સુખની વ્યાખ્યા શી છે? એ ક્યાંથી મળે છે? તેની માત્રાનો આધાર શેના પર છે? આ બધા પ્રશ્નોનો ઉત્તર એક દૃષ્ટાંતમાંથી મળી જશે. એક અત્યંત દરિદ્ર બ્રહ્માણ હતો. તેના પરિવારમાં 6 સભ્યો હતા. એક દિવસ એવો આવ્યો કે એક ટંકના ભોજન પુરતું અન્ન પણ ઘરમાં બચ્યું ન હતું. આખરે તે બ્રાહ્મણ મદદની યાચના કરવા માટે એક ખાધે-પીધે સુખી એવા પંડિતના ઘરે ગયો. પંડિતે સૌથી પહેલું કામ એની હથેળીની રેખાઓ જોવાનું કર્યું. પંડિત સ્વયં આશ્ચર્ય પામી ગયા. તેમણે કહ્યું, ભાઈ, તારી હથેળીમાં પડેલી રેખાઓ અદ્દલ મુકેશ અંબાણીની હસ્ત રેખાઓ સાથે સામ્ય ધરાવે છે.
બ્રાહ્મણ રડમસ થઇ ગયો, પંડિતજી, મારી મશ્કરી શા માટે કરો છો? ક્યાં અંબાણી અને ક્યાં હું? રાજા ભોજ અને ગાંગુ તૈલી એ બંનેની ભાગ્ય રેખાઓ એક સમાન શી રીતે હોઈ શકે?
પંડિતે તે રડતા બ્રાહ્મણને શાંત પાડવા માટે 100 રૂપિયાની નોટ આપી દીધી અને કહ્યું, આમાંથી સીધું-સામાન ખરીદી લેજે. તારા ઘર માટે 15 દિવસનો પ્રશ્ન ઉકલી જશે. હવે તો તું રાજી થયો ને?
ગરીબ બ્રાહ્મણનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો તેણે કહ્યું, હા, મને અતિશય આનંદ થયો છે.
પંડિતે પૂછ્યું, તું જણાવી શકે છે કે તને કેટલો આનંદ થયો? જવાબમાં બ્રાહ્મણે પોતાના બે હાથ પહોળા કરીને કહ્યું, “આટલો બધો.”
હવે પંડિતે ફોડ પાડ્યો, જયારે મુકેશ અંબાણીને એક હજાર કરોડનો નફો થાય છે ત્યારે તેને પણ આટલો જ આનંદ મળે છે. તમારા બન્નેના ફાયદાના આંકડામાં મોટો ફરક હોઈ શકે પરંતુ તમારા બન્નેનાં આનંદની માત્રા એક સરખી રહેતી હશે. માટે જ તમારી ભાગ્ય રેખાઓમાં સામ્ય છે.
આ નાનકડું દૃષ્ટાંત કેટલી મોટી વાત શીખવી જાય છે! સુખ બહારથી ક્યાંયથી નથી આવતું. જો તે બહારથી આવતું હોત તો તેની માત્રાનો આધાર જે તે પદાર્થના પ્રમાણ ઉપર રહેલો હોત. સો રૂપિયામાં પાંચસો ગ્રામ જેટલું સુખ, એક લાખ રૂપિયામાં પાંચ કિલો સુખ અથવા સો કરોડ રૂપિયામાં એક ટન જેટલું સુખ મળતું હોત; પરંતુ એવું હોતું નથી. સુખ, ખુશી, આનંદ આ બધું આપણી અંદરથી આવે છે. આથી જ જગતના ઇતિહાસમાં થઇ ગયેલા તમામ નિર્વસ્ત્ર, અયાચક સાધુઓ (જેવા કે ડાયો જીનસ) વિશ્વ વિજેતા સીકંદરો કરતા પણ વધારે આનંદમાં રહેતા હતા.
ઘળજ્ઞ છળજ્ઞઇંફળૂ ક્ષજ્ઞ ટળઘ ફઈંટજ્ઞ વે,
મળજ્ઞ વિ રુડબળજ્ઞ ક્ષફ ફળઘ ઇંફટજ્ઞ વે ॥
શ્રી રમણ મહર્ષિ એકવાર ભોજન કરી રહ્યા હતા ત્યારે નેલૂરથી આવેલા એક મુલાકાતીએ વિનંતી કરી, “ભગવાન, આપના ભોજનમાંથી એક કોળીઓ મને પ્રસાદ રૂપે આપો. મારી વિનંતી સ્વીકારો.”
મેં અનેક ધર્મગુરુઓ અને કહેવાતા સંતોને આવું કરતા જોયા છે. મોઢામાં ચાવેલું પાન બહાર કાઢીને ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચતા જોયા છે. પુરુષ ભક્તો (વિશેષ રૂપે સ્ત્રી ભક્તો)ને એ થૂંકેલા પાન પર પડા-પડી કરતા જોયા છે. પૂજ્ય રમણ મહર્ષિએ શું કર્યું હશે?
પૂજ્ય મહર્ષિએ એ વખતે તો રમૂજમાં આવું કહી દીધું, “જો હું તમને મારી થાળીમાંથી એક કોળીઓ આપું તો અહીં ઉભેલા બધા જ ભક્તો એક-એક ગ્રાસની માંગણી કરશે. જો હું બધું ભોજન બીજાઓને આપી દઉં તો મારા માટે શું રહેશે?”
પછીથી મહર્ષિએ પેલા ભક્તને સાચી સમજણ આપી, “મારા ભોજનમાંથી એક ટુકડો ખાવાનું કંઈ મહત્ત્વ નથી. સાચા ભક્ત બનો. અહંકાર વિના ભોજન કરો. ત્યારે તમે જે કંઈ ખાઓ છો તે ભગવાનનો પ્રસાદ બની જાય છે.” કોઈનો ચાવેલો કોળિયો ચાવવાને બદલે ભગવાનનો આપેલો પ્રસાદ જમીને સંતુષ્ટ થઈએ. શાળામાં ભણતા હતા ત્યારે એક શિક્ષક અમને કહેતા હતા કે ભગવાને આપણા મોંમાં બત્રીસ દાંત મુક્યા છે માટે આપણે દરેક કોળિયો બત્રીસ વાર ચાવવો જોઈએ.
સિદ્ધ પુરુષો એવું કહે છે કે મનુષ્યે પ્રત્યેક કોળિયો બત્રીસ વાર નહિ પરંતુ બાવીસ વાર ચાવવો જોઈએ. સાથે મંત્ર-જાપ પણ ચાલુ રાખવો જોઈએ. જ્યારે જમણો શ્વાસ ચાલતો હોય ત્યારે ભોજન જમશો તો તે જલ્દી પચી જશે. વામ કુક્ષી કરતી વખતે ડાબા પડખે સુવાનું રાખવું. આવું કરવાથી જમણો શ્વાસ ચાલુ થશે.
સામાન્ય રીતે ખાદ્યાન્ન માટે જમણો શ્વાસ અને પેય પ્રવાહી માટે ડાબો શ્વાસ ઉત્તમ માનવામાં આવે છે. ગંગાસતી પણ એમના એક ભજનમાં “જમણામાં જમવું અને ડાબામાં પીવું” એવું કહી ગયા છે.
જેવું અન્ન તેવું મન. એક વાર એક સંત એમના શિષ્યની સાથે ભ્રમણ કરતા હતા. રસ્તામાં એક સ્થાન આવ્યું. ત્યાં એક ધર્મવૃત્તિ ધરાવતા સોનીના ઘરે ભોજન લેવા માટે રોકાયા. શિષ્યની નજર ત્યાં પડેલી સોનાની ચેન પર ગઈ. એના મનમાં લોભ જાગ્રત થયો. તેણે એ ચેન ઉપાડીને વસ્ત્રમાં સંતાડી દીધી.
ત્યાંથી આગળ ગયા પછી શિષ્યને પારાવાર પસ્તાવો થયો. તેણે પોતાના ગુરુ સમક્ષ ચોરીની કબૂલાત કરી દીધી. રડતા-રડતા પૂછ્યું, “હે ગુરુદેવ, હું આટલા વર્ષોથી તમારી સાથે રહીને શ્રેષ્ઠ ધર્મચરણ કરી રહ્યો છું. આપણે તો સાધુ છીએ. આપણને આ સોનાની ચેન કશા જ ખપની નથી. તેમ છતાં મારા મનમાં ચોરીનો વિચાર કેવી રીતે આવ્યો એ જણાવશો?”
ગુરુએ ગંભીરતા પૂર્વક કહ્યું, “વત્સ, આમાં કોઈ ચોક્કસ જ્ઞાતી કે જાતિનો વાંક નથી. આપણે જે ઘરમાં ભોજન કર્યું એ ગ્રહસ્થી જીવન જીવતા પરિવારમાં આ પ્રકારના સંસ્કાર હોવા જોઈએ. માટે ભવિષ્યમાં ભોજન કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ.”
આપણા દેશમાં પ્રત્યેક પરિવારમાં બહેનો ભોજન બનાવે છે. જો ભોજન રાંધતી વખતે બહેનો મંત્ર-જાપ કરે અથવા ધાર્મિક વિચારોનું સેવન કરે તો પોતાના સમગ્ર પરિવારમાં સારા સંસ્કારોનું સિંચન કરી શકે.
કવિએ કહ્યું છે, “જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે.”સાથે-સાથે એક સત્ય આ પણ છે કે જે સ્ત્રી ભોજન બનાવે છે તેનામાં શ્રેષ્ઠ સમાજ રચવાની શક્તિ રહેલી છે.