‘રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ’ : ફોગસી અને રાજકોટ ગાયનેકોલોજી સોસાયટી દ્વારા કાર્યક્રમ
તંદુરસ્ત સમાજ માટે નિરોગી માતા અને સ્વસ્થ શિશુ અનિવાર્ય : ડો. દર્શનાબેન પંડયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગાયનેકોલોજી તબીબોના રાષ્ટ્રીય સંગઠન ફોગસી દ્વારા કસ્તુરબા ગાંધીના જન્મ દિવસે દર વરસે ઉજવાતા રાષ્ટ્રીય સુરક્ષીત માતૃત્વ દિવસની તાજેતરમાં દેશભરની સાથે રાજકોટ ઓબસ્ટ્રેટીક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સહયોગથી મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ માટે ખાસ સેમીનાર રાખવામાં આવ્યો હતો એમ પ્રમુખ જાણીતા સ્ત્રી રોગ નિષ્ણાત ડો. દર્શનાબેન પંડયા અને સેક્રેટરી તરીકે ડો. ફોરમ તન્નાએ જણાવ્યુ હતુ.
રાજકોટ ઓબસ્ટેટીક એન્ડ ગાયનેકોલોજી સોસાયટીના પ્રમુખ ડો. દર્શનાબેન પંડયાએ જણાવ્યુ હતું કે, ગાયનેકોલોજીસ્ટ તબીબોના રાષ્ટ્રીય સંગઠન ફોગસી દ્વારા દર વરસે કસ્તુરબા ગાંધીજીના જન્મ દિવસ 11મી એપ્રિલના દિવસને ’રાષ્ટ્રીય સુરક્ષીત માતૃત્વ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. દેશભારમાં આ દિવસે સ્ત્રી રોગ નિષ્ણાત તબીબોના એસોસીએશનની શાખાઓ દ્વારા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને યોગ્ય તાલીમ સાથે સમાજના આધાર સમાન માતૃશક્તિને જાગૃત કરવા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવે છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સહયોગથી અમે કોર્પોરેશનના મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ માટે ખાસ સેમીનાર રાખ્યો હતો. જેમાં 350 થી વધુ કર્મચારીઓને ગર્ભધારણ કરતા પહેલાં, ગર્ભાવસ્થા દરમિયાન અને ડિલીવરી બાદ મહિલા અને નવજાત બાળકની તંદુરસ્તી માટે શું ધ્યાન રાખવું જોઈએ એ બાબત વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. કોર્પોરેશનના આરોગ્ય વિભાગના કર્મચારીઓ સમાજના બહુ મોટા અને ખાસ તો છેવાડાના વિસ્તારના લોકો સાથે સીધા પરીચયમાં આવતા હોય છે એટલે ખાસ તેમને તાલીમબધ્ધ કરી સમાજના મોટા વર્ગની મહિલાઓને તંદુરસ્ત બનાવવાનો અમારો પ્રયાસ છે. તેમના મતે તંદુરસ્ત સમાજની રચના માટે નિરોગી સ્ત્રી અને સ્વસ્થ શિશુ હોવા જરૂરી છે.
પ્રમુખ ડો. દર્શનાબેન પંડયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, એક તંદુરસ્ત સમાજની રચના માટે નિરોગી માતા અને સ્વસ્થ બાળક ખૂબ જરૂરી છે. માતૃત્વ માત્ર વ્યક્તિગત નહીં પરંતુ સામાજિક જવાબદારી છે. તેમણે ઉમેર્યું કે તાલીમબદ્ધ આરોગ્યકર્મીઓ હવે સમાજમાં જાગૃતિ ફેલાવશે, જેનાથી માતા અને બાળકના મૃત્યુદર ઘટાડવામાં મદદ મળશે.
ડો. કિંજલ કાનાણી, ડો. શૈલી મોદીએ જણાવ્યુ હતું કે આપણે ત્યા ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં પ્લાનીંગ વગર મહિલાઓ ગર્ભવતી બનતી હોય છે તેના કારણે અનેક કેસમાં માતા અને બાળકના આરોગ્ય ઉપર જોખમ ઉભુ થતુ હોય છે. તેમણે દંપતિઓને સલાહ આપતાં કહ્યું કે ગર્ભાવસ્થા પહેલાં યોગ્ય પ્લાનીંગ કરવુ જોઈએ. મહિલાઓ ગર્ભ ધારણ કરતા પહેલાં પૌષ્ટીક ખોરાક, યોગ્ય કસરત, તણાવ મુક્ત જીવન સાથે ડોક્ટરની સલાહ લઈ જરૂરી વેક્સીનેશન જેવીકે રૂબેલા, હીપેટાઈટીસ-બી વગેરે વેક્સીન લઈને જ બાળક માટે વિચારવુ જોઈએ. ડોક્ટરની સલાહ પ્રમાણે અમુક જરૂરી મેડિકલ ટેસ્ટ કરાવી યોગ્ય સમયે ગર્ભવતી બનતી મહિલા તંદુરસ્ત રહે છે અને તેના બાળકને પણ સુરક્ષીત રાખી શકે છે.
ગાયનેકોલોજીસ્ટ તબીબોના રાષ્ટ્રીય સંગઠન ફોગસીના ઈલેક્ટ વાઈસ પ્રેસીડન્ટ રાજકોટના ડો. નિરજ જાદવે ગર્ભાવસ્થા વખતે મહિલાઓએ શું ધ્યાન રાખવું જોઈએ એ બાબત કહ્યું હતું કે ગર્ભવતી મહિલાએ નિયમીત રીતે સ્ત્રી રોગ નિષ્ણાત તબીબને બતાવતા રહેવુ અને તબીબની સલાહ પ્રમાણે યોગ્ય જીવનશૈલી અપનાવવી જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન વધુ પડતી ઉલ્ટી થવી, માથાનો કે પેટનો દુ:ખાવો થવો, બ્લીડીંગ થવુ, બાળક હરતુ ફરતુ બંધ થવુ, ઝાંખુ દેખાવુ, શ્વાસ ચડી જવો વગેરે લક્ષણો દેખાય તો તાત્કાલીક સ્ત્રી રોગ નિષ્ણાત તબીબનો સંપર્ક કરવો જોઈએ. ગર્ભવતી મહિલાએ પોતાના અને બાળકના વજન બાબત સાવધ રહેવુ જોઈએ, તબીબની સલાહ પ્રમાણે આયર્ન, કેલ્શીયમ, પ્રોટીનયુક્ત ખોરાક લેવો જોઈએ. નિયમીત કસરત સાથે તણાવમુક્ત જીવન જીવવુ જોઈએ જેથી આવનાર બાળક તંદુરસ્ત રહે. બી.પી., સુગર, થાઈરોઈડ વગેરે કોઈ બિમારી અંગે નિયમીત ચેક અપ કરાવતા રહેવુ જોઈએ.
ડો. ફોરમ તન્ના, ડો. શ્વેતા મહેતા, ડો. કૃપાલી ભાલાળા વગેરે તબીબોએ ડિલીવરી વખતે અને બાદમાં મહિલાઓએ શુ ધ્યાન રાખવુ એ વિશે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, ડિલીવરી વખતે સમયસર નવજાત બાળકે સ્તનપાન કરાવવુ જરૂરી હોય છે. તેમણે સ્તનપાન, માતાએ કેવો ખોરાક લેવો, ક્યારે ક્યારે ચેકઅપ કરાવવુ, નવજાત બાળકનું ક્યા પ્રકારે ધ્યાન રાખવુ વગેરે બાબતો પર વિસ્તૃત જાણકારી આપી હતી. આર.એમ.સી.ના આરોગ્ય શાખાના ચીફ હેલ્થ ઓફીસર ડો. જયેશ વાકાણીએ આ તકે જણાવ્યુ હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ આરોગ્ય ક્ષેત્રે અનેક યોજનાઓનો લાભ લોકોને મળી રહ્યો છે તે અંતર્ગત ગર્ભસ્થ મહિલાઓ અને નવજાત શીશુઓની તંદુરસ્તી માટે સરકારના આરોગ્ય વિભાગની ટીમ સતત કાર્યરત છે.
રાજકોટ ઓબસ્ટ્રેટીક અને ગાયનેકોલોજી સોસાયટી દ્વારા ’રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ’ની ઉજવણી કરાઇ. તસવીરમાં જમણે ઉપર પ્રમુખ ડો. દર્શનાબેન પંડયા અને નીચે સેક્રેટરી ડો. ફોરમ તન્ના નજરે પડે છે.
- Advertisement -
આરોગ્ય વિભાગની પહેલ: તાલીમબદ્ધ સ્ટાફ હવે પહોંચશે છેવાડાના વિસ્તારોમાં
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશ્નર ચેતન નંદાણી, આરોગ્ય અધીકારી ડો. જયેશ વાકાણી, ઉમંગ ચૌહાણના સાથ સહકાર સાથે યોજાયેલાં આ સેમીનારમાં કોર્પોરેશનના 350 થી વધુ મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફે ભાગ લીધો હતો. તેમને ગર્ભાવસ્થા ધારણ કરતા પહેલાં, ગર્ભાવસ્થા દરમિયાન અને ડિલીવરી બાદ મહિલા અને નવજાત બાળકની તંદુરસ્તી વિશે નિષ્ણાત તબીબો દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમબધ્ધ કર્મચારીઓ સમાજના બહોળા વર્ગના મહિલાઓના સ્વાસ્થ્યની જાળવરી માટે સમાજમાં કાર્ય કરશે અને અમારી સોસાયટી દ્વારા નિયમીત રૂપે કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સહયોગમાં જરૂર પડયે તમામ પ્રકારની મદદ કરવામાં આવશે.
નિષ્ણાત તબીબોની ટીમે મળીને આયોજિત કર્યો માતૃત્વ જાગૃતિ સેમિનાર
આ સેમીનારના આયોજન માટે રાજકોટ ઓબસ્ટ્રેટીક એન્ડ ગાયનેક સોસાયટીના પ્રમુખ ડૉ. દર્શનાબેન પંડ્યા, સેક્રેટરી ડૉ. ફોરમ તન્ના, નેશનલ વાઈસ પ્રેસીડન્ટ ડો. નિરજ જાદવ, આઈ.પી.પી. ડો. જીજ્ઞા મણાત્રા, પ્રેસીડન્ટ ઈલેક્ટ ડો. હેતલ મોઢા, ઉપપ્રમુખ ડો.રાધીકા જાવીયા, જોઈન્ટ સેક્રેટરી ડો. કિંજલ કાનાણી, ડો. જય પંડયા, ટ્રેઝરર ડો. પ્રકાશ પરમાર, એડીટર ડો. શ્વેતા ત્રિવેદી, એક્ઝીક્યુટીવ કમીટીના ડો. પ્રકાશ મદાણી, ડો. નિલા રંગાણી, ડો. રૂંજુન જૈન, ડો. શૈલી ગજેરા, ડો. બ્રિન્દા બરચ્છા, ડો. અજય ચરણ, ડો. કૃપાલી ભાલારા, ડો. શૈલી મોદી, કો.ઓપ્ટ. મેમ્બર ડો. બિના ભટ્ટ, ડો. હેતસ્વી કાકડીયા, સીનીયર ગાયનેકોલોજીસ્ટ ડૉ. કુંતલ જાડેજા, ડૉ. વર્ષા ધ્રુવ, ડૉ. ધીરેન તળાવીયા, ડૉ. મનિષા મોટેરીયા, ડૉ. હિના પોપટ, ડૉ. લતા જેઠવાણી, ડૉ. અમી મહેતા, ડૉ. સંજય દેસાઈ એડવાઈઝરી બોર્ડના ડૉ. સુધીર શાહ, ડૉ. કીર્તિ પટેલ, ડૉ. નીતા ઠક્કર, ડૉ. નિતીન લાલ, ડૉ. કમલ ગોસ્વામી અને ડૉ. કેતન ગોસાઈ સહિતના તબીબોની ટીમ કાર્યરત હતી.



