આર્યનની ધરપકડ કરનાર અધિકારીની ફરિયાદ
ખાસ-ખબર સંવાદદાતા
મુંબઈના એનસીબી ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ મુંબઈ પોલીસ પર પીછો કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે તેની ફરિયાદ મહારાષ્ટ્રના ડીજીપીને કરી છે અને સીસીટીવી ફૂટેજ પણ સોંપ્યા છે. સમીર વાનખેડેએ ડીજીપીને કહૃાું કે પોલીસકર્મીઓ સિવિલ ડ્રેસમાં તેમનો પીછો કરે છે. અત્રે જણાવવાનું કે બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તમામ ડ્રગ્સ કેસના ખુલાસા સમીર વાનખેડેએ જ કર્યા છે. સમીર વાનખેડેની છબી એક કડક અધિકારીની છે. હાલના દિવસોમાં તેમના જ નેતૃત્વમાં એનસીબીએ અનેક મોટા સેલિબ્રિટી પર કાર્યવાહી કરી છે. 2 ઓક્ટોબરના રોજ એક ક્રૂઝ પર એક પાર્ટીમાં દરોડા બાદ આર્યનની ધરપકડ કર્યા પછી સમીર વાનખેડે ફરીથી એકવાર ચર્ચામાં છે. એનસીબી ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે સુશાંત સિંહ રાજપૂત કેસ બાદ ચર્ચામાં આવ્યા હતા. રિયા ચક્રવર્તીથી લઈને આર્યન ખાન જેવી અનેક સેલિબ્રિટીઓને જેલના સળિયા પાછળ ધકેલી ચૂક્યા છે. સુશાંત કેસ ટાણે જ તેમને એનસીબીમાં લાવવામાં આવ્યા હતા. એનસીબીમાં સમીરના આવ્યા બાદ સપ્ટેમ્બર 2020થી ફેબ્રુઆરી 2021 સુધીમાં ઓછી માત્રામાં ડ્રગ્સની જપ્તીના પણ લગભગ 30 જેટલા કેસ નોંધાયા. સમીર વાનખેડે 2008 બેચના આઈઆરએસ અધિકારી છે. એનસીબી જોઈન કરતા પહેલા તેઓ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીમાં હતા. એર ઈન્ટેલિજન્સ યુનિટ સાથે પણ કામ કરી ચૂક્યા છે.
એર ઈન્ટેલિજન્સ યુનિટના ચીફ હતા ત્યારે વાનખેડેને અનેકવાર મારી નાખવાની ધમકી મળી ચૂકી છે. જ્યારે તેમને સિક્યુરિટી કવર આપવાની રજૂઆત થઈ તો વાનખેડેએ ના પાડી દીધી.
- Advertisement -



