ઘણી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરનાર ઉલ્કા ગુપ્તાનું કહેવું છે કે તેણે ઇન્ડસ્ટ્રીમાં રંગભેદનો સામનો કર્યો છે. 2006માં લોકપ્રિય સ્ટાર વનના શો ‘રેશમ ડંખ’માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત કરતા પહેલાં ઉલ્કા ગુપ્તાને જરા પણ અંદાજ નહોતો કે આગળ જઈને તે ટેલિવિઝનની સૌથી જાણીતી યુવા અભિનેત્રીઓમાંની એક બનશે. જોકે, તેનો સફર સરળ નહોતો. હવે અભિનેત્રીએ પોતાની સ્ટ્રગલ વિશે ખુલ્લેઆમ વાત કરી છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે પોતાને સાબિત કરવાનો અર્થ શું છે અને આજે જીવનમાં તે કયા મુકામ પર ઉભી છે. 29 વર્ષની આ અભિનેત્રીએ પોતાની જર્ની અને સ્ટ્રગલ વિશે ખુલાસો કર્યો છે અને તેણે રંગભેગનો પણ સામનો કર્યો હોવાનું જણાવ્યું છે.
નાની ઉંમરમાં રંગભેદનો સામનો કરવાથી લઈને પોતાની દમદાર એક્ટિંગથી ટેલેન્ટ સાબિત કરવા સુધી, અભિનેત્રીનું કહેવું છે કે તેણે પોતાની હિંમત, મહેનત અને મજબૂત ઇરાદાથી પોતાનો રસ્તો બનાવ્યો છે. બાળપણથી લઈને અત્યાર સુધી, ખાસ કરીને એવી ઇન્ડસ્ટ્રીમાં જ્યાં ‘ઇમેજ’ને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે ત્યાં તેણે જે કંઈ જોયું અને સહન કર્યું છે તે અંગે તે સંપૂર્ણ રીતે જાગૃત છે. આ જ સફરે તેને ટીવીના સૌથી જાણીતા ચહેરાઓમાંની એક બનાવી છે.
- Advertisement -
રંગભેદનો કર્યો સામનો
ઉલાક ગુપ્તાએ આ વિશે કહ્યું, ‘પહેલાં જ્યારે મેકર્સ બાળ કલાકારોને કાસ્ટ કરતા હતા અને હું અનેક પાત્રો માટે ઓડિશન આપવા જતી હતી, ત્યારે બહાર કલાકારો માટે એક નોટ લગાડેલી હોય હતી, જેમાં લખેલું હોતું- “માત્ર ગોરા બાળકો”. મારે એની સામે ખૂબ જ હિમ્મતથી લડવું પડ્યું. હું રડી પડતી હતી, કારણ કે હું એટલી દૂર અંધેરી અને વર્લી સુધી માત્ર રિજેક્ટ થવા જતી હતી. તેઓ કહેતા હતા કે “અમે માત્ર અપ-માર્કેટ બાળકોને જ કાસ્ટ કરી રહ્યા છીએ.” હું તેમને વિનંતી કરતી હતી કે પ્લીઝ, મને ઓછામાં ઓછું ઓડિશન તો આપવા દો અથવા મારું ઇન્ટ્રોડક્શન તો આપવા દો.’
2006માં પોતાના પ્રથમ શો પછી ઉલ્કા ગુપ્તા 2009માં Zee TVના શો ‘સાત ફેરે – સલોની કા સફર’માં સાવની સિંહના પાત્રમાં જોવા મળી હતી. આ શોએ રંગભેદના મુદ્દાને ખૂબ જ સંવેદનશીલતાથી રજૂ કર્યો હતો. આ શોએ તેને વિશ્વાસ આપ્યો કે શ્યામવર્ણી યુવતીઓ પણ સ્ક્રીન પર લીડ અભિનેત્રી બની શકે છે, તેમની પ્રશંસા થઈ શકે છે અને તેમને કેન્દ્રમાં રાખી શકાય છે.
- Advertisement -
જોકે, ઇન્ડસ્ટ્રીમાં ગોરા રંગને લઈને દિવાનગી હજુ પણ યથાવત છે. ઉલ્કાએ યાદ કરતાં કહ્યું, ‘ઘણી વખત એવું બનતું હતું કે હું એટલી મોટી સ્ટાર નહોતી, પણ મેકઅપ આર્ટિસ્ટ મારા ચહેરા પર એવો બેઝ લગાવતા હતા, જે મારા અસલી રંગ કરતાં 2-3 શેડ વધુ ગોરો હોતો હતો અને મને આથી ખૂબ જ અણગમો થતો હતો. મને લાગતું હતું કે “શું હું પૂરતી સારી નથી?” વસ્તુઓ આવી કેમ હોવી જોઈએ? હું જોતી હતી કે પેલેટમાં એવો શેડ હતો જે મારા રંગ સાથે મેળ ખાતો હતો. તો પછી બે શેડ વધુ ગોરો કેમ?’
ત્યાર બાદ ગ્લેમરસ દેખાવાનો મુદ્દો પણ હતો. ‘ધ કેરળ સ્ટોરી’ની અભિનેત્રીએ જણાવ્યું કે તેને ઘણીવાર ગ્લેમરસ પાત્રો માટે ઓછું યોગ્ય માનવામાં આવતી હતી, કારણ કે તે સમયે ભારતીય ટેલિવિઝન પર ગોરી ચામડીવાળી હિરોઈનની ટ્રેડિશનલ છબીમાં તે ફિટ બેસતી નહોતી.
ટીવીથી સિનેમા સુધીનો સફર
ઘણા ટીવી શોનો ભાગ બન્યા પછી, 29 વર્ષની આ અભિનેત્રીએ પોતાના કામનો વ્યાપ વધાર્યો અને હિન્દી, તેલુગુ અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું, જેમ કે ‘સિમ્બા’ (2018), ‘આંધ્ર પોરી’ (2015) અને ‘ઓઢ – ધ એટ્રેક્શન’ (2018) વગેરે. આ રીતે તેણે ધીમે ધીમે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાને એક બહુમુખી કલાકાર તરીકે સ્થાપિત કરી.
તેને પ્રથમ વખત ખ્યાતિ ત્યારે મળી જ્યારે Zee TVનો શો ‘ઝાંસી કી રાની’ (2009) ખૂબ જ લોકપ્રિય થયો. આ શોમાં તેમણે નાની રાણી લક્ષ્મીબાઈનું પાત્ર ભજવ્યું હતું. આ ઐતિહાસિક ડ્રામા માત્ર સુપરહિટ જ નહીં રહ્યો, પણ ઉલ્કા ગુપ્તાને ઘરઘરમાં ઓળખ અપાવી હતી. યોદ્ધા રાણી તરીકે તેની દમદાર એક્ટિંગે દર્શકોના દિલ જીતી લીધા હતા.
ઇન્ડસ્ટ્રીમાં લગભગ બે દાયકાનો સમય પસાર કર્યા પછી ઉલ્કા હવે માને છે કે સુંદરતાના માપદંડો અને પ્રતિનિધિત્વ અંગેની ચર્ચા ધીમે ધીમે બદલાઈ રહી છે. રિજેકશન, આત્મસંદેહ અને એક ખાસ છબીમાં ફિટ થવાના સતત દબાણ છતાં, ઉલ્કાએ કહ્યું કે તે માત્ર પોતાની કાબેલિયત અને મજબૂત ઇરાદાના આધારે આગળ વધતી રહી હતી. અંતમાં તેણે કહ્યું, ‘મેં આ ઇન્ડસ્ટ્રીને ખૂબ નજીકથી જોઈ છે; તમારે માત્ર સતત ઓડિશન આપતા રહેવું જોઈએ અને પોતાને યોગ્ય રીતે માર્કેટ કરવું છે.’ ઉલ્કા હવે ‘રજની કી બારાત’ની તૈયારી કરી રહી છે. આ ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ પછી તેની આગામી ફિલ્મ છે. ‘ધ કેરળ સ્ટોરી’ને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ‘રજની કી બારાત’ 29 મેના રોજ રિલીઝ થવાની છે.




