અગ્નિથી અમૃત તરફ.. નવતપાનું વિજ્ઞાન અને જીવનદર્શન!
તાપ, તપ અને તૃપ્તિ: નવતપાની પ્રચંડ ગરમી એ પૃથ્વીના આગામી શૃંગારની પૂર્વ તૈયારી
- Advertisement -
નવતપામાં જેટલી ગરમી, તેટલો સારો વરસાદ
નવતપા શબ્દનો સીધો અર્થ થાય છે ‘નવ દિવસનું તપ’. ‘નવ’ એટલે નવ અને ‘તપ’ એટલે તપસ્યા, દહન અથવા પ્રખર ગરમી. હિંદુ પંચાંગ અનુસાર જ્યારે સૂર્ય દેવ વૃષભ રાશિમાં આવેલા રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે, ત્યારે શરૂ થતા શરૂઆતના નવ દિવસોને નવતપા કહેવામાં આવે છે. આ સમયગાળો સામાન્ય રીતે જ્યેષ્ઠ (જેઠ) મહિનામાં આવે છે અને પરંપરાગત માન્યતા મુજબ તેને વર્ષના સૌથી ગરમ દિવસો ગણવામાં આવે છે. ભારતમાં આજે પણ એક કહેવત ઘણી લોકપ્રિય છે કે ‘નવતપામાં જેટલી ગરમી, તેટલો સારો વરસાદ.’
સૂર્ય નારાયણ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે ભારતીય ઉપખંડમાં જેઠ મહિનાના એવા નવ દિવસો શરૂ થાય છે જેને આપણે ‘નવતપા’ તરીકે ઓળખીએ છીએ. આ દિવસો દરમિયાન આકાશમાંથી જાણે અગ્નિ વરસતી હોય તેવી અસહ્ય ગરમી પડે છે પરંતુ આ માત્ર હવામાનની એક સામાન્ય ઘટના નથી. નવતપા એ વિજ્ઞાન, સનાતન પરંપરા અને આધ્યાત્મિક ફિલોસોફીનો એક સુંદર ત્રિવેણી સંગમ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો નવતપા એ આગામી ચોમાસાની પૂર્વતૈયારી છે. આ સમયગાળા દરમિયાન ઉત્તર ગોળાર્ધમાં સૂર્યના કિરણો પૃથ્વી પર એકદમ સીધા પડતા હોવાથી જમીન અતિશય ગરમ થાય છે. આ અતિશય ગરમીને કારણે પૃથ્વીની સપાટી પરની હવા ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે અને જમીની ભાગ પર હવાનું ભારે દબાણ ઘટીને ‘લો-પ્રેશર’ ઝોન ઊભો થાય છે. વિજ્ઞાનના નિયમ મુજબ આ શૂન્યાવકાશને ભરવા માટે હિંદ મહાસાગર તરફથી ભેજવાળા અને ઠંડા નૈઋત્યના મોસમી પવનો ભારતીય ઉપખંડ તરફ ખેંચાઈ આવે છે. આમ, નવતપામાં જેટલી વધારે ગરમી પડે છે એટલું જ મજબૂત લો-પ્રેશર બને છે અને તેના પરિણામે ચોમાસામાં એટલો જ સારો વરસાદ થાય છે. જો આ દિવસોમાં પૂરતો તાપ ન પડે તો વરસાદની આખી સિસ્ટમ નબળી પડી જાય છે.
બીજી તરફ સનાતન જ્યોતિષ શાસ્ત્રમાં પણ નવતપાની ગણતરી બહુ સચોટ રીતે કરવામાં આવી છે. જ્યોતિષીય માન્યતા અનુસાર રોહિણી નક્ષત્રનો સ્વામી ચંદ્ર છે, જે શીતળતા અને જળનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે ઉર્જા અને અગ્નિનો કારક સૂર્ય આ શીતળ નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે તે રોહિણીની તમામ શીતળતાને શોષી લે છે જેને કારણે પૃથ્વી પર પ્રચંડ તાપ અનુભવાય છે. પૌરાણિક સંસ્કૃતિમાં એવું માનવામાં આવે છે કે આ નવ દિવસો દરમિયાન પૃથ્વી જાણે ગર્ભધારણની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી હોય તેમ તપે છે અને આ તપનો અંત ચોમાસાના રૂપમાં પૃથ્વીના લીલાછમ નવસર્જન સાથે થાય છે. આ સમગ્ર પ્રક્રિયા પાછળ એક ગહન ફિલોસોફીકલ ચિંતન પણ છુપાયેલું છે કે તપ વિના સર્જન ક્યારેય શક્ય નથી. નવતપા એ કોઈ વિનાશની ગરમી નથી, પરંતુ તે પ્રકૃતિના આગામી ઉત્સવની પ્રક્રિયા છે. જેમ સોનું અગ્નિમાં ઓગળ્યા પછી જ શુદ્ધ અને તેજસ્વી બને છે તેમ પ્રકૃતિ અને મનુષ્યજીવન પણ કષ્ટ તેમજ તપમાંથી પસાર થયા પછી જ ખીલી ઉઠે છે.
નવતપાની અસહ્ય ગરમી અને બફારા વચ્ચે પણ જગતનો તાત ખેડૂત ખુશ થાય કારણ કે તેને ખબર છે કે આ આકરી કસોટી પાછળ મધુર વરસાદ આવી રહ્યો છે. જીવનમાં જ્યારે દુ:ખ કે સંઘર્ષનો નવતપા ચાલતો હોય, ત્યારે નિરાશ થવાને બદલે એ યાદ રાખવું જોઈએ કે આ ગરમી ભવિષ્યના સુખના ચોમાસાની જ પૂર્વતૈયારી છે. બ્રહ્માંડ હંમેશા સંતુલનના નિયમ પર કામ કરે છે, જ્યાં અતિશય ગરમી પછી જ અતિશય ઠંડક આપતો વરસાદ સંભવી શકે છે. સુખની સાચી કિંમત ત્યારે જ સમજાય છે જ્યારે આપણે દુ:ખના તાપમાં શેકાયા હોઈએ. આમ, નવતપા આપણને ગરમીથી અકળાયા વગર પ્રકૃતિના આ સનાતન ચક્રને સહર્ષ સ્વીકારીને આવનારા વરસાદી નવસર્જનનું આશાભર્યા હૈયે સ્વાગત કરવાની પ્રેરણા આપે છે.



