માણાવદરમાં ભણતરના ભાર હેઠળ વિદ્યાર્થીનીનું જીવન કચડાતા પરિવારમાં ભારે અરેરાટી
ભણતરના ભાર હેઠળ વિદ્યાર્થીઓ નાસીપાસ થઈને આત્મઘાતી પગલાં ભરી લેતા હોવાની વધુ એક દુ:ખદ ઘટના સામે આવી છે. જેમાં માણાવદરમાં રહેતી વિદ્યાર્થીનીના તાજેતરમાં લેવાયેલી ધો.12ની પરિક્ષાના પેપર નબળા જતા ઓછા ગુણ કે પરીક્ષામાં નાપાસ થવાના ડરથી તેણી ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. ભણતરના ભાર હેઠળ વિદ્યાર્થીનીનું જીવન કચડાતા પરિવારમાં ભારે અરેરાટી મચી ગઇ છે.
માણાવદર પોલીસ મથકેથી આ દુ:ખદ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર માણાવદરના મીતડી રોડ ઉપર આવેલ એન.જી.મીલ પાછળ રહેતા રાજેશભાઇ મનસુખભાઇ ઉભડીયાના 17 વર્ષની દીકરી પ્રીયાબેને ગઈકાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મોત નીપજ્યું હતું. આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ મૃતક પ્રીયાબેન ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતા હતા અને ધોરણ-12 સાયન્સની બોર્ડની એક્ઝામ ગઇકાલે પુરી થઈ હતી. પરંતુ પ્રીયાબેનને આ બોર્ડની પરીક્ષાનાં પેપર નબળા ગયા હોય તેની ચિંતા સતાવતી હતી. બોર્ડની પરીક્ષાના પેપર નબળા જવાથી પોતે નાપાસ થશે કે ઓછા ગુણ આવશે તેવી ચિતાને કારણે ભારે હતાશ થઈ જતા તેણીએ પોતાની મેળે ઘરનાં ઉપરનાં માળે ગાળફાંસો ખાઇને જીવ દઈ દીધો હતો.