ઘણા સમયથી લાઈટો બંધ હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.2
- Advertisement -
સોમનાથ ખાતે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવનું મંદિર આવેલ હોય જે બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ હોવાથી સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ-વિદેશમાંથી લાખો યાત્રીકો આવે છે પરંતુ સોમનાથ પહોંચવા માટે ગેટવે સમાન સોમનાથ બાયપાસ હાઈવે ઉપર અને સોમનાથ સર્કલ પાસે બે હાઈમાસ ટાવર આવેલ છે. આ બન્ને ટાવરો ધણા સમયથી બંધ હાલતમાં છે અને આ બંન્ને ટાવરની વચ્ચે જે સ્ટ્રીટ લાઈટો આવેલી છે તે પણ ધણા સમયથી બંધ હાલતમાં છે.
તો આ હાઈવે ઉપર બંન્ને સર્કલ હોવાથી ચારેબાજુથી સતત વાહનો આવન જાવન કરતા હોય છે. જેમાં રાત્રીના સમયે વારંવાર અકસ્માતો સર્જાય છે તેમજ વાર તહેવારો ઉપર રાત્રીના સમયે સેંકડો લોકો પગપાળા ચાલીને સોમનાથ આવતા હોય છે તેઓ અંધારાના કારણે અકસ્માતનો ભોગ બને છે. અંધારાના હિસાબે અનેક વાર વાહન અકસ્માતો પણ બન્યા છે. આ બાયપાસ હાઈવે ઉપર અકસ્માતોની ધટના વારંવાર બનતી હોવા છતાં કોઈ નેતા કે હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ધ્યાન આપતા ન હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે.
જો કે, આ લાઈટોની જાળવણી અને રીપેરીંગની જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટીની હોવા છતાં તેઓ માત્ર તોતિંગ ટોલ ટેક્સ વસુલવામાં રસ હોય તેવો અહેસાસ લોકો અનુભવી રહ્યા છે. કારણ કે, ટોલ ટેક્સ વસુલવાની સામે સુવિધાઓ આપવામાં હાઈવે ઓથો. તંત્ર બેદરકારી દાખવી રહ્યુ છે. આવી બેદરકારી દાખવા પાછળ કોઈ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવી રહ્યુ નથી ને ? તેવો સવાલ લોકોમાં ચર્ચાય રહ્યો છે. આ લાઈટો બંધ હોવાથી તાજેતરમાં એક રેતી ભરેલ ટ્રક પુલ પરથી નીચે પડેલ આમ લાઈટો બંધ હોવાથી વારંવાર નાના મોટા અકસ્માત સર્જાતા રહે છે અને સત્તાધિશો અને હાઈવે ઓથોરિટી ના જવાબદો તમાસો જોઈ રહ્યા હોવાથી લોકોમાં તંત્ર અને નેતાઓ સામે રોષ પ્રવર્તેલ છે.