કલેક્ટર કચેરીએ વિશાળ રેલી પણ યોજાશે
પર્યાવરણનું નિકંદન અને ગેરકાયદે બાંધકામો મુદ્દે સરકાર અને તંત્ર સમક્ષ ઉગ્ર માંગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
સનાતન ધર્મની આસ્થા અને ભારતની પ્રાચીન ધાર્મિક ધરોહર સમાન પવિત્ર ગિરનાર પર્વતને બચાવવા માટે આજે જૂનાગઢમાં સંતો, મહંતો અને હિન્દૂ સંગઠનો એકત્રિત થયા છે. ગિરનારના સંરક્ષણના મુદ્દે આજે સાંજે 4:30 કલાકે ઝાંસીરાણી પ્રતિમા સર્કલ ખાતે ’ગિરનાર સંરક્ષણ સમિતિ’ દ્વારા એક વિશાળ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં માત્ર જૂનાગઢ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતભરના વિવિધ અખાડાઓ અને મંદિરોના સંતો-મહંતો ઉપસ્થિત રહી ગિરનારની સુરક્ષા માટે પોતાનું વક્તવ્ય આપશે. આ મહાસભા બાદ એક વિશાળ રેલી યોજવામાં આવશે, જે કલેક્ટર કચેરી સુધી જશે અને અંતમાં સરકારને સંબોધીને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવશે.
ગિરનાર ક્ષેત્રની ધાર્મિક અસ્મિતા પર અને સનાતન પરંપરા પર કથિત રીતે જે જોખમો ઉભા થયા છે, તેને લઈને સાધુ-સંતો અને હિન્દૂ ધર્મના સંગઠનોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ગિરનાર પર્વત પર આવેલા પ્રાચીન ધર્મસ્થાનો અને સાર્વજનિક મિલ્કતો પર થઈ રહેલા અતિક્રમણ, તેમજ સરકારી દસ્તાવેજોમાં કથિત ગેરરીતિઓના વિરોધમાં આ આંદોલન શરૂૂ કરવામાં આવ્યું છે. ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે, હવે ગિરનારની રક્ષા માટે માત્ર વાતો નહીં, પરંતુ આરપારની લડાઈ લડવામાં આવશે. આ અભિયાનમાં તમામ અખાડાના સંતો, હિન્દૂ સંગઠનોના કાર્યકરો અને સામાજિક આગેવાનો જોડાયા છે અને સમગ્ર સનાતન સમાજને આ લડતમાં જોડાવા અપીલ કરી છે.આ આંદોલન માત્ર ધાર્મિક મુદ્દાઓ પૂરતું સીમિત નથી, પરંતુ તેમાં ગિરનારના પર્યાવરણની રક્ષાનો મુદ્દો પણ અત્યંત ગંભીર રીતે ઉઠાવવામાં આવ્યો છે. ગિરનાર ક્ષેત્રમાં અસામાજિક તત્વો અને ગેરબંધારણીય સંસ્થાઓ દ્વારા પર્યાવરણને જે રીતે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, તે ચિંતાનો વિષય છે. સમિતિના આક્ષેપ મુજબ, અહીં દુર્લભ ઔષધીય વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે અને જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વિરાટ બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે. સનાતન ધર્મના મંદિરોને નુકસાન પહોંચાડીને આસપાસની જમીનો હડપવાના અનૈતિક પ્રયાસો સામે પણ સંતો-મહંતો, પર્યાવરણ પ્રેમીઓ અને વાઈલ્ડ લાઈફ સંસ્થાઓ હવે લડી લેવાના મૂડમાં છે. સંતોનું સ્પષ્ટ માનવું છે કે, ગિરનારનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તાત્કાલિક ધોરણે રોક લગાવવી અનિવાર્ય છે.
ગિરનાર પર આવેલી ધાર્મિક જગ્યાઓ અંગે જૈન સમાજના અમુક લોકો દ્વારા કરવામાં આવતા કૃત્યો અને તેના કારણે ઉભા થતા વિવાદોએ પરિસ્થિતિ વધુ ગંભીર બનાવી દીધી છે. સંતોના જણાવ્યા અનુસાર, છાસવારે કોઈને કોઈ રીતે વિવાદ ઉભો કરવાનો પ્રયાસ થાય છે. ભૂતકાળમાં ગુરુદત્ત શિખર પર નિર્વાણ લાડુ ધરવા અંગેના નારા લગાવવા જેવી ઘટનાઓ સામે આવી હતી. આ ઉપરાંત, ગિરનારની નાથ સંપ્રદાયની જગ્યા એવી ’ઓઘડ ટૂંક’ પર અન્ય જૈન સંપ્રદાયનો ઝંડો ફરકાવીને સામાજિક વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ થયો હતો, જે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી અને એકની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ ઘટનાઓ અગાઉ પણ જૈન સંપ્રદાય અને સનાતન ધર્મના સંતો વચ્ચે ઘર્ષણ પેદા કરી ચૂકી છે. આ તમામ બાબતો હવે સંતો માટે સહનશક્તિની બહાર ગઈ છે, તેથી જ તેઓ હવે કાયદાકીય અને સામાજિક સ્તરે આરપારની લડાઈ લડવાના નિર્ધાર સાથે રસ્તા પર ઉતર્યા છે. આજની આ વિશાળ રેલી અને આવેદનપત્ર દ્વારા સંતો-મહંતો તંત્રને જગાડવાનો પ્રયાસ કરશે. તેમની મુખ્ય માંગણીઓમાં ગિરનાર ક્ષેત્રમાં થતા ગેરકાયદેસર બાંધકામોને તાત્કાલિક તોડી પાડવા, જમીન અતિક્રમણની તપાસ કરવી અને સરકારી દસ્તાવેજોમાં થયેલી ગેરરીતિઓની ઉચ્ચસ્તરીય તપાસ કરાવવી સામેલ છે. સંતોનું કહેવું છે કે, જો તંત્ર વહેલી તકે કોઈ નક્કર કાર્યવાહી નહીં કરે, તો આ આંદોલન વધુ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરશે. સનાતનીઓની આસ્થાના પ્રતીક સમાન ગિરનાર પર કોઈપણ પ્રકારનું દબાણ કે ધાર્મિક વિવાદ સાંખી લેવામાં આવશે નહીં, તેવો નિર્ધાર આજના આ કાર્યક્રમમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
જૂનાગઢની ધરતી પર આજે સંતો-મહંતો દ્વારા ગિરનાર સંરક્ષણ માટે યોજાયેલી આ મહાસભા એ માત્ર એક વિરોધ પ્રદર્શન નથી, પરંતુ સનાતન ધર્મના રક્ષણ માટેની એક મજબૂત હાકલ છે. ગિરનાર, જે સાધકો અને સંતોની તપોભૂમિ છે, તેને ભૌતિકવાદી અતિક્રમણો અને ધાર્મિક વિવાદોથી મુક્ત રાખવા માટે હવે સંતોએ કમર કસી છે. સમગ્ર જૂનાગઢ શહેર આજે સંતોની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ અને ગિરનારને બચાવવાના સંકલ્પ સાથે ગુંજી ઉઠશે. હવે જોવાનું એ છે કે, વહીવટી તંત્ર અને સરકાર સંતોની આ માંગણીઓ પ્રત્યે કેટલી ગંભીરતા દાખવે છે અને ગિરનારની આ પવિત્રતા જાળવવા માટે શું પગલાં લે છે. સનાતન પ્રેમીઓ માટે આજનો દિવસ એક નવી લડાઈના મંડાણ સમાન છે.
ઝાંઝરડા રોડના વેપારીઓ ધંધા-રોજગાર બંધ રાખી રેલીમાં જોડાશે
- Advertisement -
જૂનાગઢમાં આજે ગિરનાર સંરક્ષણ માટે દેશ અને રાજ્યના અનેક સંતો – મહંતો આજે મહાસભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અનેક હિન્દૂ ધર્મ સંગઠનો અને સામાજિક આગેવાનો જોડાવાના છે ત્યારે આજે ઝાંઝરડા રોડ પરના તમામ વેપારીઓ પણ પોતાના ધંધા રોજગાર બંધ પાળીને ગિરનાર બચાવો આ અભિયાનમાં પોતાનો ટેકો જાહેર કરીને આ વિરાટ સભા અને રેલીમાં સાંજે જોડાશે.



