે, હુમલો ડ્રોનના સમૂહથી કરવામાં આવ્યો હતો.
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
પહેલગામ હુમલાના જવાબમાં ભારતે કરેલા હવાઈ હુમલા બાદ પાકિસ્તાને રાજસ્થાનમાં 5 લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો. પાકિસ્તાને છેલ્લે 1971માં રાજસ્થાન પર બોમ્બમારો કર્યો હતો.
જોકે, બુધવાર અને ગુરુવારે રાત્રે થયેલા ડ્રોન હુમલાના પ્રયાસને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. બધા ડ્રોનને હવામાં જ તોડી પાડવામાં આવ્યા. સતર્કતાને કારણે ગુરુવારે રાતભર 6 જિલ્લામાં અંધારપટ છવાઈ ગયો હતો. સરહદી જિલ્લાઓમાં 4 એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. આ ચાર એરપોર્ટમાં કિસનગઢ, જેસલમેર, જોધપુર અને બિકાનેર એરપોર્ટનો સમાવેશ થાય છે. કેટલીક ટ્રેનો પૂર્ણ રદ્દ કરી દેવાઈ છે તો કેટલીક ટ્રેનો આંશિક રદ્દ કરી દેવાઈ છે.
- Advertisement -
તણાવમાં વધારો થયા બાદ રાજસ્થાન સરકારે સરહદી જિલ્લાઓમાં અનેક વિભાગોમાં ખાલી જગ્યાઓ માટે રાતોરાત પોસ્ટિંગ કરી છે. ઘણા ગામડાઓ પણ ખાલી કરાવવામાં આવ્યા છે. ગુરુવારે મોડી રાત્રે સીએમ ભજનલાલ શર્માએ પણ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી.
પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં જોધપુર, જેસલમેર, બાડમેર, બિકાનેર, શ્રીગંગાનગર, પાલીમાં બ્લેકઆઉટ થયું હતું. જેસલમેરમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બ્લેકઆઉટ રહ્યો હતો. શ્રીગંગાનગરમાં કોલેજો અને કોચિંગ સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યા છે. અહીં સરહદને અડીને આવેલા વિસ્તારોમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સરકારે રાજસ્થાન વહીવટી સેવા (છઅજ)ના 9 અધિકારીઓની નિમણૂક કરી છે.
સરહદ નજીકના જિલ્લાઓમાં ફાયરમેનની બધી ખાલી જગ્યાઓ ભરવામાં આવી છે. રાજ્યના તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને, જોધપુર, બિકાનેર, જેસલમેર, બાડમેર અને શ્રીગંગાનગરમાં શાળાઓ આગામી આદેશ સુધી બંધ રાખવામાં આવી છે.
જોધપુર, બિકાનેર, કિશનગઢ અને જેસલમેરના એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે.
બિકાનેર અને શ્રીગંગાનગરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે. કોટામાં 7 જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ રહેશે. બિકાનેરમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
શ્રીગંગાનગરમાં કોલેજો અને કોચિંગ સંસ્થાઓ પણ આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવી છે.
જેસલમેરમાંથી જીવતો બૉમ્બ મળ્યો
સરહદી જિલ્લાઓમાં પોલીસ કડક, ચેકિંગ પછી જ પ્રવેશ
સુરક્ષા એજન્સીઓને શુક્રવારે સવારે લગભગ 10 વાગ્યે જેસલમેરના કિશનઘાટ ખાતે જોગી કોલોનીમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. આ પછી આ વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો. સેનાની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બોમ્બને ડિફ્યુઝ કર્યો હતો.
જેસલમેરમાં હાઈએલર્ટના કારણે પોલીસે શહેરની નાકાબંધી કરી છે અને સશસ્ત્ર સૈનિકો તહેનાત કર્યા છે. આવતા- જતા બધા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ હાઈ એલર્ટ પર છે અને દરેકને તેમના દસ્તાવેજો તપાસ્યા પછી જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. દરેક શંકાસ્પદ ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે.
જેસલમેરમાં ડ્રોન હુમલા પછી કલેક્ટરે બ્લેકઆઉટ 7 કલાકથી વધારીને 9 કલાક કર્યો. રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી વીજળી ગુલ રહી. આજે પણ શાળાઓ બંધ છે, ટ્રેનો રદ કરવામાં આવી છે. તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. જેસલમેરમાં હાઈ એલર્ટ ચાલુ છે. ગુરુવારે રાત્રે 8 વાગ્યાથી 1 વાગ્યા સુધી શ્રીગંગાનગરમાં અંધારપટ છવાઈ ગયો હતો. રાજસ્થાન સરહદ પર વધતા તણાવને કારણે, લગભગ 20 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા ગામોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. આ ગામોના લોકોને અહીંથી દૂર મોકલવામાં આવી રહ્યા છે. નવા બંકરો પણ બનાવવામાં આવ્યા છે.
ખજુવાલા અને બજ્જુમાં છઅઈ ની બે કંપનીઓ પણ તહેનાત કરવામાં આવી છે.