ગિરનાર રોપ-વેને મળી રહ્યો છે જબરદસ્ત પ્રતિસાદ: એક સપ્તાહમાં જ 16,000 લોકોએ લાભ લીધો
રોપ-વેને કારણે સાસણ, સોમનાથ ટુરિઝમ સર્કિટને પણ ખૂબ ફાયદો થશે, બધે જ પ્રવાસન, તીર્થાટન વધશે
પર્યટકો, યાત્રાળુઓ હવે ગિરનાર રોપવેનુ ઓનલાઈન બુકીંગ કરાવીને પ્રવાસને વધુ સુગમ બનાવી શકે છે. તા. ૧ નવેમ્બરથી રોપવેનુ ઓનલાઈન ટિકીટ બુકીંગ શરૂ થયું છે. ગિરનાર રોપવેનુ ઓનલાઈન બુકીંગ કરવાનો ઉદ્દેશ ખાસ કરીને અન્ય શહેરો કે રાજયમાંથી આવતા પેસેન્જરોને સાનુકૂળતા કરી આપવાનો છે. અમને ઓનલાઈન ટિકીટ બુકીંગ ઉપલબ્ધ હોવા અંગે ખૂબ પૂછપરછ મળી રહી છે અને અમે આગામી તહેવારને ધ્યાનમાં રાખીને આ સુવિધા રજૂ કરી છે. પ્રવાસીઓ ગિરનાર રોપવેની ટિકીટ હવે www.udankhatola.com વેબસાઈટ ઉપર બુક કરાવી શકાશે. વપરાશકારો રોપવેના પ્રવાસનો ટાઈમ સ્લોટ પણ પસંદ કરી શકશે. ગિરનાર રોપવેનુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તા. ૨૪ ઓકટોબરના રોજ ઉદદ્યાટન કર્યુ હતું. તેને લોકો તરફથી ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગિરનાર રોપવેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દરરોજ ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. માત્ર એક સપ્તાહના ગાળામાં જ આશરે ૧૬૦૦૦ હજાર લોકોએ રોપવે સર્વિસનો લાભ લીધો છે.
આ સર્વિસને કારણે મોટી ઉંમરની વ્યકિતઓ અથવા શારિરિક રીતે અસમર્થ લોકો પણ ગિરનારની યાત્રાએ જઈ શકે છે. આગામી દિવસોમાં પર્વતના શિખરે પ્રવાસ માટે રોપવે એક પસંદગીનુ સાધન બની રહેશે. અત્યંત આધુનિક રોપવે ધરાવતા આ પ્રોજેકટમાં વાતાનુકૂલિત પ્રતિક્ષા વિસ્તાર, ચાઈલ્ડ કેર રૂમ અને અન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ રોપવેથી આ વિસ્તાર ઉપરાંત સમગ્ર સૌરષ્ટ્રમાંમાં પ્રવાસન અને અન્ય સંલગ્ન પ્રવૃત્તિઓ તથા રોજગારીને વ્યાપક વેગ આપશે તેવી અપેક્ષા છે. આ રોપ-વેને કારણે સોમનાથ, દ્વારકા, દીવ વગેરે અન્ય મથકોમાં પણ પ્રવાસન પ્રવૃત્તિ ધમધમી ઉઠશે.