અત્યંત પડકારજનક ડિમોલિશન કામગીરી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ કરાઈ
1 DySP, 15 PI સહિત 550થી વધુ પોલીસ કર્મચારીઓનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ વિરમગામ
વિરમગામ શહેરના રૈયાપુર બહાર વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરકારી જમીન પરના દબાણો હટાવવા માટે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ તરત જ રસ્તા નિર્માણનું કામ પણ શરૂ કરી દેવાયું છે.
આ કાર્યવાહી દરમિયાન ત્રણ ધાર્મિક સ્થળ અને સાત દુકાન સહિતના દબાણો દૂર કરાયા હતા. આશરે 3,500 સ્ક્વેર ફૂટથી વધુ સરકારી જમીન દબાણમુક્ત બની છે.
દબાણ હટાવવાની કામગીરી માટે પાંચ જેસીબી, ત્રણ હિટાચી મશીનો અને પંદર ડમ્પર સહિતનો મોટો મશીનરી કાફલો તહેનાત કરાયો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એક ડીવાયએસપી, પંદર પોલીસ ઇન્સ્પેક્ટર અને પાંચસોથી વધુ પોલીસ જવાનો સ્થળ પર હાજર રહ્યા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી સરકારી જમીન પર થયેલા દબાણો વિકાસકાર્યોમાં અવરોધરૂપ બની રહ્યા હતા. ડિમોલેશન બાદ રસ્તાના નિર્માણથી સ્થાનિક વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા અને અવરજવર વધુ સુગમ બનશે તેવી અપેક્ષા છે.
સમગ્ર કાર્યવાહી દરમિયાન પ્રશાસન, પોલીસ વિભાગ અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ સતત હાજર રહી દેખરેખ રાખી રહ્યા હતા. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો સામે ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે.



